એક ઉડાન… અને 260 સપનાઓનો અંત, પ્રથમ વરસીએ ‘અગ્ર ગુજરાત’ પાઠવે છે હૃદયાંજલી
એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે
પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીના વિયોગે ગુજરાતને રડાવ્યું
12 જૂન 2025નો કાળો દિવસ આજે પણ તાજો; એક વર્ષ બાદ પણ અનેક પ્રશ્નો અનુત્તર, પરિવારજનોને હજુ ન્યાય અને સત્યની રાહ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતના ઇતિહાસમાં 12 જૂનનો દિવસ હવે માત્ર એક તારીખ નથી રહ્યો. આ દિવસ રાજ્યની સામૂહિક સ્મૃતિમાં એક એવા ઘાવ તરીકે નોંધાયો છે, જે સમયની સાથે ધીમો તો પડ્યો છે, પરંતુ ભરાયો નથી. આજે અમદાવાદમાં સર્જાયેલી એર ઇન્ડિયાની ભયાનક વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં 260 નિર્દોષ જિંદગીઓ હોમાઈ ગઈ હતી, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા.
12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ બાદ થોડી જ ક્ષણોમાં દુર્ઘટનાગ્રસ્ત બની હતી. વિમાનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી માત્ર એક વ્યક્તિ બચી શકી હતી, જ્યારે જમીન પર પણ અનેક લોકોના મોત થયા હતા. કુલ મૃત્યુઆંક 260 સુધી પહોંચ્યો હતો.
અખબારી દ્રષ્ટિએ જોવામાં આવે તો આ ઘટના માત્ર એક એર ક્રેશ નહોતી. ગુજરાતના રાજકીય, સામાજિક અને માનસિક પરિપ્રેક્ષ્યમાં તે એક મોટો આઘાત હતો. રાજ્યએ એક સાથે અનેક પરિવારો ગુમાવ્યા હતા, પરંતુ સૌથી વધુ ચર્ચામાં રહ્યા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી. રાજકોટથી રાજકારણની શરૂઆત કરીને ગુજરાતના મુખ્યમંત્રી પદ સુધી પહોંચેલા વિજય રૂપાણીનો અંત પણ એટલો જ અચાનક અને દુઃખદ રહ્યો. તેઓ લંડન જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. તેમના અવસાનના સમાચાર સામે આવતા સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ભાજપથી લઈને વિરોધ પક્ષો સુધી, તમામ રાજકીય નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં સૌથી મોટો પ્રશ્ન હજુ એ જ છે કે આખરે વિમાન કેમ તૂટી પડ્યું?
તપાસ એજન્સીઓ દ્વારા પ્રાથમિક અહેવાલો રજૂ થયા હતા, પરંતુ અંતિમ તપાસ રિપોર્ટ હજુ જાહેર થયો નથી. એન્જિન, ફ્યુઅલ સિસ્ટમ અને કોકપિટ સંબંધિત અનેક તકનીકી મુદ્દાઓની તપાસ હજુ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. પરિણામે મૃતકોના પરિવારજનોમાં આજે પણ અસંતોષ જોવા મળે છે.
એક વર્ષ બાદ પણ અનેક પરિવારોને લાગે છે કે તેમને વળતર તો મળ્યું છે, પરંતુ સત્ય મળ્યું નથી. તેમના માટે નાણાકીય સહાય કરતાં વધુ મહત્વનું એ જાણવું છે કે તેમના સ્વજનોના મોત પાછળનું સાચું કારણ શું હતું.
દુર્ઘટનાના પ્રથમ દિવસથી જ મીડિયાએ આ ઘટનાને અલગ અલગ રીતે રજૂ કરી હતી. એક વર્ગના અખબારોએ તેને ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એક ગણાવી હતી. તેમની નજરમાં મુખ્ય મુદ્દો ટેક્નિકલ ખામી અને એર સેફ્ટી હતો. જ્યારે અન્ય અખબારો અને સામાજિક વિશ્લેષકોએ આ ઘટનાને માનવ સંવેદનાઓ સાથે જોડીને રજૂ કરી હતી. માતા-પિતા ગુમાવનારા બાળકો, સંતાનો ગુમાવનારા વડીલો અને એક પળમાં ઉજડેલા પરિવારોની વ્યથા કેન્દ્રસ્થાને રહી હતી.
વિજય રૂપાણીના અવસાનને કારણે ગુજરાતના અખબારોમાં રાજકીય શોકનો પણ વિશેષ રંગ જોવા મળ્યો હતો. રાજકોટના અખબારોમાં તો આ ઘટના રાજકોટના પનોતા પુત્રની કરુણ વિદાય તરીકે રજૂ થઈ હતી. દુર્ઘટનાના દિવસે સોશિયલ મીડિયા પર લાખો લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. અમદાવાદ અને ગુજરાત સંબંધિત અનેક ઓનલાઈન સમુદાયોમાં આ ઘટનાને ભારતીય ઉડ્ડયનનો સૌથી અંધકારમય દિવસ તરીકે વર્ણવવામાં આવી હતી. લોકોના પ્રતિભાવોમાં દુઃખ, આઘાત અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તેવી પ્રાર્થના જોવા મળી હતી. ઘણા લોકોએ લખ્યું હતું કે સામાન્ય દિવસની બપોરે અચાનક આવેલી આ દુઃખદ ખબર સમગ્ર રાજ્યને હચમચાવી ગઈ હતી.
રાજકોટ શહેર માટે આ દુર્ઘટના વધુ કરુણ બની હતી. શહેરે માત્ર એક રાજકીય નેતા જ નહીં, પરંતુ પોતાની ઓળખ સમાન વ્યક્તિ ગુમાવી હતી. વિજય રૂપાણી વર્ષો સુધી રાજકોટ સાથે જોડાયેલા રહ્યા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ પણ રાજકોટ સાથેનો તેમનો સંબંધ યથાવત રહ્યો હતો. તેથી તેમના અવસાનના સમાચારથી શહેરમાં ભારે શોક છવાઈ ગયો હતો. એક વર્ષ બાદ આજે પણ રાજકોટમાં અનેક લોકો તેમને યાદ કરી રહ્યા છે. વિવિધ સામાજિક, રાજકીય અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેમના યોગદાનને યાદ કરીને લોકો ભાવુક બની રહ્યા છે.
વિશ્લેષકોના મતે આ દુર્ઘટનાએ ભારતની એર સેફ્ટી વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. આધુનિક ટેક્નોલોજી અને કડક નિયમો હોવા છતાં એક મોટી દુર્ઘટના કેવી રીતે સર્જાઈ શકે તે અંગે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ હતી. આ ઘટનાએ એ પણ સમજાવ્યું કે કોઈપણ ક્ષણે જીવન બદલાઈ શકે છે. હજારો પરિવારોના સપના, આશાઓ અને ભવિષ્ય એક જ ક્ષણમાં ખાખ થઈ શકે છે.
12 જૂન 2025ના રોજ અમદાવાદના આકાશમાં ઉડાન ભરનારું વિમાન માત્ર થોડી જ મિનિટોમાં દુર્ઘટનાનું પ્રતિક બની ગયું હતું. એક વર્ષ પછી પણ તે દ્રશ્યો, તે ચીસો, તે રડતા પરિવારજનો અને વિજય રૂપાણી સહિત 260 લોકોની વિદાય ગુજરાત ભૂલી શક્યું નથી. સમય આગળ વધી ગયો છે, પરંતુ 12 જૂનનો એ કાળો દિવસ આજે પણ ગુજરાતના ઇતિહાસના સૌથી કરુણ પાનાંઓમાં અંકિત છે. સત્ય બહાર આવે, જવાબદારો સામે કાર્યવાહી થાય અને આવી દુર્ઘટના ફરી ક્યારેય ન બને, એ જ આજે સમગ્ર ગુજરાતની પ્રાર્થના છે.
વરસી પહેલાં જ 300 કરોડની સહાય ચૂકવાઈ, અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ફાઈનલ રિપોર્ટ હજુ બાકી
અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા રવાના થયેલું એર ઈન્ડિયાનું AI-171 વિમાન 12 જૂન, 2025ના રોજ ટેક-ઓફ બાદ થોડા જ સમયમાં દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. આ ભયાનક અકસ્માતને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. દુર્ઘટનામાં 241 મુસાફરો સહિત કુલ 260 લોકોના મોત થયા હતા, જેના કારણે સમગ્ર દેશ શોકમાં ગરકાવ થયો હતો.
વરસી પહેલાં જ એર ઈન્ડિયા અને ટાટા સન્સે પીડિત પરિવારોને આશરે 300 કરોડ રૂપિયાની સહાય ચૂકવી દીધી હોવાનું જાહેર કર્યું છે. એર ઈન્ડિયાએ મૃતકોના 96 ટકા પરિવારોને 25 લાખ રૂપિયાનું વચગાળાનું વળતર ચૂકવ્યું છે, જ્યારે ટાટા સન્સના AI171 મેમોરિયલ એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા 91 ટકા પરિવારોને એક કરોડ રૂપિયાની વધારાની સહાય આપવામાં આવી છે. જમીન પર ઘાયલ થયેલા 94 ટકા લોકોને પણ વળતર મળી ચૂક્યું છે.
બીજી તરફ, દુર્ઘટનાની તપાસનો અંતિમ રિપોર્ટ હજુ જાહેર થયો નથી. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)નો ફાઈનલ રિપોર્ટ આવવામાં હજુ અંદાજે બે મહિનાનો સમય લાગી શકે છે. પ્રારંભિક તપાસમાં ટેક-ઓફ બાદ વિમાનના બંને એન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ અચાનક રન માંથી કટઓફ મોડમાં જતા ઈંધણ પુરવઠો બંધ થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે તપાસ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે અને અંતિમ રિપોર્ટ જાહેર થતાં તમામ હકીકતો લોકો સમક્ષ મૂકવામાં આવશે.
AI-171 દુર્ઘટનાની વરસી પર પાઈલટ યુનિયનની માંગ: પાઈલટને બલિનો બકરો ન બનાવો, તકનીકી ખામીઓની ઊંડાણપૂર્વક તપાસ કરો
એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં ફેડરેશન ઓફ ઈન્ડિયન પાઈલટ્સ (FIP)એ ઘટનાની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસની ફરી માંગ ઉઠાવી છે. યુનિયનનું કહેવું છે કે દુર્ઘટનાના કારણોને માત્ર પાઈલટની ભૂલ સુધી સીમિત રાખવાને બદલે વિમાનની તકનીકી સિસ્ટમમાં રહેલી સંભવિત ખામીઓની પણ ગંભીરતાથી તપાસ થવી જોઈએ.
ફેડરેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે એક વર્ષ બાદ પણ ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ જાહેર થયો નથી, જે ચિંતાજનક બાબત છે. પાઈલટોની સુરક્ષા અને ઉડ્ડયન ક્ષેત્રમાં વિશ્વાસ જાળવવા માટે તમામ ટેકનિકલ અને ફોરેન્સિક પુરાવાઓના આધારે પારદર્શક તપાસ જરૂરી છે.
સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અનુભવી પાઈલટ કેપ્ટન અમિત સિંહે જણાવ્યું હતું કે ટેક-ઓફ બાદ જે રીતે દુર્ઘટના સર્જાઈ તે ગંભીર ઈલેક્ટ્રિકલ ફેલ્યોર તરફ ઈશારો કરે છે. તેમણે વિમાનના વ્હીલ્સ પાસેથી નીકળેલા ધુમાડા અને ઈમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર (ELT) સિસ્ટમ કાર્યરત ન થવા જેવા મુદ્દાઓને પણ મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી ગંભીર દુર્ઘટનામાં પૂરતા પુરાવા વગર પાઈલટોને જવાબદાર ઠેરવવા કરતાં મૂળ કારણો શોધવા પર ધ્યાન આપવું જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય અને ઉડ્ડયન સુરક્ષા વધુ મજબૂત બને.
અમદાવાદ વિમાન દુર્ઘટનાની વરસીએ સ્વ. વિજય રૂપાણી અને 260 દિવંગતોને અગ્ર ગુજરાતની શ્રદ્ધાંજલિ
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં ‘અગ્ર ગુજરાત’ દ્વારા દુર્ઘટનામાં જાન ગુમાવનાર તમામ 260 દિવંગતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીનું નિધન થતાં ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રે એક લોકપ્રિય અને સંવેદનશીલ નેતા ગુમાવ્યો હતો.
સ્વ. રૂપાણીનું ઘડતર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિદ્યાર્થી પરિષદ, જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે થયું હતું. કાર્યકર્તાથી મુખ્યમંત્રી સુધીની તેમની સફર દરમિયાન તેમણે હંમેશા સામાન્ય માણસ સાથેનો સંપર્ક જાળવી રાખ્યો હતો. કોરોના મહામારી દરમિયાન દર્દીઓની સીધી મુલાકાત લઈ આરોગ્ય વ્યવસ્થાની સમીક્ષા કરવી હોય કે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી લોકોની વચ્ચે બેસવું હોય, તેમની કાર્યશૈલી તેમને એક લોકનેતા તરીકે ઓળખ અપાવી ગઈ હતી. મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, એઈમ્સ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓને વેગ આપ્યો હતો. તેમના નેતૃત્વ અને કાર્યકર્તા ઘડતરની છાપ આજે પણ ભાજપની કેડર અને જનમાનસમાં જીવંત છે. સૌરાષ્ટ્રના જાહેર જીવનમાં તેમના નિધનથી સર્જાયેલું ખાલીપો આજે પણ પૂરાઈ શકે તેમ નથી.
મેસમા રોટલીના થપ્પા આજે પણ એ જ હાલતમાં, પ્લેન ક્રેશના ઘા હજુ તાજા
અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ સર્જાયેલી એર ઇન્ડિયાની AI-171 વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, છતાં ઘટનાના ઘા હજુ તાજા છે. લંડન જતી ફ્લાઇટ ટેક-ઓફ બાદ BJ મેડિકલ કોલેજની અતુલ્યમ-4 હોસ્ટેલ અને મેસ પર તૂટી પડતાં 270 લોકોનાં કરૂણ મોત થયાં હતાં.
દુર્ઘટના સમયે મેસમાં વિદ્યાર્થીઓ માટે જમવાનું તૈયાર હતું. રોટલીઓના થપ્પા, શેકાયેલા પાપડ અને રસોડાનો સામાન આજે પણ ઘટનાની સાક્ષી બની એ જ સ્થિતિમાં જોવા મળે છે. હોસ્ટેલના તૂટેલા બ્લોક, બળી ગયેલા વાહનો અને કાટમાળ હજુ સુધી ઘટનાની ભયાનકતા યાદ અપાવે છે.
સ્થાનિક રહેવાસીઓ અને મેસ કર્મચારીઓએ જણાવ્યું કે તે દિવસના દ્રશ્યો આજે પણ ભૂલાતા નથી. એક રહેવાસીએ જણાવ્યું કે કપાયેલું માથું પડતું જોયા બાદ તેનો દીકરો હજુ પણ માનસિક આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયેલા લોકોએ પણ ભયાનક દ્રશ્યો યાદ કરતાં આંખો ભીની કરી હતી. દુર્ઘટનાએ માત્ર માનવજીવન જ નહીં, પરંતુ આસપાસ રહેતા અનેક પરિવારોની રોજગારી પણ છીનવી લીધી હતી. પ્રથમ વરસીએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
બ્લેક બોક્સનો ડેટા જાહેર કરો : પ્લેન ક્રેશમાં દીકરી ગુમાવનાર માતાની માંગ, વીડિયો બનાવનાર આર્યન આજે પણ ભયભીત
અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી એર ઈન્ડિયાની AI-171 વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ પીડિત પરિવારો માટે આ ઘા આજે પણ તાજા છે. આ દુર્ઘટનામાં અમરેલીની રિદ્ધિ પડસાળાનું પણ મોત થયું હતું. તેની માતા ગીતાબેન પડસાળાએ સરકાર સમક્ષ બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવાની માંગણી કરતાં જણાવ્યું કે, પરિવારને આર્થિક વળતર નહીં પરંતુ દીકરીના મોતનું સાચું કારણ જાણવાનો અધિકાર છે.
ગીતાબેને જણાવ્યું હતું કે, દીકરીને હસતાં-હસતાં એરપોર્ટ પર વિદાય આપી હતી, પરંતુ થોડા જ સમય બાદ વિમાન દુર્ઘટનાના સમાચાર મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં પાંચ દિવસ સુધી દીકરીની શોધખોળ બાદ મૃતદેહ મળ્યો હતો. તેમણે કહ્યું કે, અમારા માટે તો આ સંપૂર્ણ નુકસાન છે. દીકરી જ અમારા ઘરની રોનક અને ઘડપણનો સહારો હતી. દીકરીના મોત બાદ મળેલા વળતર અંગે પણ ગીતાબેને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમના જણાવ્યા મુજબ, જમાઈએ વળતરની રકમ મેળવી છ મહિનામાં જ બીજા લગ્ન કરી લીધા હતા, જેને લઈ પરિવારમાં ભારે વ્યથા છે.
બીજી તરફ, આ દુર્ઘટનાનો વાયરલ વીડિયો બનાવનાર અરવલ્લીના આર્યન અસારી આજે પણ તે ભયાનક ક્ષણોને ભૂલી શક્યો નથી. આર્યને જણાવ્યું કે, ઘરના ધાબા પરથી વિમાનનો વીડિયો ઉતારતો હતો ત્યારે અચાનક વિમાન ક્રેશ થતાં સમગ્ર વિસ્તાર ગભરાટમાં મુકાઈ ગયો હતો. ઘટના બાદ ઉડતા વિમાન જોતા પણ ડર લાગે છે અને ફરી ક્યારેય આવી દુર્ઘટના ન બને તેવી પ્રાર્થના કરે છે. આ દુર્ઘટનાની વરસીએ પીડિત પરિવારો અને સાક્ષીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી તેમજ અકસ્માતનું સાચું કારણ જાહેર કરવાની માંગ ફરી એકવાર ઉઠાવી હતી.
FSL ની રહી હતી મહત્વની ભૂમિકા, 172 મૃતકોની ઓળખ કરી આપી, 15 દિવસ ચાલ્યું હતું મહાઅભિયાન
અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં મોટાભાગના મૃતદેહો ગંભીર રીતે સળગી જતાં તેમની ઓળખ સ્થાપિત કરવી રાજ્યના તંત્ર માટે સૌથી મોટો પડકાર બની હતી. ત્યારે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)એ દિવસ-રાત મહેનત કરીને ‘ડિઝાસ્ટર વિક્ટિમ આઇડેન્ટિફિકેશન’ની જટિલ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી.
FSLના ડાયરેક્ટર એચ.પી. સંઘવીના જણાવ્યા મુજબ, દુર્ઘટના સ્થળેથી 250થી વધુ વિવિધ પ્રકારના સેમ્પલ એકત્ર કરાયા હતા. મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી આશરે 70 ટકા ડેટા સફળતાપૂર્વક રિકવર કરવામાં આવ્યો હતો, જે મૃતકોની ઓળખ અને તેમના પરિવારજનો સુધી માહિતી પહોંચાડવામાં ઉપયોગી સાબિત થયો હતો. DNA વિભાગને 172 મૃતકોના અવશેષો સહિત 500થી વધુ નમૂનાઓ મળ્યા હતા. અત્યંત સળગી ગયેલા હાડકાં અને ટિશ્યૂમાંથી ડીએનએ મેળવવા માટે પીસીઆર અને ડીએનએ સિક્વન્સિંગ જેવી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિશેષ વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ બાદ તમામ મૃતકોની ઓળખ સ્થાપિત કરવામાં સફળતા મળી હતી.
આ કામગીરીમાં રાજ્યભરની FSL લેબોરેટરીઓના નિષ્ણાતોને જોડવામાં આવ્યા હતા અને 15 દિવસ સુધી 24 કલાક સતત કામગીરી ચાલી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઓળખ પણ ડીએનએ મેચિંગ દ્વારા જ થઈ હતી. FSLએ મોટાભાગના મૃતકોની ઓળખ 72 કલાકમાં જ સ્થાપિત કરીને શોકગ્રસ્ત પરિવારોને મોટી રાહત પહોંચાડી હતી.
તપાસ એજન્સીઓ પર પૂર્ણ વિશ્વાસ, કોઈ શંકા નથી: ઋષભ રૂપાણી
અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની સ્મૃતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમના પુત્ર ઋષભ રૂપાણીએ જણાવ્યું હતું કે પિતાના આદર્શો, મૂલ્યો અને સેવાભાવને આગળ ધપાવવા માટે ‘વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશન’ની સ્થાપના કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે સ્વ. વિજયભાઈ રૂપાણીએ ‘પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ’ મારફતે ત્રણ દાયકાથી વધુ સમય સુધી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી હતી. હવે તે જ પરંપરાને આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઋષભ રૂપાણીએ કહ્યું કે પિતાના વિયોગનું દુઃખ ક્યારેય ઓછું થઈ શકે તેમ નથી, પરંતુ સમાજ માટે સકારાત્મક કાર્ય કરવું એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે. પ્લેન ક્રેશની તપાસ અંગે તેમણે જણાવ્યું કે ભારત સરકારની તપાસ એજન્સીઓ ઝીણવટભરી તપાસ કરી રહી છે અને તપાસ હજુ ચાલુ હોવાથી કોઈ તારણ પર પહોંચવું યોગ્ય નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તપાસ એજન્સીઓ પર તેમને સંપૂર્ણ વિશ્વાસ છે અને પરિવાર તરફથી તમામ પ્રકારનો સહકાર આપવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત, સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે 14 જૂને ન્યૂ એરા સ્કૂલ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સહયોગથી સવારે 9 વાગ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.


