વરસાદી સિઝન માટે મનપાનું આરોગ્ય વિભાગ સજ્જ
રોગચાળાને અટકાવવા ત્રણેય ઝોનમાં રેપિડ રિસ્પોન્સ ટીમ તૈનાત
શહેરના આરોગ્ય કેન્દ્રમાં દવાઓનો બફર સ્ટોક તૈયાર : નિચાણવાળા વિસ્તારનું પ્રોપર મેપીંગ કરી ત્યાંની સર્ગભા અને ધાત્રી બહેનોની યાદી બનાવાઇ
સ્થળાંતરની સ્થિતિમાં મુશ્કેલી ન પડે તે માટેના આશ્રય સ્થાનોનું લીસ્ટ તૈયાર, ત્યાં દિવસમાં બે વખત આરોગ્યની ચકાસણી કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ચોમાસાની ઋતુમાં રોગચાળો ફેલાય નહીં તેના માટે મનપા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના પ્લાનિંગ અંતર્ગત તમામ વહીવટી અને તબીબી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચોમાસા દરમિયાન સંભવિત રોગચાળાના ફેલાવાને અટકાવવા અને કોઈપણ પ્રકારની ઈમરજન્સી પરિસ્થિતિમાં દર્દીઓને તાત્કાલિક ધોરણે ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા એક ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ચોમાસાના ચાર મહિના દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાના કારણે રોગચાળો વકરે નહીં અને નાગરિકોને આરોગ્યલક્ષી કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર અત્યારથી સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. જેમાં ત્રણેય ઝોન માટે રેપિડ રિસ્પોન્સ ટીમો બનાવાઈ છે. તેમજ આરોગ્ય કેન્દ્રોમાં દવાઓનો બફર સ્ટોક તૈયાર રાખવામાં આવ્યો છે.
રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ પ્રી-મોન્સૂન પ્લાનની વિગતો આપતા જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન ઊભી થનારી કોઈપણ આકસ્મિક કે ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે કોર્પોરેશન દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ એમ દરેક ઝોન દીઠ 2-2 રેપિડ રિસ્પોન્સ ટીમ (RRT)ની રચના કરવામાં આવી છે. આ ટીમો ઈમરજન્સીના કિસ્સામાં કે રોગચાળાના પ્રાથમિક લક્ષણો દેખાતા જ જે-તે વિસ્તારમાં તાત્કાલિક ધોરણે દોડી જઈને જરૂરી બચાવ અને સારવારની કામગીરી સંભાળશે.
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના એવા સંભવિત વિસ્તારોનું પ્રોપર મેપિંગ કરવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાની કે તે વિસ્તાર સંપર્કવિહોણો થઈ જવાની શક્યતા વધુ રહેલી હોય છે. આવા પાણીના ડૂબમાં જઈ શકે તેવા વિસ્તારોની ઓળખ (આઈડેન્ટિફાય) કરીને ત્યાં વસવાટ કરતી તમામ સગર્ભા મહિલાઓ અને ધાત્રી બહેનોની એક લાઈવ લિસ્ટ અને ચોક્કસ યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, જો વરસાદ દરમિયાન આવી કોઈ બહેનોને મેડિકલ ઈમરજન્સી ઊભી થાય, તો તેમનો એડવાન્સ ડિલિવરી પ્લાન અગાઉથી જ સુનિશ્ચિત કરી શકાય અને ન કરે નારાયણ ને કોઈ પરિસ્થિતિ વણસે તો તેમને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાય.
આ ઉપરાંત, પૂર જેવી સ્થિતિમાં સ્થળાંતર કરવું પડે તો તેના માટેના આશ્રય સ્થાનોની પણ અગાઉથી ઓળખ કરી લેવામાં આવી છે. આશ્રય સ્થાનો પર આઈસોલેશન અને સારવાર માટે મેડિકલ ટીમ દ્વારા દિવસમાં 2 વખત ફરજિયાત આરોગ્ય તપાસ (મેડિકલ ચેકઅપ) કરવામાં આવશે તેવી સૂચનાઓ તમામ મેડિકલ ઓફિસરને આપી દેવામાં આવી છે. બીજી તરફ, ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે તમામ જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ, સાધનો અને દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવી દેવાયો છે.
દવાઓનું ચોક્કસ સુપરવિઝન કરાશે
રાજકોટનાં તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં ઈમરજન્સી દવાઓ તેમજ એપિડેમિક એટલે કે રોગચાળા નિયંત્રણ માટે વપરાતી દવાઓનો મર્યાદિત સ્ટોક રાખવાની સાથે-સાથે એડિશનલ બફર સ્ટોકિંગ કરવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે પૂર્ણ કરી લેવામાં આવી છે. આ દવાનો જથ્થો ખૂટી ન પડે તે માટે દર મહિને તેનું ચોક્કસ સુપરવિઝન કરવામાં આવે છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિયમિત રિવ્યુ મીટિંગ લઈને સ્ટોક અંગેની માહિતી મેળવ્યા બાદ જ આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
સહકાર આપવા લોકોને તંત્રની અપીલ
વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના નિયંત્રણ માટે મચ્છરોનો ઉપદ્રવ રોકવા એન્ટી-એડલ્ટ અને એન્ટી-લાર્વિસાઈડ દવાઓનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરાયો છે. આ સાથે જ મેલેરિયાના તાવ સામે અક્સીર ગણાતી ક્લોરોક્વિન ટેબ્લેટ્સ અને અન્ય જરૂરી દવાઓનો સંગ્રહ પણ પૂરતા પ્રમાણમાં કરી લેવામાં આવ્યો છે. નાગરિકો પોતાના ઘરની આસપાસ પાણી જમા ન થવા દે અને તંત્રની કામગીરીમાં સહકાર આપે તેવી અપીલ પણ આરોગ્ય અધિકારી દ્વારા કરાઈ છે.


