ઇંધણ બચાવવા કોન્ટ્રાકટના ૫૧ વાહનોનો ઉપયોગ બંધ
પેટ્રોલ-ડિઝલની કટોકટી હોવાથી અને મહિને 3૯ લાખનો બોઝ વધુ પડતો હોવાથી સ્ટેન્ડિંગનો નિર્ણય : રેસકોર્ષની લાઇટીંગનો પ્રોજેકટ ફરી પડતો મૂકાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની આજે સ્ટે.કમિટીની બેઠક મળી હતી જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મનપાની વિવિધ ૨૧ શાખામાં ૫૧ જેટલા વાહનો કોન્ટ્રાકટ બેઝ પર દોડાવવામાં આવી રહ્યાં છે. હાલ પેટ્રોલ-ડિઝલની અછત હોવાથી અને બિલ પણ વધારે આવતુ હોવાથી તેનો વપરાશ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ પાણીના ટેન્કરનો કોન્ટ્રાકટ પણ એક વર્ષનો કરી નાખવામાં આવ્યો છે અને રેસકોર્ષ ફરતે લાઇટીંગ પ્રોજેકટ ફરી પડતો મૂકવામાં આવ્યો છે.
મહાનગરપાલિકામાં નવી બોડીની રચના થયા બાદ મહિનામાં ચાર વખત સ્ટે.કમિટીની બેઠક બોલાવવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી દરખાસ્તોનો ઝડપી નિકાલ થાય તે અંતર્ગત આજે ૧3 દરખાસ્તો માટે સ્ટે.કમિટીની બેઠક મળી હતી. જેમાં કેટલીક જૂની જ દરખાસ્તો ઘૂસાડવામાં આવી હતી.
સ્ટેન્ડિંગમાં અરજન્ટ દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં વિવિધ શાખામાં ૫૧ જેટલા વાહનો કોન્ટ્રાકટ પર દોડાવવામાં આવી રહ્યાં છે. વર્તમાન સમયમાં રાજકોટ સહિત રાજય અને દેશમાં ઇંધણની કટોકટી સર્જાઇ રહી છે અને અગાઉની સ્ટેન્ડિંગમાં મનપા દ્વારા પેટ્રોલ ડિઝલના બિલ મૂકવામાં આવ્યા હતા. જેમાં દર મહિને મનપા પર 3૯ લાખનું ઇંધણનું ભારણ પડી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખી વિવિધ ૨૧ શાખાના ૫૧ જેટલા વાહનોનો ઉપયોગ બંધ કરવા સ્ટેન્ડિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી આ ૫૧ વાહનનો ઉપયોગ કરવામાં આવશે નહી..
મનપાની વિવિધ શાખામાં કરાર પર ચાલતા વાહનોનો પણ બેફામ ઉપયોગ કરવામાં આવતો હોવાની પણ અનેક વખત રાવ ઉઠવા પામી હતી અને તેની પાછળ ઇંધણનો પણ એટલો બગાડ થતો હોવાની રાવથી આજે સ્ટેન્ડિંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અગાઉની સ્ટેન્ડિંગમાં પેન્ડીંગ રહેલી દરખાસ્ત ચર્ચામાં આવી હતી જેમાં રેસકોર્ષ ડેકોરેટીવ લાઇટીંગની દરખાસ્ત પણ મૂકવામાં આવી હતી. આ પ્રોજેકટને સ્ટેન્ડિંગ દ્વારા નામંજૂર કરી દેવામાં આવ્યો છે.
પાણીના ટેન્કરનો કોન્ટ્રાકટ બેમાંથી એક વર્ષનો કરાયો
રાજકોટમાં કેટલાક વિસ્તારોમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જેનો મનપા દ્વારા બે વર્ષનો કોન્ટ્રાકટ અપાયો હતો. આજની સ્ટેન્ડિંગમાં આ કોન્ટ્રાકટ એક વર્ષનો મંજૂર કરવામાં આવ્યો છે. આ અંગે સ્ટે.કમિટીએ જણાવ્યું હતું કે જે વિસ્તારમાં પાઇપલાઇન નથી નખાઇ ત્યાં એક વર્ષમાં પાણીની પાઇપલાઇન નાંખી દેવામાં આવશે અને જયાં પાઇપલાઇન બિછાવવામાં આવી છે ત્યાં કનેકશન આપી દેવામાં આવશે. હાલ પાઇપ લાઇન નાંખવાની કામગીરી પ્રગતિમાં છે. પાણીનો એક વષૃના કોન્ટ્રાકટ માટે રૂ.૬.૫૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.


