પ્રેમ સંબંધનો કરુણ અંત
પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવી આત્મહત્યાનો ખેલ રચ્યો
કોઠી ગામે કેળાના ઝાડ પરથી લટકતી હાલતમાં મળેલી લાશ અંગે હત્યાનો ખુલાસો, પ્રેમીએ જ મોતને ઘાટ ઉતારી હતી ; મોબાઇલ તોડી પુરાવા નષ્ટ કરવાનો પણ પ્રયાસ કરેલો
અગ્ર ગુજરાત, રાજકોટ
જસદણ તાલુકાના કોઠી ગામમાં થોડા દિવસો પહેલાં કેળાના ઝાડ પર ફાંસે લટકતી હાલતમાં મળી આવેલી 23 વર્ષીય પરિણીતાના મોતનો ચોંકાવનારો ભેદ આખરે પોલીસ તપાસમાં બહાર આવ્યો છે. શરૂઆતમાં આત્મહત્યાનો કેસ જણાતો આ બનાવ હકીકતમાં હત્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટેકનિકલ તપાસ, મોબાઇલ ડેટા અને માનવ સૂત્રોની મદદથી આરોપી પ્રેમીની ઓળખ કરી તેની ધરપકડ કરી છે.
પોલીસ તપાસ મુજબ મૃતક પરિણીતાના પોતાના ગામમાં રહેતા એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. ઘટનાની રાત્રે બંને વચ્ચે થયેલા ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે પ્રેમીએ પરિણીતાની હત્યા કરી નાખી અને બાદમાં સમગ્ર ઘટનાને આત્મહત્યા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગત 15મી તારીખની વહેલી સવારે કોઠી ગામના રામાપીર મંદિર સામે આવેલી એક વાડીમાં કેળાના ઝાડ સાથે એક મહિલાની લાશ લટકતી જોવા મળતા ગામમાં ચકચાર મચી ગઈ હતી. ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા જસદણ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ કોઠી ગામની રહેવાસી કાજલબેન તરીકે થઈ હતી.
પરિવારજનોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે કાજલબેન ઘટનાની રાત્રે પોતાના ઘરમાં પરિવાર સાથે બહાર સૂતા હતા. મધરાત્રિ બાદ તેમના પતિની ઊંઘ ઉડી જતા પત્ની પથારીમાં ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારજનો દ્વારા આસપાસ શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કાજલબેનનો કોઈ પત્તો મળ્યો નહોતો.
શોધખોળ ચાલી રહી હતી ત્યારે વહેલી સવારે તેમના મોબાઇલ પરથી પરિવારના સભ્યોને એક મેસેજ મળ્યો હતો કે તે ગામના એક ઓળખીતાના ઘરે છે. પરિવારજનો ત્યાં પહોંચ્યા છતાં કાજલબેન મળી આવ્યા નહોતા. આ દરમિયાન જ ગામમાંથી મહિલાની લાશ મળ્યાની જાણ થતાં પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં મૃતદેહની ઓળખ કાજલબેન તરીકે થઈ હતી.
બનાવ શરૂઆતથી જ શંકાસ્પદ જણાતા પોલીસે માત્ર આત્મહત્યાની દિશામાં તપાસ મર્યાદિત રાખી નહોતી. મૃતકના મોબાઇલ કોલ રેકોર્ડ, લોકેશન ડેટા, સંપર્કમાં રહેલા લોકોની વિગતો તેમજ ટેકનિકલ પુરાવાઓની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને મૃતકના ગામના જ અશોક રણછોડ શાપરા સાથે નજીકના સંબંધો હોવાની માહિતી મળી હતી. તપાસમાં બહાર આવેલા તથ્યો મુજબ કાજલબેન રાત્રે લગભગ બે વાગ્યે પ્રેમી અશોકને મળવા ઘરેથી નીકળી ગયા હતા. બંનેએ કેટલાક કલાકો સાથે વિતાવ્યા બાદ કાજલબેન ઘરે પરત ફરી રહ્યા હતા. જોકે રસ્તામાં તેમને ખબર પડી કે પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા છે. આ પરિસ્થિતિથી ગભરાઈ ગયેલી કાજલબેન ફરીથી પ્રેમી પાસે પહોંચી ગઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર કાજલબેને ત્યારબાદ અશોકને પોતાની સાથે લઈ જવાની અને હવે ઘરે નહીં જવાની વાત કરી હતી. આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. ઝઘડો વધતા કાજલબેન જોરજોરથી બોલવા લાગ્યા હતા. આરોપીએ ભાંડો ફૂટી જવાની ભીતિથી પહેલે તેમના મોઢામાં કપડું દબાવી દીધું હતું. જેના કારણે તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. ત્યારબાદ આરોપીએ કપડાથી ગળું દબાવી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હત્યા કર્યા બાદ આરોપી સામે સૌથી મોટો પડકાર ગુનાને છુપાવવાનો હતો. તેથી તેણે ઘટનાસ્થળથી થોડે દૂર આવેલા કેળાના ઝાડ પર મૃતદેહને મૃતકની જ સાડી વડે લટકાવી દીધો હતો, જેથી સમગ્ર બનાવ આત્મહત્યાનો લાગે. એટલું જ નહીં, મૃતકનો મોબાઇલ ફોન પણ પુરાવા તરીકે ઉપયોગમાં આવી શકે તેવી આશંકાથી આરોપીએ તેને તોડી નાંખ્યો હતો.
જોકે પોલીસની વૈજ્ઞાનિક અને ટેકનિકલ તપાસ સામે આરોપીની ચાલાકી લાંબો સમય ટકી શકી નહોતી. કોલ ડિટેલ રેકોર્ડ, મોબાઇલ લોકેશન, ડમ્પ ડેટા અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે તપાસનો દોર સીધો અશોક શાપરા સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસે તેની પૂછપરછ કરતા સમગ્ર ઘટનાનો ભેદ ખુલ્લો પડી ગયો હતો.
તપાસ દરમિયાન પોલીસે મૃતક અને આરોપી બંનેના બનાવ સમયે પહેરેલા કપડાં કબ્જે કર્યા હતા. ઉપરાંત તોડી નાખવામાં આવેલ મોબાઇલ ફોન પણ શોધી કાઢી મહત્વના પુરાવા એકત્રિત કર્યા હતા. ત્યારબાદ મૃતકના પતિની ફરિયાદના આધારે અશોક શાપરા સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની સત્તાવાર ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક કાજલબેનનું પિયર ચોટીલા તાલુકાના કેરાળા ગામે છે. તેમના લગ્નને હજુ એક વર્ષ જેટલો જ સમય થયો હતો. લગ્ન બાદ ગામના જ અશોક શાપરા સાથે તેમના સંબંધો વિકસ્યા હતા. પરંતુ જે સંબંધ પ્રેમથી શરૂ થયો હતો તેનો અંત અત્યંત દુઃખદ અને કરુણ રીતે થયો છે.
આ સમગ્ર કેસમાં જસદણ પોલીસે ઝડપી અને વૈજ્ઞાનિક તપાસ કરીને આત્મહત્યાની પાછળ છુપાયેલી હત્યાનો ભેદ ઉકેલી નાખતા પોલીસ કામગીરીને પ્રશંસા મળી રહી છે. ગામમાં પણ આ બનાવને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે અને એક પરિણીતાના મોત પાછળ રહેલી હકીકત સામે આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.


