આવતીકાલે પરીક્ષાના એક દિવસ અગાઉ સરકાર એકશન મોડમાં
મેગા ઓપરેશન! રાજકોટ સહિત દેશભરમાં રિ-નીટ અંગે મોકડ્રિલ
પરીક્ષામાં ગેરરીતિ અને અનિયમિતતા રોકવા અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા : તમામ પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષાની સમીક્ષા
પેપર લીકના ખોટા દાવા અને અફવાઓ ફેલાતી રોકવા ઉચ્ચ સ્તરીય મોનિટરીંગ સેન્ટર કાર્યરત
૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓની આવતીકાલે લેવાશે નીટની ફરીથી પરીક્ષા : શાંતિ જાળવવા સરકાર-તંત્રની અપીલ
૫૦૦૦થી વધુ પરીક્ષા કેન્દ્રો પર લગાવેલા CCTV કેમેરાનું સીધુ લાઇવ મોનિટરીંગ NTAના મુખ્ય મથક પરથી કરાશે : ૨.૫ લાખ સુરક્ષા કર્મચારીઓને જવાબદારી સોંપાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
21 જૂને યોજાનારી NEET UGની રિ-એક્ઝામને લઈને સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA પૂરી રીતે એક્શન મોડમાં છે. આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અનિયમિતતા રોકવા માટે આ વખતે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ કડક તૈયારીઓના ભાગરૂપે આજે દેશભરના તમામ પરીક્ષા કેન્દ્રો પર એક વ્યાપક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરીક્ષાને સંપૂર્ણપણે સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે સવારે 9 વાગ્યાથી લઈને મોડી રાત સુધી મોક ડ્રીલ ચલાવવામાં આવશે. NTA દ્વારા દેશના તમામ પરીક્ષા કેન્દ્રોને અગાઉથી જ પોતાના નિયંત્રણમાં લઈ લેવામાં આવ્યા છે. આ મેગા ઓપરેશનમાં દેશભરમાંથી અંદાજે 2.5 લાખ જેટલા સુરક્ષાકર્મીઓ જોડાશે અને કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરશે.
આ વખતે પરીક્ષા માટે વિશેષ રૂપે થ્રી-લેયર સિક્યોરિટી એટલે કે ત્રિસ્તરીય સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રશ્નપત્રો અને ઉત્તરવહીઓને લાવવા, લઈ જવા તેમજ તેને સુરક્ષિત રાખવાની સંપૂર્ણ જવાબદારી અર્ધસૈનિક દળોને સોંપવામાં આવી છે. આ સિવાય દેશના 5000થી વધુ પરીક્ષા કેન્દ્રો પર લગાવેલા CCTV કેમેરાનું સીધું લાઈવ મોનિટરિંગ NTA ના મુખ્ય મથક પરથી કરવામાં આવશે.
પેપર લીકના ખોટા દાવા અને અફવાઓ ફેલાતી રોકવા માટે એક ઉચ્ચ સ્તરીય મોનિટરિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, જે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ચોવીસે કલાક નજર રાખશે. આ સમગ્ર મહાપરીક્ષા પર દેશની તમામ તપાસ એજન્સીઓ, જિલ્લા પ્રશાસન તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ સીધું ઓન-ગ્રાઉન્ડ નિયંત્રણ રાખશે.
21 જૂનની આ મહાપરીક્ષા માટે દેશભરમાંથી 22 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સત્તાવાર માહિતી અનુસાર, તેમાંથી 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ પોતાના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી ચૂક્યા છે. તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પરીક્ષાના સફળ સંચાલન માટે તમામ સ્તરે વ્યવસ્થાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
પ્રશ્નપત્રો ડિલિવરી માટે IAFએ ભરી ઉડાન
પરીક્ષાની અતિ સંવેદનશીલતાને જોતાં આ વખતે પ્રશ્નપત્રોની ગુપ્ત ડિલિવરીની કમાન ઇન્ડિયન ઍર ફોર્સ (IAF)ને સોંપાઈ છે. IAFએ છેલ્લા ૪ દિવસમાં દેશભરનાં પરીક્ષાકેન્દ્રો સુધી પેપર્સ પહોંચાડવા માટે ૨૦૦થી વધુ ઉડાનો ભરી છે. ૧૩ જૂનથી શરૂ થયેલા આ ગુપ્ત મિશનમાં વાયુસેનાનાં પરિવહન વિમાનો અને હેલિકૉપ્ટર્સ દ્વારા બે મુખ્ય હબ પરથી પેપર્સ એકત્રિત કરી દેશનાં વીસથી વધુ વ્યૂહાત્મક સ્થળોએ સુરક્ષિત પહોંચાડવામાં આવ્યાં છે. ફિઝિકલ સુરક્ષા એટલી ચુસ્ત છે કે દિલ્હીથી મદુરાઈ વિમાન મારફત અને ત્યાંથી સેનાના હેલિકૉપ્ટર દ્વારા તામિલનાડુના આર્મ્ડ રિઝર્વ ગ્રાઉન્ડ સુધી પેપર્સ મોકલવા માટે સ્પેશ્યલ મૉક ડ્રિલ પણ યોજાઈ હતી.
ટેલીગ્રામને દિલ્હી હાઇકોર્ટનો ઝટકો
દેશમાં રવિવારે યોજાનારી નૅશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ની રીએક્ઝામ પહેલાં પ્રખ્યાત મેસેજિંગ ઍપ્લિકેશન ટેલિગ્રામને દિલ્હી હાઈ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ટેલિગ્રામ પર લાદવામાં આવેલા અસ્થાયી પ્રતિબંધ વિરુદ્ધની અરજીને હાઈ કોર્ટે શુક્રવારે ફગાવી દીધી છે. અદાલતે ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું હતું કે પરીક્ષાની સંવેદનશીલતા અને કટોકટીભરી સ્થિતિને જોતાં સરકારનું આ પગલું બિલકુલ અયોગ્ય નથી, આ આદેશ સંપૂર્ણપણે સમજી-વિચારીને લેવાયો છે. મે મહિનામાં પરીક્ષાનું પેપર લીક થવા પાછળ ટેલિગ્રામ ચૅનલનો મોટા પાયે દુરુપયોગ થયો હોવાના અહેવાલો બાદ સરકારે મંગળવારે આ ઍપ્લિકેશન પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો હતો.
નાગપુરના વિદ્યાર્થીને અપાયું અબુધાબીનું પરીક્ષા કેન્દ્ર
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ફરી એકવાર મોટી બેદરકારી સામે આવી છે. નાગપુરના રહેવાસી એક વિદ્યાર્થીને (NEET Re-Exam) માટે અબુ ધાબી (યુ.એ.ઇ.) ખાતે પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની બેદરકારીને કારણે નાગપુરના અબ્દુલ્લાહ નામના વિદ્યાર્થીને 21 જૂને યોજાનારી NEETની પરીક્ષા માટે અબુધાબી (UAE)માં પરીક્ષા કેન્દ્ર ફાળવી દેવામાં આવ્યું છે. તેણે આ અંગે જણાવતા કહ્યું છે કે, “મારી પાસે તો પાસપોર્ટ પણ નથી, તો હું ત્યાં પરીક્ષા આપવા કેવી રીતે જઈ શકું.” પરીક્ષા પહેલા માત્ર એક દિવસ બાકી હોવાથી, વિદ્યાર્થી અને તેના માતાપિતા ખૂબ ચિંતિત છે. અગાઉ, વિદ્યાર્થીને નાગપુરમાં જ એક પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. અબ્દુલ્લાએ તેની અરજીમાં નાગપુર, વર્ધા અને ભંડારાને તેની પસંદગીના કેન્દ્ર તરીકે સૂચિબદ્ધ કર્યા હતા.
પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
NEET-UG રી-એકઝામમાં ભાગ લેતા ઉમેદવારોની વધારાની મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ત્રણ વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા સાથે ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા મણિનગર–બાંદ્રા ટર્મિનસ, ઓખા–ગાંધીનગર કેપિટલ અને ભાવનગર ટર્મિનસ–ગાંધીગ્રામ રૂટ પર એક-એક જોડી નીટ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે.
રી-એકઝામમાં વિદ્યાર્થીઓ માટે ગાઇડલાઇન
21 જૂન રવિવારના રોજ યોજાનારી NEET-UG રી-એકઝામ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ ડ્રેસ કોડ અને સુરક્ષા વ્યવસ્થા અંગે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે, પાઘડી, હિજાબ, સિંદૂર, મંગળસૂત્ર કે અન્ય ધાર્મિક પ્રતિકો સાથે જોડાયેલી વસ્તુઓ પર કોઈ પ્રતિબંધ નથી. જો કે, આવા ઉમેદવારોને વધારાની સુરક્ષા તપાસને ધ્યાનમાં રાખીને નિર્ધારિત સમય કરતાં વહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની સલાહ આપવામાં આવી છે.
રાજકોટમાં 12 કેન્દ્રો પર 5000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટમાં 12 પરીક્ષા કેન્દ્રો પરથી 5330 વિદ્યાર્થીઓ NEET-UG રી-એકઝામ આપવાના છે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ડીપી કલેક્ટર કક્ષાના અધિકારીઓની વિજલન્સ ટીમ તૈનાત રહેશે. રાજકોટના એડિશનલ કલેક્ટર જે.એચ.બારોટે જણાવ્યું હતું કે, રાજકોટમાં NEETની પરીક્ષાને લઈને બે દિવસ પહેલા કલેકટર ડૉ.ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં દરેક વિભાગો સાથે બેઠક થઈ હતી. રાજકોટ શહેર અને જિલ્લામાં 12 કેન્દ્રો પરથી ધોરણ 12 સાયન્સના 5330 વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ માટેની NEET-UG રી-એકઝામ આપવાના છે. જેમાં પેપરોના પરિવહનની જવાબદારી પ્રથમ વખત CISFના જવાનોને સોંપવામાં આવી છે. તેમની સાથે સ્થાનિક પોલીસ પણ રહેશે. દરેક પરીક્ષા કેન્દ્ર પર ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓને વિજિલન્સ ટીમ તરીકે મૂકવામાં આવશે.
આ સાથે જ એસટી વિભાગને પણ સૂચના આપવામાં આવી છે કે, વિદ્યાર્થીઓની અવરજવર મુજબના રૂટની ગોઠવણી કરે. આ ઉપરાંત પીજીવીસીએલ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે જેથી પરીક્ષા દરમિયાન વીજ કાપ ન મૂકાય. આ સાથે જ વિદ્યાર્થીઓ માટે આજે 20 જૂને ઓખાથી ગાંધીનગર અને 21 જૂને ગાંધીનગરથી ઓખા સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવનાર છે. બપોરે 2 થી 5.15 વાગ્યા દરમિયાનની પરીક્ષા માટે બપોરે 11 થી 1.30 વાગ્યા સુધી એન્ટ્રી આપવામાં આવશે. મેટલ ડિટેક્ટરથી કડક ચેકિંગની સાથે બાયોમેટ્રિક બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી આપવામાં આવશે.
પરીક્ષાનો સમય, એન્ટ્રીના નિયમો
- એન્ટ્રીનો સમય: પરીક્ષા બપોરે 2:00 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી ચાલશે. વિદ્યાર્થીઓને કેન્દ્ર પર બપોરે 11:00 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી જ પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ કોઈને એન્ટ્રી મળશે નહીં.
- કડક સ્ક્રીનિંગ: કેન્દ્રના મુખ્ય ગેટ પર મેટલ ડિટેક્ટરથી સઘન ચેકિંગ અને ડિજિટલ બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ થયા બાદ જ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેસવા દેવાશે.
- વિજિલન્સ સ્ક્વોડ: પરીક્ષા દરમિયાન શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા અને ચોરી કે ગેરરીતિના કિસ્સા ડામવા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના ફ્લાઈંગ સ્ક્વોડ સતત રાઉન્ડ મારશે.


