મેંગોપીપલ પરીવાર દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકો સાથે યોગદિવસની ઉજવણી
અગ્ર ગુજરાત, રાજકોટ
વિશ્વભરમાં જ્યારે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઝાકઝમાળ વચ્ચે ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ‘મેંગોપીપલ પરીવાર’ દ્વારા માનવતાની સુવાસ ફેલાવતું એક અત્યંત સંવેદનશીલ અને હૃદયસ્પર્શી કાર્ય કરવામાં આવ્યું છે. સંસ્થાએ દેખાડાની દુનિયાથી દૂર રહીને, સમાજના છેવાડાના અને વંચિત એવા ઝૂંપડપટ્ટીના માસૂમ બાળકોના આંગણે જઈને યોગની સાચી ઉર્જા અને કરુણાનો દીપ પ્રગટાવ્યો હતો.
ખુલ્લા આકાશ નીચે, ધૂળની વચ્ચે પણ જેમનું સ્મિત સોના જેવું કિંમતી છે તેવા નિર્દોષ ભૂલકાઓ સાથે મળીને યોગ દિવસની ખૂબ જ આત્મીયતાપૂર્વક ઉજવણી કરવામાં આવી. જે બાળકો ક્યારેય ‘યોગ’ શબ્દથી પણ પરિચિત નહોતા, તેઓ વહેલી સવારે વહાલથી જોડાયા અને ભારે શિસ્તબદ્ધ રીતે યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દિવ્ય આનંદ માણ્યો હતો.
આ આયોજન પાછળનો હેતુ માત્ર શારીરિક કસરત કરાવવાનો નહોતો, પરંતુ આ વંચિત આત્માઓને માનસિક શાંતિ, આત્મવિશ્વાસ અને એક સુરક્ષિત-તંદુરસ્ત જીવનનો અહેસાસ કરાવવાનો હતો. જ્યારે આ નાનકડા ભૂલકાઓએ પોતાની આંખો બંધ કરી, હાથ જોડીને ‘ઓમ’કારનો પવિત્ર નાદ કર્યો, ત્યારે ગરીબી અને અભાવની એ પળો આશીર્વાદમાં ફેરવાઈ ગઈ હોય તેવો દિવ્ય માહોલ સર્જાયો હતો. બાળકોની કુતૂહલતાથી ભરેલી આંખો અને તેમના ચહેરા પર છવાયેલું નિખાલસ સ્મિત જ આ સમગ્ર સેવાયજ્ઞની સાચી સફળતા હતી.


