ચારિત્રની શંકાએ લીધો જીવ
પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો
ખારચીયા ગામની પરિણીતાના મોતના કેસમાં ફોરેન્સિક પીએમથી સત્ય બહાર આવ્યું; બે માસૂમ સંતાનો માતાની મમતા વિહોણા થયા
અગ્ર ગુજરાત, રાજકોટ
ઉપલેટા તાલુકાના ખારચીયા ગામે પરિણીતાના ગળાફાંસાથી થયેલા મોતના બનાવમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. શરૂઆતમાં આત્મહત્યાનો બનાવ હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયેલા ખુલાસા બાદ સમગ્ર ઘટનાક્રમ બદલાઈ ગયો છે. પરિણીતાએ પોતે ગળાફાંસો ખાધો ન હતો, પરંતુ તેના પતિએ જ દોરડા વડે ગળાટૂંપો આપી હત્યા કરી હોવાનું સામે આવતા ભાયાવદર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.
આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. ખાસ કરીને બે નાનાં સંતાનોની માતાના મોત પાછળ પતિ જ જવાબદાર હોવાનું બહાર આવતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, મૂળ ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામના વતની અને હાલ મોરબી જિલ્લાના શક્ત શનાળા ગામે રહેતા રાજેશભાઈ ઉર્ફે રવિ માવજીભાઈ હેડમ્બાએ પોતાની બહેન ઇલાબેનના મોત અંગે બનેવી હિતેન્દ્ર લાખા બગડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ઇલાબેનના લગ્ન આશરે અગિયાર વર્ષ પહેલાં ખારચીયા ગામના હિતેન્દ્ર બગડા સાથે થયા હતા. દંપતીને નવ વર્ષનો દીકરો સાહિલ અને છ વર્ષની દીકરી જયેષ્ઠા એમ બે સંતાનો છે. બહારથી સામાન્ય લાગતું આ દાંપત્યજીવન અંદરખાને સતત તણાવ અને શંકાના વાદળોથી ઘેરાયેલું હતું.
પરિવારજનોના જણાવ્યા મુજબ હિતેન્દ્ર પોતાની પત્નીના ચારિત્ર અંગે વારંવાર શંકા કરતો હતો. આ શંકાના આધારે તે ઇલાબેનને શારીરિક તેમજ માનસિક રીતે હેરાન કરતો રહેતો હતો. પતિના ત્રાસથી કંટાળીને ઇલાબેન અનેક વખત પોતાના પિયર મોટી વાવડી તથા સગાંઓના ઘરે રિસામણે જતી રહી હતી. જોકે, સંતાનોના ભવિષ્ય અને ઘર સંસાર બચી રહે તે આશાએ તે ફરી સાસરે પરત ફરતી હતી.
ગત 23મી તારીખે ઇલાબેનના ભાઈ રાજેશભાઈ મોરબી ખાતે નોકરી પર હતા ત્યારે તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું હતું કે તેમની બહેન ઇલાબેને ગળાફાંસો ખાઈ લીધો છે. ત્યારબાદ ઇલાબેનના દિયરે પણ તાત્કાલિક ભાયાવદર આવવા જણાવ્યું હતું. સમાચાર મળતા જ રાજેશભાઈ અને તેમના ભાઈ હિતેષ ત્યાં પહોંચી ગયા હતા.
હોસ્પિટલમાં બહેનનો મૃતદેહ જોતા જ પરિવારજનોને અનેક શંકાઓ જન્મી હતી. મૃતદેહના ચહેરા પર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. ઉપરાંત માથાના વાળ અને કપાળ પર ધૂળ ચોંટેલી હતી. બીજી તરફ હિતેન્દ્રએ પરિવારજનોને જણાવ્યું હતું કે બપોરે બંને પતિ-પત્ની વાડીમાં ગયા હતા. ત્યાં ઇલાબેન પાણી ભરવાના બહાને ઓરડીમાં ગયા બાદ પરત ન ફરતા તપાસ કરતાં તેઓ દોરડાથી લટકતા હાલતમાં મળી આવ્યા હતા. આ વાત પરિવારજનોના ગળે ઉતરી નહોતી. કારણ કે ઇલાબેન પોતાના બે નાનાં સંતાનોને ખૂબ પ્રેમ કરતી હતી અને આત્મહત્યા જેવું પગલું ભરે તેવું તેમને લાગતું નહોતું. વધુમાં મૃતદેહ પર દેખાતા નિશાનોએ પણ પરિવારની શંકા મજબૂત બનાવી હતી. પરિવારજનોએ સામાન્ય પોસ્ટમોર્ટમને બદલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની માંગણી કરી હતી. ત્યારબાદ મૃતદેહને રાજકોટ ખાતે ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. આ નિર્ણય આખા કેસમાં સૌથી મહત્વપૂર્ણ સાબિત થયો.
ફોરેન્સિક નિષ્ણાતોની તપાસમાં ખુલ્યું કે ઇલાબેનનું મોત આત્મહત્યાથી નહીં પરંતુ ગળાટૂંપો આપવાથી થયું હતું. એટલે કે, તેમને કોઈએ દોરડા વડે ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ખુલાસા બાદ પતિએ રચેલી આત્મહત્યાની કહાની ખોટી સાબિત થઈ હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ પરિવારજનોએ સીધી હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ભાયાવદર પોલીસે હિતેન્દ્ર લાખા બગડા વિરુદ્ધ હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે પતિની સતત શંકા અને ત્રાસના કારણે દાંપત્યજીવનમાં લાંબા સમયથી વિખવાદ ચાલતો હતો. પોલીસ હવે ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. સાથે જ હત્યા બાદ આપઘાતનો દેખાવ ઉભો કરવા માટે કોઈ પુરાવા સાથે ચેડાં કરાયા હતા કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
આ સમગ્ર ઘટનામાં સૌથી કરુણ બાબત એ છે કે નવ વર્ષનો દીકરો અને છ વર્ષની દીકરી હવે માતાની મમતાથી વંચિત થઈ ગયા છે. એક તરફ માતાનું મોત અને બીજી તરફ પિતા સામે હત્યાના આરોપો વચ્ચે બંને માસૂમ સંતાનોનું ભવિષ્ય અનિશ્ચિતતામાં ધકેલાઈ ગયું છે.
ફિલહાલ પીઆઈ એચ. એમ. ધાંધલ અને તેમની ટીમે આરોપીની અટકાયત માટે તજવીજ હાથ ધરી છે. ફોરેન્સિક તપાસના આધારે ખુલ્લો પડેલો આ કેસ ફરી એકવાર દર્શાવે છે કે ઘણી વખત આત્મહત્યા જેવો દેખાતો બનાવ પાછળ ભયાનક હત્યાનું સત્ય છુપાયેલું હોય છે.


