શાળા પ્રવેશોત્સવને સશક્તિકરણનો મહાયજ્ઞ ગણાવતા રાજુભાઈ ધ્રુવ
સરકાર અને સમાજનું આત્મીય અનુસંધાન: શાળા પ્રવેશોત્સવને સાચું જનઆંદોલન કહેતા રાજુભાઈ ધ્રુવ
અગ્ર ગુજરાત, રાજકોટ
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ૨૪મી શ્રેણી અંતર્ગત શહેરની વિવિધ શાળાઓમાં ઉત્સાહભેર કાર્યક્રમો યોજાયા હતા. આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવ વિવિધ ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિમાં જિલ્લા ગાર્ડન પાસે આવેલી શ્રી પૃથ્વીરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નં. ૪૮, ભક્તિનગર સર્કલ પાસે આવેલી શ્રી પી. એન્ડ ટી. વી. શેઠ હાઇસ્કૂલ, ઢેબર રોડ સ્થિત શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય, શ્રમજીવી સોસાયટી ખાતે આવેલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રાથમિક શાળા નં. ૬૫ તેમજ માસ્ટર સોસાયટી ખાતે આવેલી શ્રી કસ્તૂરબા હાઇસ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવનિયુક્ત વિદ્યાર્થીઓનું સ્વાગત કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો તેમજ બાળકોને ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમણે વાલીઓને બાળકોને નિયમિત શિક્ષણ અપાવવા તેમજ કન્યા શિક્ષણને પ્રાથમિકતા આપવા માટે પણ પ્રેરિત કર્યા હતા.
આ તકે રાજુભાઈ ધ્રુવ જણાવે છે કે, “શિક્ષણ માત્ર અક્ષરજ્ઞાન નથી, પરંતુ વ્યક્તિ, પરિવાર, સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો પાયો છે.” આ વિચારને સાકાર કરવા માટે ગુજરાતમાં શરૂ થયેલો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આજે શિક્ષણથી સશક્તિકરણના મહાયજ્ઞ તરીકે વિકસ્યો છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તથા હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩માં શરૂ કરવામાં આવેલ ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ આજે તેની ૨૪મી શ્રેણીમાં પ્રવેશી સમગ્ર ગુજરાતમાં શિક્ષણના મહાપર્વ તરીકે ઉજવાઈ રહ્યો છે. આ અભિયાન માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ “શિક્ષણ માત્ર સરકારની જવાબદારી નહીં, સમગ્ર સમાજનો સંકલ્પ બનવો જોઈએ” એવા નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી વિચારનું જીવંત પ્રતિબિંબ છે.
વર્ષ ૨૦૦૩માં જ્યારે આ અભિયાનનો પાયો નખાયો ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના દરેક બાળકને શાળાના શિક્ષણ સાથે જોડવાનો, કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો, શાળા છોડનાર બાળકોને ફરી શિક્ષણની મુખ્યધારામાં લાવવાનો તેમજ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. સમય જતાં આ અભિયાન એક વ્યાપક જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે.


