જંગલેશ્વર ડિમોલેશનનો VIP ખર્ચનો વિવાદ વધુ ઉગ્ર બન્યો
ભ્રષ્ટાચારનો પર્યાય એટલે જયમીન ઠાકર : વશરામ સાગઠીયા
વિવિધ બીલો મુકીને કરાયેલો ભ્રષ્ટાચાર, હજુ આમાં જેસીબી, હિટાચી સહિતના મશીનરીના ખર્ચના બીલો તો બાકી જ રહ્યાં છે
મહાનગરપાલિકાના ઇતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી કરપ્ટેડ સ્ટેન્ડિંગ ચેરમેન આવ્યા હોય તો તે જયમીન ઠાકર છે : પૂર્વ વિપક્ષી નેતાના માજી સ્ટે.ચેરમેન પર આકરા પ્રહાર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જંગલેશ્વર ખાતે ૧૪૦૦ જેટલા દબાણો તોડી પાડવામાં આવ્યા હતાં. સૌરાષ્ટ્રનું થયેલું સૌથી મોટા ડિમોલેશનમાં ખર્ચનો વિવાદ સામે આવ્યો છે. જેમાં ખાણીપીણીનું ૨૭ લાખનું બીલ મનપામાં મુકવામાં આવ્યું હતું. ત્યારબાદ મીનરલ વોટર અને વીડિયોગ્રાફીનું બીલ પણ લાખોમાં મુકવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ખર્ચાઓ હાલ વિવાદનું કેન્દ્ર બન્યાં છે અને વિપક્ષે આ અંગે તાત્કાલિક શાસકોને ઘેર્યા છે. પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ માજી સ્ટે.ચેરમેન જયમીન ઠાકર પર આકરા પ્રહાર કરતાં આક્ષેપ કર્યા હતાં કે ભ્રષ્ટાચારનો પર્યાય એટલે જયમીન ઠાકર છે. અત્યાર સુધીમાં તેના જેવો કોઇ કરપ્ટેડ સ્ટેન્ડિંગ ચેરમેન મનપાના ઇતિહાસમાં આવ્યો નથી.
પૂર્વ નેતા વશરામ સાગઠીયાએ તત્કાલીન સ્ટે.ચેરમેન જયમીન ઠાકર પર ગંભીર આરોપો મૂકતાં પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં અત્યાર સુધીમાં જયમીન ઠાકર જેવો ભ્રષ્ટાચારી ચેરમેન આવ્યો નથી. કરપ્ટેડમાં કરપ્ટેડ કોઇ ચેરમેન હોય તો તે જયમીન ઠાકર છે. ઉલ્લેખનીય છે કે જયમીન ઠાકરના કાર્યકાળ દરમિયાન જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેના ખર્ચના બીલો હાલ નવી રચાયેલી બોડીના જનરલ બોર્ડમાં મૂકવામાં આવતાં ભારે વિવાદ સર્જાયો છે અને આ વિવાદમાં વિપક્ષે પણ ઝંપલાવ્યું છે.
જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચના વિવાદમાં વશરામ સાગઠીયાએ આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે મનપામાં મૂકવામાં આવેલા બીલમાં હજુ જેસીબી, હિટાચી મશીન તેમજ અનેક એવા ખર્ચાઓના બીલ મૂકવામાં આવ્યા નથી. જો આ બીલોને પણ ભેગા કરવામાં આવે તો કરોડો સુધીનો આંકડો આંબી જાય તેમ છે. જંગલેશ્વર ડિમોલેશન કરવાની પણ જરૂર ન્હોતી. કદાચ આ ડિમોલેશન કરવામાં ન આવ્યું હોત તો પણ ચાલત. પરંતુ ભાજપ સરકાર દ્વારા આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને ગરીબોના ઘર તોડી પાડવામાં આવ્યા હતાં. ડિમોલેશનના કારણે ૧૪૦૦થી વધુ પરિવારોના હજારો લોકો બેઘર થયાં છે અને તેના મૂળીયામાં પણ ભ્રષ્ટાચારના ઊંડા પાયા ધરબાયેલા છે.
કોર્પોરેશન દ્વારા જયમીન ઠાકરના કાર્યકાળ દરમિયાન જંગલેશ્વરનું જેટલા ખર્ચે ડિમોલેશન કરવામાં આવ્યું છે તેટલા ખર્ચે પીડિત પરિવારોને આવાસ બનાવી દેવામાં આવ્યા હોત તો પણ રૂપિયા વધે તેવો દાવો વશરામ સાગઠીયાએ જયમીન ઠાકર પર કરેલા આકરા પ્રહારમાં કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ડિમોલેશનના ખર્ચમાં વ્યાપક પણે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તત્કાલીન પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા મીલીભગતથી આ ખર્ચો થયો હોવાનું સંભવિત જાણવા મળી રહ્યું છે.
વધુમાં વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે ડિમોલેશનની દરખાસ્ત અને સંભવિત ખર્ચાઓ મહાનગરપાલિકાના કમિશનરના ટેબલ પરથી જ પસાર થતાં હોય છે. આ ખર્ચાઓ મંજૂર કરવામાં આવ્યા છે તેમાં પણ કયાંકને કયાંક મનપાના કમિશનરની પણ સંડોવણી હોય શકે છે? આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો ઘણાં ભ્રષ્ટાચારો ખુલ્લા પડી શકે તેમ છે. અમે ડિમોલેશન પહેલાં જંગલેશ્વર વિસ્તારમાં ત્રણથી ચાર સભાઓ પણ કરી હતી અને સરકારમાં અરજ પણ કરી હતી કે આ ડિમોલેશન અટકાવવામાં આવે પરંતુ તેની પણ કોઇ જાતની દરકાર લેવામાં આવી હતી નહી.
વશરામ સાગઠીયાએ ભાજપ અને જયમીન ઠાકર પર આકરા પ્રહાર કરતાં રોષ ઠાલવ્યો હતો કે સરકારમાં કોર્ટને પણ અવગણવામાં આવી રહી છે. ભાજપ પાસે કોર્ટનું પણ ચાલતું ન હોય અને ભાજપ સરકાર કોર્ટને પોતાના ખિસ્સામાં લઇ ફરતી હોય તેવો ઘાટ સર્જાયો છે. કોર્ટે પણ જંગલેશ્વરના ડિમોલેશનનો નિર્ણય લેવો પડયો હતો અને ડિમોલેશન બાબતે આદેશ આપ્યા હતાં.
હું નહીં ભાજપના પણ ઘણાં મિત્રો જયમીન ઠાકર ભ્રષ્ટાચારી હોવાનું કહી રહ્યાં છે
વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે જયમીને ઘણાં કૌભાંડ કર્યા છે અને ભ્રષ્ટાચાર કર્યા છે તેવું હું નહીં પણ ભાજપના ઘણાં મિત્રો આક્ષેપ કરી રહ્યાં છે. જયમીન ભ્રષ્ટાચારી હોવાનું ખુદ તેના પક્ષના જ સાથી કાર્યકરો આ વાત કરી રહ્યાં છે. જયમીને ઘણાં ઘણાં કૌભાંડો કર્યા છે.
જયમીને મારા પર કેસ કરવો હોય તો કરી દે : વશરામ સાગઠીયા
જયમીન ઠાકરે ઘણાં કૌભાંડો કર્યા છે તેવું અનેક વખત છાપાઓમાં પણ આવી ગયું છે અને ચેનલોમાં પણ ચલાવવામાં આવ્યું છે. જો મારા આક્ષેપો સામે જયમીન ઠાકરને વાંધો હોય તો મારી પર કેસ કરી શકે છે. તેવી ચેલેન્જ પણ પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ જયમીન ઠાકરને આપી છે. મારી દરેક વાત સત્ય છે અને હું આ વાત સાથે વળગેલો છું. જયમીન ઠાકરને મારી વાત સાથે કોઇપણ સમસ્યા કે વાંધો હોય તો મારી સામે કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.
એવા તો બોલ્યા કરે, મારે જવાબ દેવાનો ન હોય : જયમીન ઠાકર
પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ જયમીન ઠાકર વિરૂધ્ધ કરેલા ભયંકર આક્ષેપો અંગે જયમીન ઠાકરે જણાવ્યું હતું કે વિપક્ષનું કામ બોલવાનું છે, આક્ષેપો કરવાનું છે. આવા તો બોલ્યા કરે તેનો જવાબ દેવાનો ન હોય. રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી વિશે પણ કેટલાક લોકો બોલ્યા કરે છે, મારા કિસ્સામાં પણ એવું જ જોવા મળી રહ્યું છે. વશરામ સાગઠીયાના કહેવાથી મારે માની લેવાનું ન હોય. વિપક્ષનું કામ સત્તાધારી પક્ષ સામે આક્ષેપો કરવાનું જ હોય છે. જો આવા આક્ષેપોના જવાબ દેવા બેસીએ તો નવરા પણ થઇ ન શકીએ. જેથી આવા તો બોલ્યા કરે તેને અવગણીને આગળ ચાલવાનું હોય.
મેયર અને મ્યુનિ.કમિશનર ગાંધીનગરમાં
જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચને લઇને રાજકોટ સહિત સમગ્ર રાજયમાં ધમાસાણ મચી છે. રાજકોટ જંગલેશ્વર ડિમોલેશનનો અધધ ખર્ચ રાજય માટે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ ખર્ચની રાજય સરકારે પણ ગંભીરતાથી નોંધ લીધી છે. રાજકોટમાં ખર્ચને લઇને ચાલતાં વિવાદને કઇ રીતે ડામવો અને ઘીના ઠામમાં ઘી પડે તે રીતે પરિસ્થિતિને હેંડલ કરવી તે માટે થઇને શહેરના પ્રથમ નાગરિક મેયર ડો.નેહલ શુકલ અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ગાંધીનગર પહોંચ્યા છે. સંભવિત જંગલેશ્વરના ડિમોલેશન ખર્ચના વિવાદ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને પરિસ્થિતિની ફરી થાળે પાડવા સરકાર સાથે બેઠક યોજવામાં આવી હોવાની ચર્ચા સૂત્રોમાં થઇ રહી છે.
મનપાના વિવાદમાં જયમીન ઠાકર કેન્દ્ર સ્થાને હોવાની ચર્ચા
ડિમોલેશનના ખર્ચને લઇને હાલ શહેરભરમાં વિવાદ અને ચર્ચા થઇ રહી છે. પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ માજી સ્ટે.ચેરમેન જયમીન ઠાકર પર નિશાન સાધ્યું છે અને જયમીન ઠાકર ભ્રષ્ટાચારી હોવાના આક્ષેપ કર્યા છે. ત્યારે શહેરમાં એક ચર્ચા એવી પણ થઇ રહી છે કે મનપામાં જયારે કોઇપણ વિવાદ સર્જાય છે ત્યારે તેના મૂળમાં જયમીન ઠાકર હોવાનું સામે આવી છે. મનપાના મોટા ભાગના વિવાદમાં જયમીન ઠાકર કેન્દ્ર સ્થાને રહ્યાં છે તેવી ચર્ચા લોકમુખે અને સૂત્રોમાં થઇ રહી છે.


