ધોરાજીના ઝમેર-સોડવદર માર્ગ પર સાવેણી નદીનું ડ્રાયવર્ઝન તૂટતાં વાહન વ્યવહાર ઠપ્પ
જામનગર સહિતના ગામ જવાનો મહત્વપૂર્ણ માર્ગ ઘોવાતા લોકોને ભારે હાલાકી
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામથી સોડવદર થઈ જામનગર તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલી સાવેણી નદી ઉપર નવા પુલની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. પુલનું કામ ચાલુ હોવાથી વાહન વ્યવહાર માટે બાજુમાં તાત્કાલિક ડ્રાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ ગઈકાલે ઝાંઝમેર ગામ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે આ ડ્રાયવર્ઝનનું સંપૂર્ણ ધોવાણ થઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.
સાવેણી નદી ઉપર આવેલ પુલ ઝાંઝમેર, સોડવદર, ખજૂરા, ટીમડી, જામકંડોરણા તેમજ જામનગર સહિત અનેક ગામોને જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે. હાલ પુલની કામગીરી ચાલુ હોવાથી લોકો માટે આ એકમાત્ર વૈકલ્પિક માર્ગ એટલે કે ડ્રાયવર્ઝન જ અવરજવરનું સાધન હતું. જોકે સતત વરસેલા વરસાદના કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા ડ્રાયવર્ઝન તૂટી પડ્યું છે.
ડ્રાયવર્ઝનનું ધોવાણ થતાં ઝાંઝમેરથી સોડવદર, ખજૂરા, ટીમડી અને જામનગર તરફ જતો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. પરિણામે રોજિંદા અવરજવર કરતા લોકો, ખેડૂતો, વેપારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનો રસ્તા બંધ હોવાથી અટવાઈ ગયા છે અને લોકોને લાંબા અંતરના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.
સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઝાંઝમેર ગામના સરપંચે સંબંધિત વિભાગના અધિકારીઓ સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તેમણે જણાવ્યું છે કે વરસાદી સિઝનને ધ્યાનમાં રાખીને ડ્રાયવર્ઝનને વધુ મજબૂત બનાવવું જરૂરી હતું, પરંતુ પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે આજે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઝાંઝમેર ગામના સરપંચે તંત્રને તાત્કાલિક ધોરણે ડ્રાયવર્ઝનની મરામત કરીને વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે, જેથી આસપાસના ગામોના લોકોની અવરજવર ફરીથી સામાન્ય બની શકે.


