સૌરાષ્ટ્રના ૫૨૯ ગામમાં અજવાળા કરતું PGVCL
ભારે વરસાદથી પ્રભાવિત થયેલા વિસ્તારોમાં ૬૦ ટીમો ઉતારતી વીજ કંપની : 3૪૪ વીજ ફિડરોમાં રિપેરીંગની કામગીરી
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર પંથકમાં તાજેતરમાં થયેલા અતિભારે વરસાદ અને મેઘતાંડવના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને જનજીવન પ્રભાવિત થયું હતું. આ કુદરતી આફત બાદ પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા વીજ પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત કરવા માટે એક મોટું મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ભારે વરસાદ અને વાવાઝોડા જેવા માહોલ વચ્ચે પણ પીજીવીસીએલની ટીમો સતત કામગીરી કરી રહી છે. ચીફ એન્જિનિયરના સીધા માર્ગદર્શન હેઠળ ખાસ કરીને અમરેલી જિલ્લામાં કંપનીની ટીમો રાત-દિવસ જોયા વગર ફિલ્ડમાં તૈનાત છે.
પીજીવીસીએલ ના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્રના આપત્તિગ્રસ્ત 589 ગામોમાંથી 529 ગામોમાં વીજ પુરવઠો સફળતાપૂર્વક બહાલ કરી દેવામાં આવ્યો છે. વાવાઝોડા અને પૂરના કારણે વીજ વ્યવસ્થાને મોટું નુકસાન પહોંચ્યું હતું, જેમાં આશરે 27 ટ્રાન્સફોર્મર અને 344 જેટલા વીજ ફીડરો ખરાબ રીતે પ્રભાવિત થયા હતા.
આ ખામીઓને દૂર કરવા માટે હાલમાં 60 જેટલી સ્પેશિયલ ટીમો યુદ્ધના ધોરણે મેદાનમાં ઉતારવામાં આવી છે. તંત્ર દ્વારા બાકી રહેલા 60 ગામોમાં પણ આજે સાંજ સુધીમાં કોઈપણ ભોગે વીજળી શરૂ કરી દેવાનો મક્કમ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
અત્યારે પણ અનેક વિસ્તારોમાં વીજપોલ અને સબ-સ્ટેશનની આસપાસ પાણી ભરાયેલા છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, જેમ-જેમ પૂરના પાણી ઓસરશે, તેમ-તમે તમામ પ્રભાવિત વીજપોલ અને ટ્રાન્સફોર્મરનું રિપેરિંગ કામ વધુ ઝડપી બનાવવામાં આવશે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે અકસ્માતો નિવારવા માટે પીજીવીસીએલ દ્વારા નાગરિકોને એક ખાસ અપીલ કરવામાં આવી છે કે, કોઈ પણ સામાન્ય નાગરિકે તૂટેલા વીજપોલ કે લાઈવ વાયર સાથે જાતે ચેડાં કરવા નહીં. કોઈ પણ પ્રકારની વીજ સમસ્યા કે ફોલ્ટના કિસ્સામાં માત્ર અને માત્ર કંપનીના સત્તાવાર કર્મચારીઓનો જ સંપર્ક કરવા તાકીદ કરવામાં આવી છે.


