શહેરમાં ચણા મમરા ની જેમ વેચાતા તમંચાઓ, રિવોલ્વર, કાર્તિસ અને હથિયારો
શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ચિથરેહાલ બની : ક્ષત્રિય ગિરાસદાર સેના
અગ્ર ગુજરાત, રાજકોટ
ક્ષત્રિય ગિરાસદાર સેનાના ગજેન્દ્રસિંહ ઝાલા (ખેરવા), એડવોકેટ ઈન્દુભા રાઓલ (લાખણકા), વીરભદ્રસિંહ જાડેજા (ઘનશ્યામપુર ખોખરી), પૂર્વ ફોજી નટુભા ઝાલા (વનાળા)ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ચિથરેહાલ બની છે. એક સમયનું શાંત અને રંગીલુ રાજકોટ શહેર આજે અપરાધીનગર બન્યું છે.
ગઈકાલે રાત્રે નાના મૌવા ખાતે નજીવા ઝઘડામાં અંધાધુંધ ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી ગરાસીયા યુવાનની હત્યા ની ઘટના અને શાપર પાસે તાજેતરમાં થયેલી લૂંટ અને ધાડની ઘટનાને ક્ષત્રિય ગિરાસદાર સેના સખત શબ્દોમાં વખોડે છે. રાજકોટમાં ખાખીનો ખોફ ઓસરી ગયો છે. રાજકોટ શહેરમાં સમયાંતરે ભડાકા થવાની ઘટના વખતો વખત બનતી રહે છે. શહેરમાં જેટલા ફટાકડા ફૂટે છે એટલા ભડાકા થાય છે. શહેરમાં ચણા મમરાની જેમ દેશી તમંચાઓ અને હથિયારો વેચાતા રહે છે અને સપ્લાયર થતા રહે છે. દેશી તમંચાઓ, રિવોલ્વર, કાર્તિસ અને આધુનિક હથિયારો સાથે લુખ્ખાઓ પોલીસના હાથે પકડાતા રહે છે. જે રાજકોટ શહેર અને જિલ્લાના પોલીસ તંત્રના રેકોર્ડ પર મૌજુદ છે. પોલીસ રાજકોટ શહેરમાં રિવોલ્વર તમંચાઓ આધુનિક હથિયારો કોણ સપ્લાય કરે છે અને કયાંથી આવે છે. તેની ઊંડી તપાસ કરવામાં ઉણી ઉતરી હોવાના પગલે આ પ્રકારની ઘટનાઓ શહેર અને જિલ્લામાં બનતી રહે છે. શહેરમાં નજીવી બાબતે ટોળા સાથે હુમલો કરવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ ડામવામાં પોલીસ તંત્ર અને રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ પુરવાર થઈ છે. જે પગલે શહેર જિલ્લાનો ક્રાઈમ રેટ ઉચકાયો છે. રાજકોટમાં ચાલી રહેલા ગુંડારાજ અને લુખ્ખાઓના આતંક સામે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કશું બોલી શકતા નથી.


