વેરાવળ જુગારધામ દરોડા કેસમાં પોલીસનો શિકંજો કસાયો, 33 આરોપીઓની અટકાયત
SMCના દરોડામાં ફાયરિંગ અને પોલીસ પર હુમલાના કેસમાં LCB, SOG અને D-સ્ટાફનું સંયુક્ત સર્ચ ઓપરેશન: ફરાર આરોપીઓને ઝડપી પાડવા જુદી જુદી ટીમો કાર્યરત
અગ્ર ગુજરાત, વેરાવળ
વેરાવળ શહેરના કોળીવાળા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા જુગારધામ પર પાડવામાં આવેલા દરોડા દરમ્યાન સર્જાયેલા હંગામા, પોલીસ પર હુમલા અને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવેલા ફાયરિંગના સમગ્ર પ્રકરણમાં ગીર સોમનાથ પોલીસે કાર્યવાહી વધુ તેજ બનાવી છે. આ ઘટનાના અનુસંધાને નોંધાયેલા બે અલગ-અલગ ગુનાઓમાં અત્યાર સુધી કુલ 33 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળના કોળીવાડા વિસ્તારમાં દરોડામાં જુગાર રમતા ઇસમો અને ત્યારબાદ એકત્ર થયેલા ટોળાએ પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પરિસ્થિતિ વધુ વણસતા SMC ના પીઆઈએ આત્મરક્ષાના ભાગરૂપે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવું પડયુ હતુ. આ સમગ્ર ઘટનાએ રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવી હતી. આ ઘટનામાં થયેલ પોલીસ કાર્યવાહી અંગે ડીવાયએસપી ચેતન ખટાણાએ માહિતી આપતા જણાવેલ કે, પોલીસે જુગારધારા હેઠળ એક તથા પોલીસ પર હુમલો, ફરજમાં રૂકાવટ, હત્યાના પ્રયાસ, રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ બીજો ગુનો નોંધ્યો હતો. જેમાં જુગારધારાના ગુનામાં કુલ 34 આરોપીઓ સામે ગુનો નોંધેલ જેમાંથી અત્યાર સુધી 13 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે પોલીસ પર હુમલો અને ફરજમાં રૂકાવટના ગુનામાં કુલ 40 આરોપીઓ સામે ગુનો નોંધેલ જેમાંથી 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
વધુમાં ફરાર આરોપીઓને ઝડપવા માટે જિલ્લા પોલીસ દ્વારા એલસીબી, એસઓજી અને ડી-સ્ટાફની વિશેષ ટીમોને કામગીરી સોંપવામાં આવી છે. વિવિધ વિસ્તારોમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે તેમજ ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય સૂત્રોના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો છે. સાથે જ સમગ્ર ઘટનાની તપાસ પણ વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળ ધપાવવામાં આવી રહી છે.
SMC ના દરોડાઓથી જીલ્લા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા
અત્રે નોંધનીય છે કે, છેલ્લા છએક માસ દરમ્યાન સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે વેરાવળ, તાલાલા, ગીરગઢડા અને ઉનામાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈ સાતેક જેટલા દરોડા પાડી નોંધપાત્ર કડક કાર્યવાહી કરી છે. ત્યારે જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા દિવસ-રાત ફરજ બજાવતી એલસીબી, એસઓજી સહિતની મહત્વની બ્રાન્ચોની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. જેથી આ બાબતની ઉચ્ચ કક્ષાએથી નોંધ લઈ જીલ્લા પોલીસની કામગીરી સુદઢ બનાવવા કોઈ પગલા ભરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યુ.


