ખેડૂત આંદોલન આક્રમક : મોરબીમાં 3૬૫ ગામના ખેડૂતોની રેલી
મુખ્ય ત્રણ સહિત ૨૨ મુદાઓનું 3૬૫ ગ્રામ પંચાયતના લેટર પર માંગણીઓ કરતુ આવેદન કલેકટરને પાઠવ્યું : માંગ નહી સ્વીકારાય તો આંદોલન યથાવત રાખવાની ચીમકી
અગ્ર ગુજરાત, મોરબી
થોડા દિવસ અગાઉ સરકારે ગુજરાતમાં ખાનગી કંપનીઓના વીજપોલ માટે નવી વળતર નીતિ જાહેર કરી હતી, જેનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ નીતિના અસ્વીકાર બાદ ‘આંદોલન પાર્ટ-3’ હેઠળ મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતોએ કૂચ કરી છે. મહિલાઓ અને ખેડૂતો સહિત અંદાજે 1200 – 1500 જેટલા લોકો રેલીમાં જોડાયા હતા. ખેડૂતોએ 365 ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે નવા પરિપત્રનો વિરોધ વ્યક્ત કરી અને તેમની માંગણી મુજબ વળતરની માગ કરતુ આવેદનપત્ર કલેક્ટરને આપ્યું હતું.
ખેડૂતોની મુખ્ય માંગણી છે કે, તેમના ખેતરોમાં ઊભા કરવામાં આવતા વીજપોલ સામે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને તેમને પૂરતું વળતર આપવામાં આવે. મોરબી મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધીની પદયાત્રા યોજીને આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં આંદોલનના મુખ્ય અગ્રણી નેહુલ અમૃતિયાએ જણાવ્યા મુજબ, સરકાર દ્વારા તા. 4 જુલાઇએ 2026ના રોજ જે પરિપત્ર નવી વળતર નીતિ માટે જાહેર કરવામાં આવ્યો છે તેમાં સુધારો કરવા માટે તેને કુલ ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા છે. આ સિવાય ખેડૂતોના હિતને લગતા અન્ય 22થી 23 જેટલા જુદા-જુદા મુદ્દાઓ પણ આવેદન પત્રમાં રજૂ કરવામાં આવ્યા છે.
મુખ્ય ત્રણ માંગણી નવા પરિપત્રની અંદર સુધારો કરવા માટે કલેક્ટર માર્ફતે સરકારને આપવામાં આવી છે અને જો તેને સરકાર દ્વારા નહીં સ્વીકારવામાં આવે તો આ પરિપત્ર આખા ગુજરાતના ખેડૂતોને લાગુ પડે છે, જેથી ગુજરાતના ખેડૂતો જે નક્કી કરશે તે મુજબ આગામી સમયમાં આંદોલન ચાલુ રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ આંદોલનની શરૂઆત મોરબીના જેતપર ગામે થઈ હતી, જ્યાં ખેડૂતો ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતા અને સમયસર વળતરની માગ કરી રહ્યા હતા. અગાઉ પ્રતિક ઉપવાસ અને ત્યાર બાદ 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન સરકારે ખાનગી વીજ કંપનીના વીજપોલ અને કોરિડોર માટે નવી વળતર નીતિ જાહેર કરી હતી અને તેનો પરિપત્ર પણ બહાર પાડ્યો હતો.
ખેડૂતોએ સરકારને 3 વિકલ્પ આપ્યા
વિકલ્પ:1 (ટાવર બેઝ અને કોરિડોર વળતરમાં સુધારો)
ટાવર બેઝ : વર્તમાન 200 ટકાની જગ્યાએ 400% વળતર આપવામાં આવે.
કોરિડોર : ગ્રામીણ વિસ્તાર, નગરપાલિકા કે મહાનગરપાલિકા-આ ત્રણેય માટે એક સમાન રીતે 260% વળતર નક્કી કરવામાં આવે.
વિકલ્પ: 2 (જમીન સંપાદન કાયદો 2013)
વર્ષ 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ, જમીનની બજાર કિંમતના ચાર ગણું વળતર થાંભલા અને તાર બંને માટે ચૂકવવામાં આવે.
વિકલ્પ: 3 (લાઈસન્સ રૂલ 2006 મુજબ ભાડું)
લાઇસન્સ રૂલ્સ 2006ના આધારે, વીજ કંપની અને ખેડૂત બંને પરસ્પર સમજૂતી કરીને જમીનનું ભાડું નક્કી કરે.


