“વેટીવર ઘાસ”: જમીન, જળ અને જીવનને સુરક્ષિત બનાવતું પ્રકૃતિનું અનમોલ વરદાન
માટી ધોવાણ રોકવાની ક્ષમતા અને પર્યાવરણ સંરક્ષણ માટે “Miracle Grass”, “Soil Saver” અને “Nature’s Green Barrier” જેવા ઉપનામોથી જાણીતા વેટીવર ઘાસથી જળ-જમીન સંરક્ષણ સાથે આર્થિક ઉપાર્જનની તકો
સુગંધિત મૂળમાંથી તેલ, અત્તર, કોસ્મેટિક્સ અને આયુર્વેદિક ઉત્પાદનો તેમજ પાંદડા-તણખલાંમાંથી હસ્તકલાની ચીજવસ્તુઓનું ઉત્પાદન
આબોહવા પરિવર્તન, જમીન ધોવાણ, પાણીની અછત અને પર્યાવરણ પ્રદૂષણ જેવી સમસ્યાઓના કુદરતી અને ટકાઉ ઉકેલ તરીકે વેટીવર ઘાસ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. માટી અને જળ સંરક્ષણથી લઈને પર્યાવરણ શુદ્ધિકરણ તથા ગ્રામ્ય રોજગારી સુધી અનેક ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થઈ શકે છે.
વેટીવરનું વૈજ્ઞાનિક નામ Chrysopogon zizanioides છે. આ ઘાસ ગરમ અને વરસાદી આબોહવામાં સારી રીતે વિકસે છે. તેનો છોડ સામાન્ય રીતે ૧.૫થી ૨ મીટર સુધી ઊંચો થાય છે, જ્યારે તેની મજબૂત મૂળ પ્રણાલી જમીનમાં ૩થી ૪ મીટર સુધી ઊંડી જઈ શકે છે. આ ઊંડી અને ગાઢ મૂળ વ્યવસ્થા તેને માટી ધોવાણ રોકવા માટે અત્યંત ઉપયોગી બનાવે છે.
ખેતરની હદ, ઢોળાવવાળા વિસ્તારો, નદી-નાળાના કાંઠા, તળાવો અને ચેકડેમ આસપાસ વેટીવરનું વાવેતર કરવાથી જમીનની સ્થિરતા વધે છે અને ઉપજાઉ માટીનું ધોવાણ ઘટે છે. તેના મૂળ વરસાદી પાણીને જમીનમાં ઉતરવામાં મદદ કરે છે અને પાણીના વહેણની ગતિ ધીમી કરીને જળ સંચયને પ્રોત્સાહન આપે છે. ભારે વરસાદ દરમિયાન રસ્તા, કેનાલ, રેલવે લાઇન તથા અન્ય માળખાઓના કિનારા ધોવાઈ જવાની સમસ્યા ઘટાડવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે.
પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણમાં પણ વેટીવર ઉપયોગી છે. જમીન અને પાણીમાં રહેલા કેટલાક પ્રદૂષકો તથા ભારે ધાતુઓને શોષવાની તેની ક્ષમતાને Phytoremediation તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત, વેટીવરનો જૈવિક દ્રવ્ય અને મૂળ કાર્બન સંગ્રહમાં પણ યોગદાન આપી શકે છે. તેથી આ ઘાસને Nature-based Solution (NbS) તરીકે પણ મહત્વ મળી રહ્યું છે.
વેટીવરનો ઉપયોગ માત્ર પર્યાવરણ સંરક્ષણ પૂરતો સીમિત નથી. તેના સુગંધિત મૂળમાંથી મેળવાતું વેટીવર તેલ અત્તર, સુગંધિત દ્રવ્યો, સાબુ, કોસ્મેટિક્સ અને આયુર્વેદિક ઉત્પાદનોમાં ઉપયોગમાં લેવાય છે. તેની વિશિષ્ટ સુગંધને કારણે અરોમાથેરાપીમાં પણ તેનો ઉપયોગ થાય છે.
ભારતમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને બિહાર સહિતના રાજ્યોમાં વેટીવર (ખસ)નું ઉત્પાદન થાય છે. તેનો ઉપયોગ સુગંધિત તેલ ઉપરાંત માટી-જળ સંરક્ષણ અને પર્યાવરણીય પુનઃસ્થાપન માટે થાય છે.
ગ્રામીણ અર્થતંત્ર માટે પણ વેટીવર રોજગારીનું સાધન બની શકે છે. તેના પાંદડા અને તણખલાંમાંથી ચટાઈ, ટોપલી, પંખા, પડદા તથા વિવિધ સુશોભન સામગ્રી જેવી હસ્તકલાની ચીજવસ્તુઓ બનાવી શકાય છે. આ પ્રવૃત્તિઓ ખાસ કરીને ગ્રામ્ય મહિલાઓ માટે સ્વરોજગારની નવી તકો ઊભી કરી શકે છે.
વેટીવર દુષ્કાળ, પૂર, ઊંચા તાપમાન જેવી પડકારજનક પરિસ્થિતિઓમાં પણ વિકસવાની ક્ષમતા ધરાવે છે અને વિવિધ પ્રકારની જમીનમાં ઉગી શકે છે. ઓછા જતન અને પ્રમાણમાં ઓછા ખર્ચે ઉગાડી શકાય તેવું આ ઘાસ પર્યાવરણલક્ષી યોજનાઓ માટે ઉપયોગી કુદરતી સાધન બની શકે છે.
આમ, વેટીવર ઘાસ માત્ર સામાન્ય ઘાસ નથી, પરંતુ માટી અને જળ સંરક્ષણ, પ્રદૂષણ નિયંત્રણ, પર્યાવરણ પુનઃસ્થાપન અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાની ક્ષમતા ધરાવતી કુદરતી સંપત્તિ છે. વિકસિત ભારતના સંકલ્પ સાથે હરિત અને ટકાઉ વિકાસ તરફ આગળ વધતા સમયમાં વેટીવર ઘાસ ભાવિ પેઢીઓ માટે સુરક્ષિત પર્યાવરણની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
માહિતી સંકલન: રિધ્ધિ ત્રિવેદી


