સોમનાથમાં શિવ મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ
પવિત્ર શ્રાવણ માસમાં હર હર ભોલે, જય સોમનાથના ભકિતમય નાદથી પરિસર ગુંજી ઉઠશે : વિવિધ કાર્યક્રમોનું આયોજન
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
પ્રથમ જ્યોતિર્લિંગ એવા વિખ્યાત યાત્રાધામ સોમનાથ ખાતે આવતીકાલે 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી 30 દિવસીય પવિત્ર શ્રાવણ શિવ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સમગ્ર માસ દરમિયાન સોમનાથ મંદિર પરિસર ‘હર હર ભોલે’ અને ‘જય સોમનાથ’ના ભક્તિમય નાદથી ગુંજી ઉઠશે. લાખો શ્રદ્ધાળુઓના આગમનને ધ્યાને રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
આ વર્ષે શ્રાવણ માસ દરમિયાન પ્રથમ વખત સતત 30 દિવસ સુધી 51 કુંડી ભવ્ય મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જે આ શિવ મહોત્સવનું મુખ્ય આકર્ષણ રહેશે.
આ ઉપરાંત, સમગ્ર માસ દરમિયાન સોમનાથ મહાદેવના દરરોજ મનોહર વિશિષ્ટ શૃંગાર કરવામાં આવશે, જેમાં શ્રાવણના દરેક સોમવારે ખાસ શૃંગાર દર્શન થશે. પવિત્ર ચાર સોમવાર ઉપરાંત પૂર્ણિમા, માસિક શિવરાત્રિ અને અમાસના વિશેષ અવસરો પર સોમનાથ મહાદેવની ભવ્ય પાલખીયાત્રા પણ યોજાશે.
મંદિરે આવતા દિવ્યાંગો અને વૃદ્ધ શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગથી મંદિર સુધી નિઃશુલ્ક ટોય ટ્રેન અને અન્ય વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. સંકીર્તન ભવનમાં ધ્વજા પૂજા, રુદ્રાભિષેક સહિતની વિવિધ વિધિઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશ-વિદેશના ભક્તો માટે ઘરે બેઠા ઓનલાઈન બિલ્વ પૂજા તથા અન્ય પૂજા-યજ્ઞ નોંધણીની સુવિધા પણ શરૂ કરાઈ છે.
આ સાથે દરેક સોમવારે ‘વંદે સોમનાથ’ કલા મહોત્સવમાં નામાંકિત કલાકારો કલા આરાધના કરશે. લાખો ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સુરક્ષા, ટ્રાફિક, પાર્કિંગ, ભોજન અને સ્વચ્છતાની સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે.


