નામની ભૂલથી રાજકોટ સિવિલમાં 18 કલાક દર્દીઓ વચ્ચે મૃતદેહ રઝળ્યો
પરિવારને મૃતદેહ સોંપવા માટે નોટરીનો આગ્રહ કરાયો હોવાનો આક્ષેપ : આધારકાર્ડના આધારે સુધારો થઈ શકે તેવી બાબતમાં પરિવારને કોર્ટ-કચેરીના ધક્કા ખાવા પડ્યા
RMO દુસરાએ કહ્યું- રૂ.50ના સ્ટેમ્પ પર નોટરી કરાવી આવો પછી મૃતદેહ આપીએ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના શાપર વિસ્તારમાં ગત તા.12 ઓગસ્ટે બનેલા હત્યાના ચકચારી બનાવ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલા યુવકનું મોત થયા પછી હોસ્પિટલની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. મૃતક યુવકનું નામ હોસ્પિટલના રેકોર્ડમાં અલગ રીતે નોંધાઈ જતા મૃતદેહ પરિવારજનોને સોંપવામાં વિલંબ થયો હોવાનો આક્ષેપ છે. પરિવારનો દાવો છે કે વહેલી સવારે આશરે ચાર વાગ્યે યુવકનું મૃત્યુ થયું હોવા છતાં લાંબા સમય સુધી મૃતદેહ દર્દીઓની અવરજવર વચ્ચે જ રાખવામાં આવ્યો હતો અને નામની ભૂલ સુધારવા માટે પરિવારને ભારે ધક્કા ખાવા પડ્યા હતા.
મૃતક યુવકની ઓળખ બ્રિજવિહારી તરીકે થઈ હોવાનું જાણવા મળે છે. પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા બાદ મૃતદેહ મેળવવાની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે, નામમાં રહેલી ભૂલના કારણે મૃતદેહ સોંપવામાં આવ્યો ન હોવાનું પરિવારજનોનું કહેવું છે. જે વિગતો આધારકાર્ડ સહિતના દસ્તાવેજોના આધારે સુધારી શકાય તેવી હોવા છતાં પરિવારને નોટરી કરાવવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ, મૃતદેહ વહેલી સવારે મૃત્યુ પામ્યો હોવા છતાં મૃત જાહેર કરવાની કાર્યવાહી અને મેડિકલ રેકોર્ડમાં સમયની નોંધ અંગે પણ અસ્પષ્ટતા જોવા મળી હતી. નર્સિંગ સ્ટાફ અને તબીબો વચ્ચે મૃતકના મૃત્યુનો ચોક્કસ સમય રેકોર્ડમાં કયો દર્શાવવો તે અંગે ચર્ચા થઈ હોવાનો પણ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ગંભીર બનાવમાં આવી પ્રકારની બેદરકારી દર્દીના પરિવાર માટે વધુ મુશ્કેલી ઊભી કરે છે તેવો રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. મૃતદેહ સોંપવા અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના RMO હર્ષદ દૂસરાએ જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે, નામની ભૂલને કારણે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી હતી અને પરિવાર રૂ.50ના સ્ટેમ્પ ઉપર નોટરી કરાવીને આવે ત્યારબાદ મૃતદેહ સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અંતે જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આશરે છ કલાક પછી પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
આ સમગ્ર ઘટનાએ રાજકોટ સિવિલ હોસ્પિટલની વહીવટી કામગીરી સામે ફરી પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. એક તરફ ગંભીર હત્યાના બનાવમાં પરિવાર પહેલેથી જ આઘાતમાં હોય અને બીજી તરફ મૃતદેહ મેળવવા માટે કાગળની પ્રક્રિયા તથા નોટરી માટે દોડધામ કરવી પડે તો હોસ્પિટલની વ્યવસ્થાની સંવેદનશીલતા અંગે સવાલ ઊભો થાય છે.
હોસ્પિટલમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિયમિત રાઉન્ડ અને વોર્ડની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે કે નહીં તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. હોસ્પિટલમાં અધિકારીઓની મુલાકાત હોય ત્યારે તંત્ર સક્રિય બની જતું હોવાના આક્ષેપો વચ્ચે સામાન્ય દિવસોમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને થતી મુશ્કેલીઓ પર ધ્યાન આપવાની જરૂરિયાત વ્યક્ત થઈ રહી છે. હવે સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા શું તપાસ કરવામાં આવે છે અને નામની સામાન્ય ભૂલને કારણે મૃતદેહ સોંપવામાં થયેલા વિલંબ અંગે જવાબદારી નક્કી થાય છે કે નહીં તે જોવાનું રહ્યું.


