જન્મદિવસ જ બન્યો જિંદગીનો અંતિમ દિવસ
ચારના મોતથી ખુશી માતમમાં ફેરવાઈ
બેડી પાસે તળાવમાં ડૂબી રહેલા ત્રણ બાળકોને બચાવવા જતાં યુવાને પણ ગુમાવ્યો જીવ : બે સગા ભાઈ સહિત ચારના કરૂણ મોત, એક યુવાનનો ચમત્કારિક બચાવ
અગ્ર ગુજરાત, રાજકોટ



રાજકોટ નજીક બેડી ગામની સીમમાં નેસવડા પીર બાપુની દરગાહ નજીક રવિવારે બપોરે સર્જાયેલી હૃદયદ્રાવક ઘટનાએ એક પરિવારની ખુશીઓને ક્ષણવારમાં માતમમાં ફેરવી દીધી હતી. રોણકી ગામથી દરગાહે સલામ ભરવા ગયેલા મુસ્લિમ પરિવારના સભ્યોમાંથી ત્રણ બાળકો તળાવમાં ડૂબવા લાગ્યા હતા. બાળકોને બચાવવાના પ્રયાસમાં બે યુવાનો પણ તળાવમાં કૂદી પડ્યા હતા. આ ઘટનામાં બે સગા ભાઈઓ સહિત ત્રણ બાળકો અને એક યુવાન મળી કુલ ચારના મોત થયા હતા, જ્યારે એક યુવાનનો સદનસીબે બચાવ થયો હતો.
મૃતકોમાં સેફાન સાજીદભાઈ અભેસરા (ઉ.વ.6), તેનો મોટો ભાઈ સોહાન સાજીદભાઈ અભેસરા (ઉ.વ.11), રોણકીમાં રહેતી અલીફા અકરમભાઈ સોરા (ઉ.વ.9) અને સાહીલ જમાલભાઈ અભેસરા (ઉ.વ.20)નો સમાવેશ થાય છે. બનાવને પગલે ખોડીયારનગર અને રોણકીમાં રહેતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
મળતી વિગતો મુજબ, 150 ફૂટ રિંગ રોડ નજીક ખોડીયારનગરમાં રહેતા સાજીદભાઈ અભેસરા પરિવાર માટે રવિવારનો દિવસ ખુશીનો હતો. તેમના પુત્રનો જન્મદિવસ હોવાથી પરિવારના સભ્યો રોણકી ગામે ફઈના ઘરે ભેગા થયા હતા. ત્યારબાદ પરિવારના આશરે 15 જેટલા સભ્યો જુદા-જુદા વાહનોમાં બેસી બેડી ગામની સીમમાં આવેલી નેસવડા પીર બાપુની દરગાહે સલામ ભરવા માટે નીકળ્યા હતા. દરગાહ પાસે પહોંચ્યા બાદ પરિવારના સભ્યો ધાર્મિક વિધિમાં વ્યસ્ત હતા ત્યારે છ વર્ષનો સેફાન કોઈ રીતે નજીકના તળાવમાં પડી ગયો હતો. પાણીમાં પડ્યા બાદ બાળક ડૂબવા લાગતા પરિવારજનોમાં અચાનક દેકારો મચી ગયો હતો. નાના ભાઈને બચાવવા તેનો મોટો ભાઈ સોહાન અને પરિવારની નવ વર્ષની બાળકી અલીફા પણ તળાવમાં કૂદી પડ્યા હતા. જોકે પાણીની ઊંડાઈ અને પરિસ્થિતિને કારણે ત્રણેય બાળકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
બાળકોને ડૂબતા જોઈ પરિવારના બે યુવાનો સાહીલ જમાલભાઈ અભેસરા અને તેનો મોટો ભાઈ રીયાઝ પણ તેમને બચાવવા માટે તળાવમાં ઉતર્યા હતા. બચાવના પ્રયાસ દરમિયાન સાહીલ પણ પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. બીજી તરફ રીયાઝ કોઈક રીતે તળાવમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ પરિવારના અન્ય સભ્યો અને આસપાસના લોકોએ ભારે જહેમત બાદ ચારેયને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
બેભાન હાલતમાં ચારેયને તાત્કાલિક રાજકોટની સિવિલ અને ઝનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે તબીબોની તપાસ બાદ સેફાન, સોહાન, અલીફા અને સાહીલને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. એકસાથે ચાર લોકોના મોતના સમાચાર મળતા પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હતું. હોસ્પિટલ પર પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
આ ઘટનામાં સૌથી કરુણ બાબત એ રહી કે સેફાનનો જન્મદિવસ હતો. જે દિવસે પરિવાર બાળકનો જન્મદિવસ ઉજવવા અને ખુશી વહેંચવા માટે એકઠો થયો હતો, એ જ દિવસ પરિવાર માટે ક્યારેય ન ભૂલી શકાય તેવી કરૂણ યાદ બની ગયો. સેફાન અને સોહાનના પિતા સાજીદભાઈ ખોડીયારપરા વિસ્તારમાં પાનની દુકાન ચલાવે છે. બે પુત્રોના એકસાથે મોતથી તેમની હાલત અત્યંત દયનીય બની હતી.
હોસ્પિટલમાં પહોંચેલા સાજીદભાઈના મોઢેથી વારંવાર પુત્રોને પાછા બોલાવવાની આજીજી નીકળી રહી હતી. શોકમાં ગરકાવ પિતાએ આક્રંદ કરતાં કહ્યું હતું કે, યા અલ્લાહ, આજ મારા દીકરા સોહાનનો જન્મદિવસ હતો. પરિવારના સભ્યો તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ બે પુત્રોની કાયમ માટે વિદાયનો આઘાત સહન કરવો તેમના માટે અત્યંત મુશ્કેલ બની ગયો હતો. મૃતક સાહીલ રિક્ષા ચલાવતો હતો અને રોણકી ગામમાં રહેતો હતો. બાળકોને બચાવવાના પ્રયાસમાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. બીજી તરફ અલીફા ધોરણ-4માં અભ્યાસ કરતી હતી અને માતા-પિતાની એકમાત્ર પુત્રી હતી. તેની વિદાયથી પણ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
એક જ ઘટનામાં ચાર જીવ ગુમાવવાના બનાવથી રોણકી અને ખોડીયારનગરના મુસ્લિમ સમાજમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ હતી. પરિવારજનોના રુદનથી હોસ્પિટલ પરિસર ગમગીન બની ગયું હતું. જે પરિવાર થોડા સમય પહેલાં જન્મદિવસની ખુશી અને ધાર્મિક મુલાકાત માટે નીકળ્યો હતો, તે જ પરિવાર સાંજ પડતાં ચાર સભ્યોના મૃતદેહ સાથે પરત ફરવાની વેદનામાં ગરકાવ થઈ ગયો હતો.
બાળકને બચાવવાની સ્વાભાવિક માનવીય લાગણીમાં એક પછી એક લોકો તળાવમાં ઉતરતા ગયા અને અંતે ચાર પરિવારજનોએ જીવ ગુમાવ્યા. ઘટનાએ પાણીના સ્થળોએ બાળકોની સુરક્ષા અને પરિવારજનોની સાવચેતી અંગે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલ કુવાડવા રોડ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


