રાજયમાં પાંચ સિસ્ટમ સક્રિય, ૨3મી સુધી મધ્યમ વરસાદની આગાહી
જન્માષ્ટમી પર વરસાદની અંબાલાલ પટેલની ચેતવણી : રાજકોટમાં વરસાદની ખાધ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં મેઘરાજાએ થોડા દિવસ માટે વિરામ લીધો છે. પરંતુ હવે ફરી એકવાર વરસાદી વાતાવરણ છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય થતાં, આજથી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ, અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી ફરી વરસાદી ઝાપટા પડશે અને તે વરસાદ જન્માષ્ટમીના તહેવારોની મજા બગાડશે.
હવામાન વિભાગે આજથી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હાલમાં, રાજ્યમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં ચોમાસાનો ટ્રફ, શીયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશન સહિતની સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. જેના કારણે આજથી સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી વરસાદી સ્થિતિ જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ પડશે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, દમણ, નર્મદા, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દરમિયાન, આજે વલસાડ, તાપી, ડાંગ, સુરત અને નવસારીમાં વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાત સિવાય ક્યાંય નોંધપાત્ર વરસાદ પડ્યો નથી.
બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી ફરી વરસાદી ઝાપટાની આગાહી કરી છે. 23 થી 31 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વધુ વરસાદની શક્યતા છે. જેમાં ભાવનગર, અમરેલી અને ગીરસોમનાથના કેટલાક ભાગોમાં સારો વરસાદ પડી શકે છે. જ્યારે દ્વારકા, પોરબંદર અને જામનગરમાં હળવા વરસાદની શક્યતા છે. બીજી તરફ, પાટણ, સમી અને હારિજ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠામાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી 23-31 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. જેમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં સારો વરસાદ પડી શકે છે. ઉપરાંત, દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં હળવો વરસાદ જોવા મળી શકે છે. જ્યારે મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ, 31 ઓગસ્ટે સૂર્ય પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ પાણી ખેતી માટે સારું માનવામાં આવતું નથી. આ સમય દરમિયાન પવનની ગતિ વધુ રહી શકે છે. અંબાલાલે જણાવ્યું હતું કે સાતમ અને આઠમના તહેવારો દરમિયાન પણ વરસાદ પડી શકે છે.


