- એર ઈન્ડિયાની ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી મામલો
- ધમકી મળતા કેનેડા સરકાર લાગ્યું કામે
- રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે તપાસ હાથ ધરી
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા એર ઈન્ડિયાની ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકીના કેસની તપાસ શરૂ થઈ ગઈ છે. કેનેડા એક્શન મોડમાં આવી ગયું છે. એર ઈન્ડિયાની ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી મળતા જ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા એર ઈન્ડિયાની ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી મામલે કેનેડાના પરિવહન મંત્રી પાબ્લો રોડ્રિગ્ઝનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઓટાવામાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે 19 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો વીડિયો સામે આવ્યા બાદ દેશની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે આ બાબતની તપાસ શરૂ કરી હતી. અમે દરેક ધમકીને ગંભીરતાથી લઈએ છીએ.
એર ઈન્ડિયાની ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી આપી હતી
તમને જણાવી દઈએ કે 4 નવેમ્બરે ખાલિસ્તાન તરફી નેતા ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કરીને ધમકી આપી હતી કે 19 નવેમ્બરે લોકોએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ન કરવી જોઈએ, કારણ કે એર ઈન્ડિયાની ફ્લાઈટને ઉડાવી દેવામાં આવશે. શીખોને સંબોધતા પન્નુએ કહ્યું કે તેઓએ 19 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ન કરવી જોઈએ, કારણ કે તેમનો જીવ જોખમમાં હશે. આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું હતું કે ભારત સરકાર વિદેશી સરકારો પર તેમના દેશમાં કટ્ટરપંથી તત્વોને જગ્યા ન આપવા માટે દબાણ કરવાનું ચાલુ રાખશે. સરકાર હિંસા ભડકતા કટ્ટરપંથી અને આતંકવાદી તત્વોને લઈને વિદેશી સરકારોના સંપર્કમાં છે.
ખાલિસ્તાની આતંકવાદીઓએ 38 વર્ષ પહેલા ફ્લાઈટને ઉડાવી દીધી હતી
તમને જણાવી દઈએ કે ખાલિસ્તાની આતંકવાદીઓએ 38 વર્ષ પહેલા એર ઈન્ડિયાને નિશાન બનાવ્યું હતું, જેને કનિષ્ક વિમાન દુર્ઘટના કહેવામાં આવે છે. કેનેડાના ઈતિહાસમાં આ આતંકવાદની સૌથી ખરાબ ઘટના હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ 23 જૂન 1985ના રોજ ભારત આવી રહી હતી. ખાલિસ્તાની આતંકવાદીઓએ એર ઈન્ડિયાની આ ફ્લાઈટમાં બોમ્બ વિસ્ફોટ કર્યો હતો, જેમાં 329 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિમાન દરિયામાં પડ્યું. તે જ સમયે, ટોક્યોના નરિતા એરપોર્ટ પર બીજો વિસ્ફોટ થયો હતો, જેમાં બે જાપાનીઝ બેગ હેન્ડલર માર્યા ગયા હતા. બેંગકોક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આ બોમ્બ મૂકવાનું ષડયંત્ર હતું, પરંતુ સમય પહેલા તે વિસ્ફોટ થઈ ગયો.


