તહેવારના દિવસોમાં ટુ વ્હીલર્સથી માંડી ૬ વ્હીલના ૨૫૪૦ વાહનનું વેંચાણ થયુ: મહાપાલિકાની તિજોરીમાં વાહન વેરા પેટે રૂ.૧.૮ કરોડની જંગી આવક થઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રનું કેપીટલ પાટનગર રાજકોટની જનતા ગમે તેવી મોંઘવારી કે મંદીને પણ મહાત આપીને મોજશોખ પુરા કરનારી રંગીલી પ્રજા છે. કહેવાતા રાષ્ટ્રવ્યાપી મંદી વચ્ચે પણ આ વખતે દિવાળીમાં રાજકોટીયન હરવા ફરવા અને ફોરેન ટુર જેવી વૈભવી મોજ માણવામા તો અગ્રેસર રહ્યા છે જ પણ સાથે મોંઘેરા વાહન વસવવામા પણ પાછુ વળીને જોયુ નથી. દિવાળીના તહેવાર ચોથથી લઇને દસ દિવસ દરમિયાન વાહન ખરીદીના આંકડા આ વાતનો પુરાવો છે. તહેવારના આ ૧૦ દિવસ અને ખાસ કરીને ધનતેરસ તેમજ લાભ પાંચમના દિવસે વધુ વાહન વેંચાયા છે. મનપાને વાહનવેરા પેટે થયેલી આવકના સતાવાર રિપોર્ટ મુજબ તા.૧થી તા.૧૬ સુધીમાં ટુ વ્હીલથી માંડી ફોર વ્હીલ અને ૬ વ્હીલ સુધીના ૨૫૪૦ વાહન વેંચાયા છે. વાહનોની કુલ કિંમત થાય છે રૂ.૧૨૦ કરોડથી વધુ. અને તેના સરેરાશ દોઢ ટકા લેખે મનપાને રૂ.૧.૮ કરોડ જેટલી વાહન વેરા પેટેની આવક થાય છે.
કોઇ પણ નવા વાહન ખરીદી થાય એટલે રોડ ટેક્સના રૂપમાં વાહન વેરો મનપા વસુલે છે. વન ટાઇમ એટલે કે વાહન ખરીદ થાય ત્યાંરે એક જ વખત મનપાને ચુકવવાનો થાય છે. અગાઉ વાહનની કિંમત ઉપર વેર વસુલવામા આવતો હતો. પરંતુ એ પછીથી ટુ વ્હીલ, થ્રી વ્હીલ, ફોર વ્હીલ એમ વાહનના પ્રકાર મુજબ ફિક્સ વેરો વસુલ થાય છે. મંદી અને મોઘવારીના આ સમયમાં. પેટ્રોલ-ડિઝલના ભાવ ભલે આસમાને જાય. પણ રાજકોટવાસીઓ નવા વાહન ખરીદી કરવામા પાછુ વળીને જોતા નથી એ ફરી એકવખત સામે આવી ગયુ છે.
કાર ઓછી વેંચાઇ, ટુ વ્હીલનું ધૂમ વેંચાણ
કાર વેંચાણની સંખ્યા ૫૯૮, ટુ વ્હીલર ૧૮3૮ વેંચાયા
વાહન ખરીદી માટે અષાઢી બીજ, દશેરા, ધનતેરસ, લાભ પાંચમ શુભ દિવસ ગણવામા આવે છે. છેલ્લે દશેરા પર વાહન બજારમાં ફોર વ્હીલની જેટલી ખરીદી થઇ હતી તેટલી આ વખતે દિવાળીના તહેવારમાં ધનતેરસ અને લાભ પાંચમે ઓછી થઇ છે. કુલ ૨૫૪૦ વાહનોમાંથી ૫૯૮ વાહન ફોર વ્હીલ છે. તેની સામે ટુ વ્હીલ વેંચાણની સંખ્યા ૧૮3૮ છે.
વાહન બજારને નવરાત્રિ પણ ફળી હતી, ૨૨૦૨ વાહન વેચાયા
વેરા શાખાએ આપેલી વિગત મુજબ આ વર્ષે નવ નોરતા અને દશેરાના દિવસોમાં કુલ 2202 વાહનનું વેચાણ થયું છે. નવરાત્રી અને દશેરાના દિવસોમાં લોકો શુકનવંતી ખરીદી વધુ કરતા હોય છે. આ દસ દિવસમાં 1684 ટુ વ્હીલર વેચાયા હતા તો 376 મોટરકાર લોકોએ છોડાવી હતી.
ધનતેરસ અને લાભપાંચમે ડીલીવરી છોડાવવા ત્રણ મહિના અગાઉથી બુકીંગ થયા હતા
કોરોના કાળ પછી આર્થિક ગાડી પાટે ચડી છે. નવરાત્રિના નવ દિવસમાં જે રીતે વાહનોનું વેંચાણ થયુ હતુ એ જોયને ત્યારથી જ અંદાજ આવી ગયો હતો કે ધનતેરસ અને લાભ પાંચમે વાહન બજારમાં ખરીદીનો ચમકારો કંઇક અલગ જ હશે. ગત દિવાળી કરતા આ દિવાળીએ પણ વાહનના વેચાણમાં વધારો થવાની પૂરી ધારણા ઓટોમોબાઇલ માર્કેટને હતી. ધનતેરસ અને લાભપાંચમે ડીલીવરી છોડાવવા માટે ત્રણ મહિના અગાઉથી જ બુકીંગ થઇ ગયા હતા. ખાસ કરીને કાર માર્કેટમાં જેમનુ લાંબુ વેઇટીંગ હોય છે તેવા મોડલ માટે એડવાન્સ બુકીંગ થયા હતા.