- તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં સૌથી વધુ અસર થવાની સંભાવના
- ચક્રવાત 4થી ડિસેમ્બરે ચેન્નાઇ-મછલીપટ્ટનમ વચ્ચેના સાગરકાંઠાને પાર કરશે
- ઇલેક્ટ્રિક લીકેજ ના થાય તે માટે વીજબોર્ડને સૂચના આપવામાં આવી
ભારતીય હવામાન વિભાગે 4થી ડિસેમ્બરે સાંજે ચક્રવાત મિચૌંગ દક્ષિણ આંધ્રપ્રદેશ અને તામિલનાડુના ચેન્નાઇ-મછલીપટ્ટનમ સાગરકાંઠે ટકરાશે તેવી આગાહી કરી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં પણ તેની અસર જોવા મળશે. ચેન્નાઇના હવામાન વિભાગે પણ ચક્રવાત સાગરકાંઠે ટકરાયા પછી તિરૂવલ્લુર ખાતે ભારે વરસાદની આગાહી કરી છે. ચેન્નાઇ હવામાન વિભાગના નાયબ નિયામક એસ.બાલાચંદ્રને જણાવ્યું હતું કે બંગાળના અખાતમાં આજે સવારે ડિપ્રેશન જેવી સ્થિતિ સર્જાઇ ચૂકી છે. ચેન્નાઇથી 790 કિ.મી.ના અંતરે દક્ષિણ-પૂર્વે ડિપ્રેશનની સ્થિતિ સર્જાઇ છે. હવે તે સિસ્ટમ ઉત્તર-પિૃમ દિશામાં આગળ વધશે. આવતી કાલે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં અને તે પછી સિસ્ટમ ચક્રવાતનું રૂપ લે તેવી શક્યતા છે. ચક્રવાત 4થી ડિસેમ્બરે ચેન્નાઇ-મછલીપટ્ટનમ વચ્ચેના સાગરકાંઠાને પાર કરશે. તેમણે કહ્યું હતું કે ચક્રવાતના આગમનની સ્થિતિમાં આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સાધારણ વરસાદ પડવાની સંભાવના છે. તામિલનાડુના મુખ્યપ્રધાન રાજ્યના તમામ વિભાગોને ચક્રવાતની સ્થિતિમાં સંકલન સાધીને કાર્ય કરવા સૂચના આપી ચૂક્યા છે. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે,’ તમામ વિભાગોને ચક્રવાત ત્રાટકે તે પહેલાં સાવધાનીના આગોચરા પગલાં લેવા સૂચના આપી છે. ચક્રવાતથી પ્રભાવિત થવાની સંભાવના હોય તેવા લોકોને પહેલેથી જ રાહત છાવણીમાં આશરો આપવા સૂચના આપવામાં આવી છે. વીજપુરવઠો,આહાર સામગ્રી અને આવશ્યક ચીજવસ્તુનો પુરવઠો સતત મળતો રહે તેની તકેદારી રાખવા પણ જિલ્લા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે. ઇલેક્ટ્રિક લીકેજ ના થાય તે માટે વીજબોર્ડને સૂચના આપવામાં આવી છે. વૃક્ષો તૂટી પડે તો તાકીદે તેને સ્થાન પરથી દૂર કરવા પણ સૂચના અપાઈ ચૂકી છે. રાજ્યની હોસ્પિટલ્સમાં ઇમરજન્સી રૂમ્સ ઊભા કરવા પણ સૂચના અપાઈ ચૂકી છે. ચક્રવાત પ્રભાવિતો અને જરૂરતમંદોને ભોજન પૂરું પાડી શકાય તે માટે ફૂડ સેન્ટર્સ પહેલેથી ઊભા કરવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદના સંજોગોમાં ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાતી હોય છે. ટ્રાફિક પોલીસને ટ્રાફિકજામ ના થાય તે જોવા સૂચના આપવામાં આવી છે. પાણી ભરાવાના સંજોગોમાં મોટર પંચથી પામી તાકીદે ઉલેચાય તેની આગોતરી વ્યવસ્થા કરવા પણ સૂચના આપવામાં આવી છે.’
માછીમારોને 4 દિવસ દરિયો નહીં ખેડવા ચેતવણી : તામિલનાડુના માછીમારોને દક્ષિણ-પિૃમ બંગાળના અખાતમાં, ઉત્તર તામિલનાડુ તેમજ દક્ષિણ આંધ્રના કાંઠા વિસ્તારોમાં આગામી ચાર દિવસ સુધી દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન નિયામકે જણાવ્યું હતું કે 3જી ડિસેમ્બરે તિરુવલ્લુરથી કુડ્ડાલોર વચ્ચે પ્રતિકલાક 50થી 60 કિ.મી. અને 4થી ડિસેમ્બરે તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેંગાલપટ્ટુ, વિલુપ્પુરમ ખાતે પ્રતિકલાક 60થી 70 કિ.મી.ની ઝડપે કે પવન ફૂંકાવાની સંભાવના છે.
ચાર ડિસેમ્બર સુધી વરસાદની આગાહી
ચેન્નઈના હવામાન નિયામકે જણાવ્યું હતું કે કાંઠાના ડેલ્ટા વિસ્તારોમાં 1લી અને 2જી ડિસેમ્બરે વરસાદ થવાની સંભાવના છે. 3જી ડિસેમ્બરે ઉત્તર સાગરકાંઠાના થિરુવલ્લુરથી મઇલાદુથરાઇ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે. નજીકના વેલ્લોર, થિરુવન્નામલાઇ, કલ્લાકૌરૂચિ, પેરામ્બૂર, થાંજોર અને થિરૂવારૂરમાં પણ 4થી ડિસેમ્બરે ભારે વરસાદ થવાની આગાહી છે. આ ઉપરાંત ચેન્નઈ, કાંચીપુરમ, રાનીપેટ, તિરુપટ્ટુર, તિરુવન્નામલાઇ, ચેંગલપટ્ટુ, વિલુપ્પુરમ, સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.


