- ઇઝરાયેલે એક વર્ષ પહેલા જ હમાસનું કાવતરુ ઝડપી પાડ્યુ હતું
- અધિકારીઓને અપાયો હતો 40 પાનાનો ઈન્ટેલિજન્સ રિપોર્ટ
- ગુપ્તચર અહેવાલ પર ટિપ્પણી કરવાનો ઇઝરાયેલની સેનાએ કર્યો ઇનકાર
ઇઝરાયેલની સેનાને એક વર્ષ પહેલા દક્ષિણ ઇઝરાયેલના શહેરો પર હુમલો કરવાના ઇસ્લામિક સશસ્ત્ર સંગઠનોના કાવતરાની ખબર પડી હતી, પરંતુ ઇઝરાયેલી સેનાએ તેને ગંભીરતાથી લીધી ન હતી. ન્યૂયોર્કના ખાનગી અખબારે પોતાના એક રિપોર્ટમાં આ દાવો કર્યો છે.
રિપોર્ટ અનુસાર, એવું માનવામાં આવતું હતું કે પેલેસ્ટિનિયન સંગઠનો ઇઝરાયેલની ટેક્નોલોજી અને સૈન્ય અવરોધોને ઘૂસીને હુમલો કરવાની ક્ષમતા ધરાવતા નથી. એવું પણ માનવામાં આવતું હતું કે હમાસ, ઇસ્લામિક જેહાદ અથવા અન્ય કોઈપણ પેલેસ્ટિનિયન સંગઠનમાં ઇઝરાયેલની શક્તિને સીધો પડકારવાની હિંમત નથી.
અધિકારીઓને 40 પાનાનો ઈન્ટેલિજન્સ રિપોર્ટ મળ્યો હતો
રિપોર્ટ અનુસાર, ઈઝરાયેલના અધિકારીઓને પેલેસ્ટિનિયન સંગઠનો દ્વારા ષડયંત્ર અંગે 40 પાનાનો ગુપ્તચર અહેવાલ આપવામાં આવ્યો હતો. તેનું કોડ નેમ જેરીકો વોલ હતું. તે દક્ષિણના શહેરો અને નગરો પર હમાસના હુમલાની કલ્પના કરે છે, પરંતુ અહેવાલમાં જે પ્રકારના હુમલાની કલ્પના કરવામાં આવી છે તેની સરખામણીમાં ઑક્ટોબર 7નો હુમલો ઘાતક હતો.
શું નેતન્યાહુએ ગુપ્તચર અહેવાલ જોયો હતો?
એજન્સીના જણાવ્યા અનુસાર ઇઝરાયેલની સેનાએ ગુપ્તચર અહેવાલ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, હાલમાં અમારું ધ્યાન આતંકવાદી સંગઠન હમાસના ખતરાને ખતમ કરવા પર છે. અહેવાલમાં જણાવાયું છે કે ગુપ્તચર દસ્તાવેજને ઘણા ઇઝરાયેલ સૈન્ય અને ગુપ્તચર અધિકારીઓએ જોયો હતો. જો કે, તે સ્પષ્ટ નથી થયું કે PM બેન્જામિન નેતન્યાહુ અથવા અન્ય ટોચના નેતાઓએ તે જોયું હતું. એ નોંધવું જોઇએ કે 7 ઓક્ટોબરના રોજ, હમાસે, ઇઝરાયેલના તમામ અવરોધોનો નાશ કરીને, ઇઝરાયેલના શહેરો પર પાણી, જમીન અને હવાથી હુમલો કર્યો, થોડા કલાકોમાં 1,200 લોકો માર્યા ગયા અને હજારો ઘાયલ થયા. તેમજ 250 જેટલા લોકોનું અપહરણ કરીને ગાઝા લઈ જઈને બંધક બનાવ્યા હતા.


