- તેલંગાણામાં મુખ્યમંત્રીના નામ પર મહોર
- કોંગ્રેસ હાઇકમાંડે રેવંત રેડ્ડી પર ઉતારી પસંદગી
- તેલંગાણા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે રેડ્ડી
તેલંગાણામાં કોંગ્રેસને જીત અપાવનાર રેવંત રેડ્ડી રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. 7 ડિસેમ્બરે તેઓ સીએમ પદના શપથ લેશે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષે તેલંગાણા ધારાસભ્ય ડળના નવા CLP તરીકે રેવંત રેડ્ડીના નામને મંજૂરી આપી દીધી છે. તેઓ રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. તેલંગાણાના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારંભ 7 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગે યોજાશે.
રેવંત રેડ્ડી તેલંગાણાના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. ધારાસભ્યો સાથે ચર્ચા બાદ કોંગ્રેસ હાઇકમાંડે આ નિર્ણય લીધો છે. તેમને જૂન-જુલાઇ 2021માં તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદથી જ તેઓ સતત ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરી રહ્યા હતા. રેવંત રેડ્ડીનો જન્મ મહેબૂબનગર જિલ્લાના કોંડારેડ્ડી પલ્લીમાં 8 નવેમ્બર 1969ના રોજ થયો હતો. વિદ્યાર્થી કાળમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદના સભ્ય રહેલા રેવંત રેડ્ડી વર્ષ 2006માં સ્થાનિક રાજકારણમાં આવ્યા હતા.
જણાવી દઈએ કે રેવંત રેડ્ડીને લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મલકાજગિરી લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં તેમણે TRSના ઉમેદવાર મર્રી રાજશેખરને હરાવ્યા હતા. ત્યારબાદ, તેમને 20 સપ્ટેમ્બર 2018માં કોંગ્રેસના ત્રણ કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
સૂત્રોનું કહેવું છે કે 30 નવેમ્બરે યોજાયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસની પ્રચંડ જીતનો શ્રેય તેલંગાણા કોંગ્રસે પ્રદેશ પ્રમુખ અનુમુલા રેવંત રેડ્ડીને આપવામાં આવે છે, જે મુખ્યમંત્રી માટે કોંગ્રેસ હાઇ કમાન્ડની પહેલી પસંદ છે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. અંતિમ જાહેરાત મલ્લિકાર્જુન ખડગે અને કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડિકે શિવકુમાર જેમને તેલંગાણા કોંગ્રેસના ચૂંટણી અભિયાનની દેખરેખ કરી હતી, તેમની વચ્ચે ચાલી રહેલી બેઠક બાદ જાહેરાત કરવામાં આવશે.
54 વર્ષીય નેતા રેવંત રેડ્ડી કોંગ્રેસના વિજયી અભિયાનના ચહેરા હતા. જોકે, તેમણે ટોચના પદ સુધીની પોતાની સફરમાં પાર્ટીમાં અને અવરોધોનો સામનો કરવો પડ્યો છે. આવતીકાલે જે શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે તેલંગાણા કોંગ્રેસના કેટલાંક સિનિયર નેતાઓના એક વર્ગ દ્વારા સીએમ પદ માટે રેડ્ડીનો વિરોધ કર્યા બાદ રદ્દ કરી દેવામાં આવ્યો હતો.
વિરોધ કરનાર આ સિનિયર નેતાઓમાં રાજ્યના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ એન. ઉત્તમ કુમાર રેડ્ડીથી લઈને વિક્રમાર્ક, કોમાટિરેડ્ડી વેંકટ રેડ્ડીથી લઈને દામોદર રાજનરસિંહા સુધીના સિનિયર નેતાઓ સામેલ છે. તેમણે કથિત રીતે ભ્રષ્ટાચારના પેન્ડિંગ કેસો અને રેડ્ડીને લોકસભા વિસ્તારમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન તરફ સંકેત કરતાં રેવંત રેડ્ડીની ઉમેદવારીનો વિરોધ કર્યો હતો.
મહત્વનું છે કે 30 નવેમ્બરના રોજ તેલંગાણામાં કોંગ્રેસ વિધાનસભાની કુલ 119 બેઠકો માટે મતદાન થયું હતું. 3 ડિસેમ્બરના રોજ આ ચૂંટણીના પરિણામો જાહેર થયા જેમાં કોંગ્રેસ 119 માંથી 64 બેઠકો પર પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી હતી.


