- હત્યા, ડ્રગ્સ, દારૂ, ચોરી, લૂંટ જેવા ગંભીર ગુનામાં સગીરોનો ઉપયોગ
- રેસ ડ્રાઈવિંગના 54 કેસોમાં સગીરો કાયદાના સંઘર્ષમાં આવ્યા
- 2022માં આ આંકડો વધીને 433 કેસો પર પહોંચ્યો છે
રાજ્યમાં માતા પિતાની છત્રછાયા છતાં પણ 1757 બાળકો રસ્તો ભૂલી ગંભીર પ્રકારના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવ્યા હતા. હત્યા, ડ્રગ્સ, દારૂ, ચોરી અને લૂંટ જેવા ગંભીર ગુનામાં સગીરોનો ઉપયોગ રાજ્ય અને દેશની મોટી સમસ્યા બનતી જાય છે. દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં કાયદાના સંઘર્ષમાં આવતા સગીરોની સંખ્યામાં 2022માં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં 31 હત્યા, સાઅપરાધ મનુષ્ય વધના 3, નુકશાનના 289, અપહરણના 22, તોફાનના 14, રેસ ડ્રાઈવિંગના 54, ધમકી આપવાના 221, પ્રોર્પટી મામલાના 489, ચોરી-ધાડ-બ્લેકમેઈલ-લૂંટના 485 સહિત જૂદા જૂદા 1558 ગુનાઈત કેસમાં 1772 સગીરો કાયદાના સંઘર્ષમાં આવ્યા છે.રાજ્યમાં સગીરો કાયદાના સંઘર્ષમાં આવ્યાના આંકડા ઘટયા પણ અમદાવાદ શહેરમાં આંકડો વધ્યો છે.
માથાભારે સગીરોનો ઉપયોગ કરી ગુનાઈત કૃત્ય આચરવાની તેઓની યોજના પાર પાડી રહ્યા છે. તેની પાછળ હેતુ એવો છે કે, કાયદાના સંઘર્ષમાં આવતા સગીરની પોલીસ વધુ કડકાઈથી પૂછપરછ કરી શકતી નથી અને કેસ પણ મજબૂત બનતો નથી. આમ, પડદા પાછળના આરોપીઓની ગુનામાં સંડોવણી ના આવે તે માટે તેઓ સગીરો બાળકોનો ઉપયોગ કરી પોતાનો હેતુ પાર પાડી રહ્યા છે. રાજ્યમાં ચોરીના 370 અને ઘરફોડ ચોરીના 90 જેટલા કેસ, દારૂના 108 ઉપરાંત આર્મ્સ એક્ટ, પોક્સો, ધાર્મિક મુદ્દે અથડામણ, લોકોને ધમકી આપવી, ધાડ, લૂંટ, ઘરફોડ ચોરી, ફેક ડોક્યુમેન્ટ બનાવી ઠગાઈ તેમજ ફ્રોડ અને કોપી કેસ જેવા ગુનામાં 1774 સગીરો કાયદાના સંઘર્ષમાં આવ્યા છે.
કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરો પર 2020માં 1812 કેસ, 2021માં 1804 કેસ તેમજ 2022માં આ કેસ ઘટીને 1558 થયા છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં ગત વર્ષ 386 કેસમાં સગીર બાળકો કાયદાના સંઘર્ષમાં આવ્યા હતા. જો કે, 2022માં આ આંકડો વધીને 433 કેસો પર પહોંચ્યો છે. રાજ્યમાં કાયદાના સંઘર્ષમાં આવેલા 1774 સગીરોમાંથી 1757 બાળકોનું પાલનપોષણ તેઓના માતા-પિતાની દેખરેખમાં, 15 સગીરો તેઓના ગાર્ડીયન સાથે રહેતાં અને બે સગીર ઘર વિહોણા હોવાનું જાહેર થયું છે. આમ, માતા-પિતાની દેખરેખ છતાં સગીરો રસ્તો ભૂલી કાયદાના સંઘર્ષમાં આવે તે ગંભીર બાબત છે. અમુત કિસ્સામાં માતા-પિતા દ્વારા સંતાનને આવા માર્ગે પર મોકલવામાં આવતા હોવાનું પોલીસ અધિકારીઓનું કહેવું છે. જો કે, કાયદાની મર્યાદાને કારણે સગીરોનો ઉપયોગ કરનાર આરોપીઓને છટકબારી મળી જતી હોય છે.


