- શહેરના પશ્ચિમ અને કોટ વિસ્તાર મળી 9 લાખથી વધુ પ્રપોર્ટીકાર્ડ નીકળ્યા છે
- નોટિસ બાદ પણ રકમ નહીં ભરાય તો સિટી સર્વેની કચેરી દ્વારા કાર્યવાહી કરાશે
- બિનખેતની પ્રોપર્ટી પર રેગ્યુલર અને બાકી મહેસૂલ વેરાની વસૂલાત સિટી સર્વેની કચેરી કરશે
શહેરમાં છેલ્લા આઠ વર્ષમાં અંદાજે નવ લાખથી વધુ પ્રોપર્ટીકાર્ડ નીકળ્યા છે. જેમાં મોટાભાગના અમદાવાદ પશ્ચિમ અને કોટ વિસ્તારો છે. જે મિલકતોના પ્રોપર્ટીકાર્ડ ઇસ્યૂ કરાયા છે, તેવી બિનખેતની પ્રોપર્ટી પર રેગ્યુલર અને બાકી મહેસૂલ વેરાની વસૂલાત સિટી સર્વેની કચેરી કરશે. મહેસૂલ વેરો, શિક્ષણ ઉપકર અને લોકલ શેષની રેગ્યુલર અને બાકી રકમ નહીં ભરનારની મિલકત પર નિયમ મુજબ નોટિસ આપી બોજો દાખલ કરવા સુધીની કાર્યવાહી કરાશે. આ પછી પણ વેરો નહીં ભરે તો મિલકતની હરાજી પણ કરાશે. સિટી સર્વેની કચેરી દ્વારા મહેસૂલ વેરાની બાકી વસૂલાત માટે ખાસ ઝૂંબેશ હાથ ધરાઇ છે. હાલ અમદાવાદમાં 21.50 લાખ જેટલી પ્રોપર્ટી છે. જેમાં નવા વિસ્તારોમાં પૂર્વ સહિતના ઘણાં વિસ્તારોમાં પ્રોપર્ટીકાર્ડ કાઢવાની કામગીરી શરૂ થઇ નથી.
સિટી સર્વેના ડેપ્યુટી ડાયરેકટર કે.એમ.વસાવાએ જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાં પ્રોપર્ટીકાર્ડ નીકળ્યા નહતાં, તેવી પ્રોપર્ટી પર અત્યાર સુધી મામલતદાર અને તલાટી દ્વારા દર વર્ષે મહેસૂલ વેરો, શિક્ષણ ઉપકર, લોકલ શેષની રકમ વસૂલાતી હતી. જેમાં ઘણી પ્રોપર્ટીના માલિકો અને સોસાયટીઓ દ્વારા મહેસૂલ વેરો ભરાતો નહતો. આવી મિલકતના પ્રોપર્ટી કાર્ડ નીકળી ગયા બાદ હવે રેગ્યુલર મહેસૂલ વેરાની સાથે બાકી વેરાની પણ વસૂલાત કરવાની જવાબદારી સિટી સર્વે કચેરીને સોંપાઇ છે. જેના ભાગરૂપે કચેરી દ્વારા ગત ઓગસ્ટથી ખાસ ઝૂંબેશ હાથ ધરાઇ છે. મામલતદાર અને તલાટી દ્વારા બાકી વેરાની વિસ્તાર પ્રમાણે જેમ જેમ યાદી પૂરી પડાશે, તેમ કાર્યવાહી હાથ ધરાશે.
આ રીતે ઓનલાઇન પ્રોપર્ટીકાર્ડ કાઢી શકાય
પ્રોપર્ટી કાર્ડ એકવાર ઇસ્યૂ કરી દેવાયું હોય તો તેની કોપી આઇઓઆરએના પોર્ટલ પરથી મળી શકે છે. મહેસૂલ વિભાગના પ્રોપર્ટીકાર્ડ પર ક્લિક કરીને સ્ક્રીન પર આવતા ફોર્મમાંથી નામ, સરનામા સહિતની વિગતો ભરવી, ત્યારબાદ રેડિયો બટન પર ક્લિક કરીને જિલ્લાનું નામ અને સિટીસર્વેની ઓફિસ સિલેક્ટ કરવું, કાર્ડની વિગત મુજબ ઓનલાઇન ફી ભરવી, ફી ભર્યા બાદ એપ્લિકેશન નંબર-2 જનરેટ થશે. પે નાવ થયા બાદ અરજીની વિગતો જાણી લીધા બાદ એમાઉન્ટ પર ક્લિક કરવું, આ પછી અનુકુળતા પ્રમાણે પેમેન્ટ કરવું. કન્ફર્મ અને સબમીટ કરવું, પછી પ્રોપર્ટીકાર્ડની નકલ ડાઉનલલોડ કરવી, નકલના ક્યુઆરકોડ સ્ક્રેન કરવાથી વેરિફિકેશન થઇ શકે છે.
માલિકના પુરાવામાં પ્રોપર્ટીકાર્ડ માન્ય છે
માલિકના પુરાવા તરીકે પ્રોપર્ટીકાર્ડ માન્ય છે. પ્રોપર્ટી કાર્ડ કઢાવનાર નાગરિકો પોતાની મિલકતના પ્રકાર અને મિલકતની વેલ્યુએશન સહિતની વિગતો જાણી શકે છે. આ ઉપરાંત તેના પર સરળતાથી લોન મેળવી શકે છે. લોકોને પોતાની પ્રોપર્ટીનો રેકર્ડ સાચવવામાં સરળતા રહે છે. મિલકત ખરીદ-વેચાણ માટે સાતબારના ઉતારાની જરુર રહેતી નથી અને પ્રોપર્ટી લે-વેચના વ્યવહારમાં પણ પ્રોપર્ટી કાર્ડ માન્ય પુરાવો છે.
બિનખેતીના હુકમ બાદ સીધા પ્રોપર્ટીકાર્ડ જ બને છે
સિટી સર્વે કચેરી ખાતે પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે સબંધિત પ્રોપર્ટીના આધારભૂત પુરાવા, ખેતી-બિનખેતી દસ્તાવેજ, એન.એ., રિવાઇઝ લેઆઉટ પ્લાનની કોપી, પ્રોપર્ટી ટ્રાન્જેક્શન ડિટેઇનલ સહિતના સચોટ પુરાવા આપવા જરૂરી છે. બિનખેતીમાં તો સર્વર લિંક હોવાના લીધે અરજીઓનો નિકાલ થતાંની સાથે જ પ્રોપર્ટીકાર્ડ નિકળે છે અને સાથો સાથ 7-12માંથી નામ નીકળી જાય છે. અત્યાર સુધીમાં 14,200થી વધુ બિનખેતની અરજીનો નિકાલ કરીને પ્રોપર્ટીકાર્ડ ઇસ્યુ કરાયા છે.


