- વિદેશમાં આવા લગ્નો પાછળ ભારતીયો દ્વારા વર્ષે એક લાખ કરોડ જેટલા ખર્ચાય છે
- તાજેતરમાં જ PM મોદીએ વિદેશના સ્થાને વેડ ઇન ઇન્ડિયાનું આહ્વાન કર્યુ હતું
- વેડ ઇન ઇન્ડિયાથી દેશના અર્થતંત્ર અને વેપારને મજબૂતી મળશે
દેશમાં ડેસ્ટિેનેશન વેડિંગનો ક્રેઝ વધી રહ્યો છે. વર્ષના 365 દિવસની વાત કરીએ તો લગભગ 5,000 લગ્ન વિદેશી ધરતી પર સંપન્ન થઇ રહ્યા છે. એટલે કે વિદેશી ધરતી પર ભારતીય લોકોના એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આટલી જંગી ભારતીય મુદ્રાનો વિદેશમાં જવાનો અર્થ સ્વદેશી અર્થતંત્રને નુકસાન થયા છે. આ સ્થિતિમાં કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વેડ ઇન ઇન્ડિયાના આહવાનને આગળ વધારવાનું કામ કરશે. વેડ ઇન ઇન્ડિયાથી દેશના અર્થતંત્ર અને વેપારને મજબૂતી મળશે. સાથે જ કેટ દ્વારા ભારતના વિવિધ રાજ્યોમાં લગભગ 100 પ્રમુખ શહેરો અને તેની આસપાસના 2 હજાર કરતા વધારે એવા સ્થળોની ઓળખ કરી છે જ્યાં ડેસ્ટિનેશન વેડિંગ આયોજીત કરવું શક્ય છે. તેનાથી લોકોનો ડેસ્ટિનેશન વેડિંગ કરવાનો શોખ પણ પૂરો થઇ જશે અને ધારતનું ધન બીજા દેશોમાં નહીં જાય. એટલે કે દર વર્ષે ભારતીય અર્થતંત્રને મજબૂતી પ્રાપ્ત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેહરાદૂનમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ઉદઘાટન દરમિયાન દેશના દનિકોને વિદેશમાં જઇને લગ્ન કરવાની જગ્યાએ ઉત્તરાખંડમાં આવીને ડેસ્ટિનેશન વેડિંગ કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે જો ઉત્તરાખંડમાં એક વર્ષમાં પાંચ હજાર ડેસ્ટિનેશન વેડિંગ પણ થાય તો રાજ્યના અર્થતંત્રને ખૂબ મજબૂતી પ્રાપ્ત થશે.
બિનજરૂરી રીતે ભારતીય નાણું બહાર જાય છે
કેટના રાષ્ટ્રીય પ્રમુખ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલના અનુસાર પીએમ મોદીએ વેડ ઇન ઇન્ડિયા આહવાન કર્યુ છે. તેનાથી દેશના અર્થતંત્રને મજબૂતી પ્રાપ્ત થશે. ડેસ્ટિનેશન વેડિંગ પાછળ વર્ષે લગભગ એક લાખ કરોડ વિદેશમાં ખર્ચાઇ જાય છે. તેના કારણે બિનજરુરી રીતે ભારતીય નાણું વિદેશમાં જાય છે. પીએમ મોદીના આહવાન બાદથી કેટ દ્વારા દેશમાં વેરારીઓ અને સિવિલ સોસાઇટી વચ્ચે ડેસ્ટિનેશન વેડિંગને પ્રોત્સાહિત કરવાનું અભિયાન હાથ ધરાયું છે. વિદેશમાં ભારતીયો દ્વારા ડેસ્ટિનેશન વેડિંગ માટે હજુ સુધી કોઇ અધિકૃત સર્વે થયો નથી. જોકે, અંદાજ મુજબ વર્ષે લગભગ પાંચ હજાર જેટલા ડેસ્ટિનેશન વેડિંગ વિદેશમાં થાય છે.
દેશમાં 2,000 કરતાં વધારે સ્થળ । કેટના અનુસાર ભારતમાં બે હજાર કરતા વધારે એવી જગ્યા છે જ્યાં ડેસ્ટિનેશન વેડિંગ થઇ શકે છે. જો, દેશનો સંપન્ન વર્ગ વિદેશની જગ્યાએ આ સ્થળો પર ડેસ્ટિનેશન વેડિંગ કરવું શરુ કરી દે તો બાકી લોકો પણ વિદેશની ધરતી પર જવાનો મોહ છોડી દેશે. ભારતમાં મુખ્યત્વે ગોવા, મહારાષ્ટ્રનું લોનાવાલા, મહાબળેશ્વર, મુંબઇ, શિરડી, નાસિક, નાગપુર, ગુજરાતનું દ્વારકા, અમદાવાદ, સૂરત, વડોદરા, મધ્યપ્રદેશમાં ઓરછા, ગ્વાલિયર, ઉજ્જૈન, ભોપાલ, ઇન્દોર અને જબલપુર વગેરે જેવા સ્થળોએ ડેસ્ટિનેશન વેડિંગ થઇ શકે છે. રાજસ્થાનમાં જયપુર, જોધપુર, ઉદયપુર, જેસલમેર, પુષ્કર અને ઉત્તરપ્રદેશમાં મથુરા, વૃંદાવન, આગરા, વારાણસી તો દક્ષિણ ભારતમાં યાદગિરી હિલ, ઊટી, બેંગલુરુ, હૈદારાબાદ, તિરુપતિ, કોચીન, ત્રિચી જેવા સ્થળો છે.
દેશમાં અસ્થાયી ધોરણે રોજગાર ઉપલબ્ધ થશે
આ તમામ સ્થળો મધ્યમ બજેટથી માંડીને કોઇપણ મોટા બજેટના લગ્નને સંપન્ન કરાવવા માટે સક્ષમ છે. લગ્ન માટે સામાન્યથી માંડીને ખાસ સુવિધાઓ અને વ્યવસ્થા પ્રદાન કરનારી કંપનીઓ અથવા ગ્રુપોનું એક મોટું નેટવર્ક છેલ્લા વર્ષોમાં ભારતમાં વિકસિત થયું છે. આ પ્રકારના લગ્નો સંબંધિત સામાન અને સેવાઓ આજે દેશમાં એક મોટા વેપારનું રૂપ ધારણ કરી ચૂકી છે. ડેસ્ટિનેશન વેડિંગ ચાહે દેશમાં હોય કે વિદેશમાં તેમને સંપન્ન કરાવવામાં આ કંપનીઓ અથવા ગ્રૂપોનું મોટું યોગદાન હોય છે. દર વર્ષે દેશમાં વિવિધ સ્થળોએ થયેલા ડેસ્ટિનેશન વેડિંગ પોતાની ભવ્યતા અથવા વિશેષતાઓને કારણે ચર્ચાનો વિષય બને છે.


