ગોપાલ યાદવને પસંદ કરીને ભારતીય જનતા પક્ષની નેતાગીરીએ દાખવ્યું છે કે ત્રણેય હિન્દીભાષી રાજ્યો જીતી લઈને બેસી ગયા નથી, પણ બાકીના રાજ્યોમાં કેમ જીતવું તેની ગોઠવણમાં લાગી ગયા છે
ભાજપ જેવું જ વિપક્ષ કરે એવું કહેવાનો ભાવ નથી, કેમ કે ભૂતકાળમાં જે ભાંગરા શાસકોએ વાટ્યા હતા અને જે પણ ગેરલોકતાંત્રિક પ્રણાલીઓ અપનાવી હતી તે બધી જ ભાજપે અપનાવી છે. એટલે સ્વસ્થ પ્રણાલી ઊભી થવાની બાકી જ રહી ગઈ છે, પણ પ્રણાલી ઊભી કરવા માટે પણ સત્તામાં હોવી જરૂરી છે. સત્તા કેવી રીતે મેળવવી, કેવી રીતે જાળવવી અને ફિર એક બાર કેવી રીતે પ્રાપ્ત કરી એટલું તો ભાજપ પાસેથી વિપક્ષે શીખવા જેવું છે. રાજ્યોમાં ચૂંટણી હોય ત્યારે કેવી રીતે લડવી અને નવી નેતાગીરી કેવી રીતે ઊભી કરવી એ સમજવું પડે. પરિવર્તનમાં જોખમ હોય તે લેવાની પણ તૈયારી રાખવી પડે. વિશેષ તો જીતી ગયા પછી સંતોષ માનીને બેસી રહેવાના બદલે નવા ચહેરાઓને એવી રીતે પસંદ કરવા કે આગામી દાયકાનું રાજકારણ પણ ફળે એટલી દૂરની દૃષ્ટિ ભાજપના નેતાઓમાં છે. વિપક્ષમાં તે ક્યાંય શોધી જડતી નથી.
દાખલા તરીકે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે તેની ઉજવણી થઈ જશે. પછી કોંગ્રેસને યાદ આવશે અને કોઈ પૂછશે – પત્રકારો પૂછશે ત્યારે જૂનું લિસ્ટ કાઢશે. પંદર લાખ રૂપિયાનો વાયદો ક્યારનોય પતી ગયો. તેને પડતું મૂકીને છેલ્લા બાર મહિનાનું સરવૈયું સમયસર રજૂ કરવાનું કામ વિપક્ષનું છે. એક વર્ષ પૂર્ણ થવાના હોય ત્યારે શું શું નિષ્ફળતાઓ રહી તેની એક યાદી રજૂ કરવી પડે. પત્રકારોને આપવી પડે અને પ્રજાને સમજાવવી પડે.
એ સમજણ આવે તે પહેલાં ભાજપનું નેતૃત્વ એક દાયકો અથવા કહો કે એક ચૂંટણી આગળ નીકળી ગયું હોય છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વિજય મળ્યો તે પછી હવે 2024ની લોકસભાની ચૂંટણી અને પાંચ વર્ષ પછી આજ રાજ્યોમાં આવનારી ચૂંટણી માટે ભાજપ વિચારવા લાગ્યું છે તેનો અણસાર પણ વિપક્ષને આવ્યો નથી. છત્તીસગઢમાં જૂના જનસંઘી પણ નવા લાગે તે રીતે આદિવાસી નેતાને મુખ્ય પ્રધાન બનાવીને ભાજપે સચોટ સ્ટ્રેટેજી અપનાવી છે.
એનું જ પુનરાવર્તન મધ્ય પ્રદેશમાં પણ થયું છે. ભાજપને ઉજ્જૈનના એક જમાનામાં ભજિયા અને ચાની લારીથી ગુજરાન ચલાવનારા પરિવારના પુત્ર ગોપાલ યાદવને પસંદ કર્યા છે. ગોપાલ યાદવ યુવાનીમાં એબીવીપીમાં જોડાયા હતા. ત્રણ વાર ધારાસભ્ય થયા છે અને શિવરાજસિંહ ચૌહાણની સરકારમાં શિક્ષણ મંત્રી પણ હતા. મજાની વાત એ છે કે નાનપણમાં ભણવામાં પણ મુશ્કેલી અનુભવનારા ગોપાલ યાદવે પીએચડી કર્યું છે. પીએચડી પણ ભાજપની મધ્ય પ્રદેશની સરકારની કામગીરી વિશે કરેલું છે. પત્રકારો કેવી દૃષ્ટિથી મધ્ય પ્રદેશની ભાજપ સરકારને જુએ છે તેવા વિષયમાં તેમણે પીએચડી કર્યું છે.
આવા નેતાની પસંદગી કરનારું ભાજપનું શિર્ષસ્થ નેતૃત્ત્વ પણ પીએચડીથી કમ નથી. મધ્ય પ્રદેશમાં યાદવ નેતાને પસંદ કરીને નિશાન માંડ્યું છે યુપી અને બિહાર જેવા બે અગત્યના રાજ્યો તરફ. આ બંને રાજ્યોમાં યાદવ મતો અગત્યના છે અને વિપક્ષ કંઈ સમજે તે પહેલાં જ ભાજપે દાવ ખેલી લીધો છે.