- રાજ્યની 37 RTO અને 225 ITIમાં રોજની પાંચ-પાંચ હજાર એપોઇન્ટમેન્ટ
- મંગળવારે રાજ્યભરમાં સર્વર શરૂ થઈ જ જશે તેવા અધિકારીઓના દાવા પોકળ
- અરજદારોએ કહ્યું કે, છેલ્લા બે દિવસથી પરેશાન થઈ રહ્યા છે
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વાહનના લાઇસન્સની કામગીરી થતાં સારથિ સર્વરમાં ટેક્નિકલ એરર આવતાં સોમવાર બોપર પછી સમસ્યા સર્જાઈ હતી અને સર્વર બંધ થઈ ગયું હતું. જેની અસર મંગળવાર આખો દિવસ જોવા મળી હતી. સર્વર બંધ રહેવાના લીધે વાહનના કાચાં અને પાકાં લાઇસન્સના દસ હજારથી વધુ અરજદારોને પરત જવું પડયું હતું. અરજદારો સાથે આવેલા પરિવારજનો મળી કુલ 17 હજારથી વધુ લોકોને સીધી અસર થઈ હતી. વાહનવ્યવહાર કમિશરના ડરથી ઉચ્ચ અધિકારીઓ માહિતી આપવાથી દૂર રહે છે. હજી બુધવારે પણ સર્વર શરૂ થશે કે નહીં ? તેની વિભાગ તરફથી કોઇ જાહેરાત કરાઇ નથી.
વાહનવ્યવહાર વિભાગનું સારથિ સર્વર બંધ રહેવાના લીધે સમગ્ર ગુજરાતમાં આવેલી 37 આરટીઓ કચેરીમાં એક દિવસની વાહનના પાંચ હજાર ડ્રાઇવિંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટ રદ થઇ હતી. આ અંગે પૂરતી જાણકારી નહીં હોવાના લીધે અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા સવારથી વિવિધ આરટીઓમાં આવી પહોંચ્યા હતા, પરંતુ સ્થળ પર સર્વર બંધ હોવાનું જાણી લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જોકે લોકો હોબાળો મચાવે નહીં અને આરટીઓ કચેરીની આબરૂ સચવાય તે માટે અરજદારોને સ્થળ પર ઊભા રહેવા દીધા ન હતાં. અરજદારોએ કહ્યું કે, છેલ્લા બે દિવસથી પરેશાન થઈ રહ્યા છે. સરકારે અધિકારીઓ પાસે જવાબ માગવો જોઇએ. બુધવારનું પણ નક્કી નથી. ડ્રાઇવીંગ ટેસ્ટ નહીં લેવાતા કાચા અને પાકાં લાઇસન્સની સમય મર્યાદા પૂરી થઇ ગઇ હોય તેવા અરજદારોને હવે બે હજાર સુધીનો ફરી ખર્ચ કરવો પડશે.
બીજી તરફ સર્વર ઠપના લીધે રાજ્યની 225 આઇટીઆઇ સંસ્થાઓમાં પણ એક દિવસની પાંચ હજાર એપોઇન્ટમેન્ટ રદ થઇ હતી, જેમાં અમદાવાદની 13 ITI સંસ્થામાં અંદાજે 500 લોકોને પરત જવું પડયું હતું.
છેલ્લા દસ દિવસથી ડિજીટલ ઇન્ડિયાનું સર્વર બંધ રહેતા ઇ-વ્હિકલની સબસીડી અરજીઓ અટકી
ગુજરાતમાં છેલ્લા દસ દિવસથી ડિજિટલ ઇન્ડિયાનું સર્વર ઠપ છે. જેના લીધે ઇ-વ્હીકલની સબસીડી માટેની અરજી થઇ શક્તી નથી. ટુવ્હીલરની સબસીડી બંધ કરી દેવાઇ છે. પરંતુ જે અરજીઓ પેન્ડિંગ છે, તેમાં રિવેટ થયેલી અરજીઓ અંતર્ગત પુરાવા આપવા સહિતની કામગીરી થઇ શકતી નથી. કાર ચાલકો તો અરજી જ કરી શકતા નથી. સર્વર કયારે શરૂ થશે, તેની માહિતી પણ અધિકારીઓ આપતા નથી. આ અંગે ગાંધીનગર સુધી ફરિયાદો પણ થઇ છે.
અરજદારોને આજે પરીક્ષા આપવા જતાં પહેલા સર્વરની માહિતી મેળવી લેવી નહીં તો ધક્કો પડશે
મંગળવારે આખો દિવસ સર્વર બંધ રહ્યું છે, આથી અરજદારોએ બુધવારે કાચાં કે પાકાં લાઇસન્સ માટે પરીક્ષા આપવા જતાં પહેલા સર્વર ચાલુ છે કે નહીં તેની માહિતી અચૂક મેળવી લેવી. માહિતી વગર આરટીઓ કે આઇટીઆઇ સંસ્થામાં પહોંચી જશો તો ધક્કો પડવાની પૂરી શક્યતા રહેશે.


