- રૂપાળું દેખાડવા ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવો ઘાટ થયો !
- CMOનો લૂક બદલવાના નામે ‘કાયઝન’ એ સ્વર્ણિમ સંકુલ- 1ના ગ્રાઉન્ડ ફ્લોરમાં ફેરફાર કરાવ્યો
- 6 કાર્ડ સ્વાઈપર કમ ટર્નટાઈલ સેટઅપ ઉખેડી લેવાયા, CMOમાંથી પણ હટાવી લેવા રિપોર્ટ કર્યો !
સંસદમાં સલામતી વ્યવસ્થામાં છીંડા પડયા બાદ અહીં ગુજરાતના સૌથી વધુ સલામત ગણતા રાજ્યની મુખ્ય સરકારી કચેરી- સચિવાલયમાં ગુરૂવારની સવારથી જ ચારેય દરવાજાઓ ઉપર એક એક વ્યક્તિ, વાહનની તપાસ શરૂ થઈ છે. પરંતુ, આ સંકુલમાં જ્યાં સૌથી વધુ અવરજવર રહેતી હોય છે, મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓના કાર્યલાયો આવેલા છે તેવા સ્વર્ણિમ સંકૂલ (SS)- 1ના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મુલાકાતીઓની સિક્યોરિટી અને ચેકિંગ માટે રહેલા છ બેરિયર જ હટાવી દેવાયા છે ! જેના કારણે આ આખાય કેમ્પસમાં સલામતી મુદ્દે ”ખાળે ડુચા અને દરવાજા મોકળા” જેવુ ચિત્ર ઉપસ્યુ છે.
સ્વર્ણિમ સંકૂલ-1નુ ઉદ્દઘાટન વખતે અહીં સલામતી માટે કાર્ડ સ્વાઈપર કમ ટર્નટાઈલ સેટઅપ મશીન ગોઠવવામાં આવ્યા હતા. જેથી મુલાકાતીઓનુ ચેકિંગ પણ થઈ શકે. પોલીસ, સલામતી રક્ષકોની હાજરી ઉપરાંત મનોવૈજ્ઞાનિક રીતે સિક્યોરિટી લેયર ગણાતા આ બેરિયરને હટાવી લેવા પાછળ CMOનો લુક બદલવા માટે અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની બેસ્ટ પ્રેક્ટિસ માટે નિયુક્ત કાયઝન કન્સલટન્સી એજન્સીએ કરેલા સુચનો કારણભૂત હોવાનું જાણવા મળ્યુ છે. કહેવાય છે કે, આ એજન્સીના રિપોર્ટને કારણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી છ બેરિકેટ્સ અર્થાત આખેઆખા ટર્નટાઈલ સેટઅપ મશીન ઉખાડી દેવાયા છે ! એટલું જ નહિ, આ સંકૂલમાં કાયઝન ફિલોસોફી આધારિત કાર્યરીતિ અને દેખાવ માટે કન્સલટન્સી એજન્સીએ સ્વર્ણિમ સંકુલ-1ના ગ્રાઉન્ડ ફ્લોર પરથી છ અને CMO અર્થાત ત્રીજા માળેથી બે અને ચોથા માળેથી બે એમ કુલ 10 સ્વાઈપર કમ ટર્નટાઈલ સેટઅપ ઉખાડી લેવા રિપોર્ટ કર્યો હતો.
જાણો : ટર્નટાઈલ સેટઅપ કેવી રીતે સલામતીને મજબૂત કરે છે
સચિવાલયમાં અગાઉ જ્યાં મુખ્યમંત્રી અને મંત્રીઓના કાર્યલાયો હતા તે બ્લોક નંબર-1, રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યલાય હતા તે બ્લોક નંબર- 2 સહિત સંવેદનશીલ વિભાગોના પ્રવેશ ઉપર બે દાયકાથી મુલાકાતીને અવરોધી, તેના સ્કિનિંગ- ચેકીંગ માટે ટર્નટાઈલ સેટઅપ છે. બન્ને સ્વર્ણિમ સંકુંલમાં પણ દરેક માળે આ વ્યવસ્થા છે. જ્યાં સરકારી અધિકારી- કર્મચારીને પોતાના આઈ કાર્ડને સ્વાઈપ કરીને પ્રવેશ મેળવવાનો હોય છે જ્યારે મુલાકાતીઓને સલામતી રક્ષકો કાર્ડ સ્વાઈપ કરીને ફાટક ખોલે ત્યારે પ્રવેશ મળે છે.
સલામતી શાખાએ કહ્યું- કંઈ ખબર નથી !
સ્વર્ણિમ સંકુલ-1ના ભોયતળિયેથી 6 ટર્નટાઈલ સેટઅપ અર્થાત બેરિયર ઉખાડી લેવા મુદ્દે સલામતી શાખાના અધિકારીઓને પુછતા પોતે સમગ્ર ઘટનાક્રમથી અજાણ હોવાનો દાવો કર્યો હતો. એટલુ જ નહિ, એક અધિકારીએ તો આ બેરિયર હાલમાં રિપેરિંગ માટે ગયા હોવાનું જણાવ્યુ હતુ ! હકીકતમાં 10 વર્ષથી મુકાયેલા બેરિયર સ્થળ ઉપર જ રિપેર થતા રહ્યા છે અને સિક્યોરિટી ઉદ્દેશ્યથી એક સાથે તમામ બેરિયરને ક્યારેય ઉખાડવામા આવ્યા નથી. કહેવાય છે કે, આ બેરિયર કાઢવા માટે સલામતી શાખાની લેખિતમાં કોઈ મંજૂરી જ લેવાઈ નથી. એટલે સત્તાવારપણે કોઈ બોલવા તૈયાર નથી.


