- રોહિતે MIને 5 વખત બનાવ્યું ચેમ્પિયન
- રોહિત શર્માની જગ્યાએ હાર્દિક કેપ્ટન બનશે
- મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લે વર્ષ 2020માં IPL ટ્રોફી જીતી
IPL 2024ની મિની ઓક્શન પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સે બધાને ચોંકાવી દીધા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન માટે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈએ ટીમની કપ્તાની રોહિત શર્મા પાસેથી લઈને હાર્દિક પંડ્યાને સોંપી છે. રોહિતે પોતાની કપ્તાનીમાં મુંબઈને આ લીગની સૌથી સફળ ટીમોમાંથી એક બનાવી. આ કારણે હિટમેનની કેપ્ટનશીપ ગૂમાવવાના નિર્ણયથી દરેકને આશ્ચર્ય થયું છે.
રોહિતે કેમ ગુમાવી કપ્તાની?
રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લે વર્ષ 2020માં IPL ટ્રોફી જીતી હતી. આ પછી, ટીમ IPL 2021 માં ગૃપ સ્ટેજમાં જ બહાર થઈ ગઈ હતી. 2022માં, ટીમની સ્થિતિ વધુ ખરાબ હતી અને મુંબઈએ ટૂર્નામેન્ટ તળિયે પૂર્ણ કરી હતી. છેલ્લી સિઝનમાં એટલે કે 2023માં, ટીમે બીજા ક્વોલિફાયર સુધીનો પ્રવાસ કર્યો હતો, જ્યાં હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સે મુંબઈને હરાવ્યું હતું.
એટલે કે છેલ્લી ત્રણ સિઝનમાં મુંબઈનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. જો કે રોહિતની કેપ્ટનશીપને દોષ આપવો ખોટું હશે કારણ કે છેલ્લી એક-બે સિઝનમાં મુંબઈની ટીમ હરાજીમાં મજબૂત ટીમને મેદાનમાં ઉતારવામાં નિષ્ફળ રહી છે.
રોહિતે પોતે જ છોડી કેપ્ટનશીપ?
વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ રોહિત શર્મા પણ ખૂબ જ દુઃખી છે. ટાઇટલ મેચ હાર્યા બાદ જ હિટમેનની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે હિટમેને પોતે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હશે. રોહિત 36 વર્ષનો છે અને છેલ્લા દસ વર્ષથી મુંબઈની બાગડોર સંભાળી રહ્યો છે. આવી સ્થિતિમાં એ પણ શક્ય છે કે ટીમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોહિતે મુંબઈની કપ્તાની હાર્દિક પંડ્યાને સોંપવાનો નિર્ણય લીધો હોય.
હિટમેને પાંચ વખત MIને ચેમ્પિયન બનાવ્યું
રોહિત શર્માએ પોતાની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું છે. હિટમેન 2011માં મુંબઈની ટીમ સાથે જોડાયો હતો અને 2013માં તેને ટીમની બાગડોર સોંપવામાં આવી હતી. રોહિતે આ વર્ષે પ્રથમ વખત ટીમને IPL ટ્રોફી આપી હતી. આ પછી, વર્ષ 2015, 2017, 2019 અને 2020માં રોહિતની કેપ્ટન્સીમાં મુંબઈએ IPL ટાઇટલ જીત્યું.
કેપ્ટન તરીકે હાર્દિકનો મજબૂત રેકોર્ડ
IPLમાં કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનો રેકોર્ડ બેજોડ રહ્યો છે. હાર્દિકે તેની પ્રથમ સિઝનમાં જ ગુજરાત ટાઇટન્સને તેની કેપ્ટનશિપ હેઠળ ચેમ્પિયન બનાવ્યું હતું. તે જ સમયે, ગત સિઝનમાં પણ હાર્દિકની કપ્તાનીમાં ટીમ ફાઇનલમાં પહોંચી હતી. આ જ કારણ છે કે મુંબઈની ટીમે આ સિઝન માટે હાર્દિક પર દાવ લગાવ્યો છે. હાર્દિકનો ટ્રેડ થયો ત્યારે એવી અટકળો વહેતી થઈ હતી કે તે મુંબઈની કમાન સંભાળી શકે છે.
તમે કહ્યું કે ‘જીતો કે હારો, તમારે હસવું પડશે’
મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા માટે પોસ્ટમાં લખ્યું- ‘રોહિત, તમે 2013માં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યા હતા. તમે અમને વિશ્વાસ કરવા કહ્યું. તમે કહ્યું કે જીતીયે કે હારીયે, તમારે હસવું પડશે. 10 વર્ષ અને 6 ટ્રોફી, આજે આપણે અહીં છીએ. અમારા કેપ્ટન ફોરેવર… તમારો વારસો બ્લૂ અને ગોલ્ડમાં યાદ કરવામાં આવશે. આભાર કેપ્ટન.


