- ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં 20 હજાર પેલેસ્ટિનિયન મોત
- મૃતકોમાં 60 ટકાથી વધુ મહિલાઓ અને બાળકોનો સમાવેશ
- યુદ્ધવિરામને લઈને આજે ફરી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મતદાન
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં 20 હજાર પેલેસ્ટિનિયન મોતને ભેટ્યા છે. મૃતકોમાં 60 ટકાથી વધુ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આજે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં માનવતાવાદી યુદ્ધવિરામને લઈને મતદાન થવા જઈ રહ્યું છે.
ગાઝામાં ઈઝરાયેલના બોમ્બમારાથી અત્યાર સુધીમાં 8 હજાર બાળકો અને 6200 મહિલાઓ સહિત 20 હજાર પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. હમાસ દ્વારા ડઝનેક ઇઝરાયેલી બંધકોને બંદી બનાવાયા હોવા છતાં, ઇઝરાયેલ અંધાધૂંધ બોમ્બમારો કરી રહ્યું છે. ઉત્તરી ગાઝાથી શરૂ થયેલી હવાઈ હુમલા દક્ષિણ ગાઝા સુધી પહોંચી ગઈ છે. આ દરમિયાન જમીની હુમલામાં પણ વધારો થયો છે. સર્વત્ર વિનાશ અને ચીસો છે.
યુદ્ધવિરામને લઈને આજે ફરી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મતદાન
યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં યુદ્ધવિરામ અંગે મહત્વપૂર્ણ મતદાન થવાનું હતું પરંતુ અમેરિકાના વારંવારના વીટોને કારણે તેને મોકૂફ રાખવું પડ્યું હતું. અત્યાર સુધી, યુદ્ધવિરામને લઈને બેઠક અને મતદાન ત્રણ વખત સ્થગિત કરવામાં આવ્યું છે. અમેરિકા ઈઝરાયેલને સતત હથિયારો સપ્લાય કરી રહ્યું છે. હમાસના 7 ઓક્ટોબરના હુમલામાં માર્યા ગયેલા 1200 લોકોમાં કેટલાક અમેરિકન નાગરિકો પણ હતા.
બંધકોની મુક્તિ માટે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે વિચારણા
બંધકોની મુક્તિ માટે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 દિવસનો યુદ્ધવિરામ પણ હતો, પરંતુ 1 ડિસેમ્બરે તેનો અંત આવ્યા બાદ ઈઝરાયેલ તરફથી બોમ્બમારો વધુ વધી ગયો છે. ઈઝરાયેલની સેનાએ અગાઉ માત્ર ઉત્તર ગાઝામાં જ ટેન્ક સાથે ઘૂસણખોરી કરી હતી, પરંતુ હવે તેઓ દક્ષિણ તરફ પણ આગળ વધી રહ્યા છે. બોમ્બ ધડાકા વચ્ચે અમેરિકા સતત જાનહાનિ ઘટાડવાની અપીલ કરી રહ્યું છે પરંતુ ઈઝરાયેલની સેના પર તેની કોઈ અસર થઈ નથી.
UNSCમાં ફરી મતદાન
ગાઝામાં માનવતાવાદી સ્તરે યુદ્ધવિરામ સુનિશ્ચિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેથી લોકોને ખોરાક અને પાણીની સપ્લાય કરી શકાય. આ મુદ્દે ફરીથી મતદાન કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ અમેરિકાના વીટોને કારણે તે મોકૂફ રાખવામાં આવ્યો હતો. આ મુદ્દે આજે યુએનએસસીમાં વોટિંગ અપેક્ષિત છે, અને એવી શક્યતા છે કે જો યુ.એસ. ફરીથી વીટો નહીં કરે, તો ગાઝામાં માનવતાવાદી યુદ્ધવિરામ લાગુ કરવા પર વધુ સમજૂતી થઈ શકે છે.


