- કોંગ્રેસ અધ્યક્ષ ખડગે દ્વારા રાષ્ટ્રીય સંગઠનમાં મોટા ફેરફાર
- ગુજરાતના બે નેતાઓને મળી મહત્વની જવાબદારી
- પ્રિયંકા ગાંધી વાડ્રાને નથી ફાળવવામાં આવ્યો પોર્ટફોલિયો
આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીઓને લઈને કોંગ્રેસ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નવા પ્રદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અલગ અલગ રાજ્યો માટે સત્તાવાર નિમણુકો કરી છે. જેમાં, જનરલ સેક્રેટરી, રાષ્ટ્રીય પ્રભારી તેમજ ખજાનચીની નિમણુક કરવામાં આવી છે. જનરલ સેક્રેટરીની વાત કરીએ તો મુકુલ વાસનીકને ગુજરાત, જિતેન્દ્ર સિંહને આસામ અને મધ્ય પ્રદેશોનો વધારાનો ચાર્જ, રણદીપ સિંહ સુરજેવાલાને કર્ણાટક, દિપક બાબરિયાને દિલ્હી અને હરિયાણાનો વધારાનો ચાર્જ, સચિન પાયલટને છત્તીસગઢ, અવિનાશ પાંડેને ઉત્તર પ્રદેશ, કુમારી સેલજાને ઉત્તરાખંડ, જી. એ. મીરને ઝારખંડ અને પશ્ચિમ બંગાળનો વધારાનો ચાર્જ, દીપા દાસમુન્શીને કેરળ, લક્ષદ્વીપ અને તેલંગાણાનો વધારાનો ચાર્જ, જયરામ રમેશને કોમ્યુનિકેશન અને કે. સી વેણુગોપાલને સંગઠન તેમજ પ્રિયંકા ગાંધી વાડ્રાને કોઈપણ પોર્ટફોલિયો ફાળવ્યા વગર જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.
21 ડિસેમ્બરે મળી હતી CWCની મહત્વની બેઠક
જણાવી દઈએ કે, ગત 21 ડિસેમ્બરના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટીની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં હિન્દી ભાષી રાજયોમાંથી ત્રણ રાજ્યો ગુમાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આ હારને લઈને સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધી સહિત તમામ સિનિયર નેતાઓ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં હવે આગામી લોકસભા ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરવાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.


