- આંતરિક ઝઘડામાં મારીને કૂવામાં ફેંક્યાની આશંકા
- શ્રમિકોના અંદરો – અંદરના ઝઘડામાં જ થયા મોત
- કૂવામાંથી એક શ્રમિકની લાશ બહાર કાઢી
અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમના કુવામાંથી ત્રણ વ્યક્તિઓના મૃતદેહ મળી આવવાની ઘટનાએ પોલીસ તંત્રને દોડતું કર્યું છે. અમરેલી નજીક આવેલા લાલવદર ગામના કુવામાંથી બે મહિલા અને એક પુરુષનો મતૃદેહ મળી આવ્યો હતો. કુવામાંથી ત્રણ લાશ મળી આવતાં અમરેલી તાલુકા પોલીસ, ફાયર ફાયટરની ટીમ સાથે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા ઘટના સ્થળે દોડી ગયા હતા.
આ અંગે અમરેલી લોકલ ક્રાઇમ સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ તો ત્રણેય મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ જાણકારી સામે આવશે. જેના અંગે લાલવદર ગામે આવેલ દકુભાઈ ધાનાણી નામના ખેડૂત સવારે વાડીએ આવતાં તેમને આ બનાવ અંગે જાણ થઈ હતી. ખેડૂતો આ અંગે પોલીસને જાણ કરી હતી.
જ્યારે વાડીમાં રહેતા અને મજુરી કામ કરતા મુકેશભાઈ અંતુરભાઈ દેવરખીયા, ભૂરીબેન મુકેશભાઈ દેવરખીયા તથા જાનુબેન અંતુરભાઈ દેવરખીયા નામની બે મહિલા સહિત 3 પરપ્રાંતિય વ્યક્તિની વાડીના કુવામાંથી લાશ મળી આવી હતી.
વિગતો અનુસાર, આ ત્રણેયે બે દિવસ પહેલા કુવામાં ઝંપલાવ્યું હતું. કુવામાં ઝંપલાવવા પાછળનું કારણ અકબંધ છે. પોલીસે એ કારણ જાણવા સહિતની વિગતો મેળવા તજવીજ હાથ ધરી છે. આંતરિક ઝઘડામાં મારીને કૂવામાં ફેંક્યાની આશંકાસામે આવી રહી છે. જેમાં શ્રમિકોના અંદરો – અંદરના ઝઘડામાં જ મોત થયા હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. કૂવામાંથી શ્રમિકોની લાશ બહાર કાઢવામાં આવી છે.


