- 88 વર્ષ પહેલાં કાનજીસ્વામીએ સોનગઢને સાધનાભૂમિ બનાવી
- 38 વર્ષ પછી મહોત્સવ, મુખ્યમંત્રી પધારશે
- વિશ્વમા બીજા નંબરની બાહુબલી મુનિન્દ્રની પ્રતિમા સોનગઢમાં બિરાજમાન થશે
સિહોર તાલુકાના સોનગઢમા આવતીકાલ તા. 19 મીથી તા.26 મી સુધી આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન કરાયુ છે. સોનગઢની આ પવિત્ર તપો ભૂમિમાં 38 વર્ષ પછી ફરીવખત દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ દ્વારા મહા મંગલકારી જિનબિંબોના આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. મહોત્સવ દરમિયાન રાજકીય અને સમાજીક મહાનુભાવો આવશે. જે અંતર્ગત આગામી તા. 21મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોનગઢ કાર્યક્રમમાં હાજરી આપશે.જેના કારણે મુમુક્ષુ સમાજમા ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. નોંધનિય છે કે, વિશ્વમા બીજા નંબરની બાહુબલી મુનિન્દ્રની પ્રતિમા સોનગઢમા બિરાજમાન થશે.
આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનું આવતીકાલ તા.19 જાન્યઆરી થી તા. 26 જાન્યુઆરી સુધી આયોજન થયું છે. જેના કારણે સમગ્ર મુમુક્ષુ સમાજમાં અનેરો ઉત્સાહ – આનંદ વર્તી રહ્યો છે. જેમાં ભારતભરમાંથી તેમજ વિદેશના અનેક દેશોમાંથી અંદાજિત 20 હજાર લોકો આ મહોત્સવમાં જોડાશે.
આ કાર્યક્રમ પ્રથમ દિવસ તા.19-1-2024ને શુક્રવારનાં રોજ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત ધર્મધ્વજા રોહણ અને ઈન્દ્ર પ્રતિષ્ઠા ઈન્દ્ર શોભાયાત્રા અને ગુરુદેવનાં પ્રવચનથી થશે.
તા.20-1-2024ને શનિવારનાં રોજ ગર્ભ કલ્યાણક પૂર્વ ક્રિયા અંતર્ગત શાંતિ જાપ, જિનેદ્ર દેવ અભિષેક અને પુજન, ગુરુદેવનું પ્રવચન અને શ્રીયાગ મંડળ વિધાન કરાશે. તા.21-1-2024ને રવિવારનાં રોજ ગર્ભકલ્યાણક દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં શાંતિ જાપ, જિનેન્દ્ર દેવ અભિષેક અને પુજન, સૌધર્મ ઈન્દ્રસભા, રાજા નાભીરાય રાજસભા, 16 સ્વપન ફળ પ્રદર્શન અને ગર્ભકલ્યાણ પુજન થશે.
તા.22-1-2024ને સોમવારે જન્મકલ્યાણક દિનમાં જન્મકલ્યાણક શોભાયાત્રા, જન્મ કલ્યાણ પૂજન, પાંડુકશિલા ઉપર જન્માભિષેક અને તાંડવ નૃત્ય યોજાશે. તા.23-1-2024ને મંગળવારના રોજ તપ કલ્યાણક દિન તરીકે ઉજવવામાં આવશે. જેમાં લોકાંતિક દેવ આગમન, પૂર્વભવ પ્રદર્શન, પાલખી માટે રાજા-દેવગણ સંવાદ, દીક્ષાવન યાત્રા, વૈરાગ્ય પ્રવચન, દીક્ષા ગ્રહણ વિધિ, કેશક્ષેપણ વિધી, તપ કલ્યાણ પૂજન કરવામાં આવશે.
તા.24-1-2024 બુધવારનાં રોજ જ્ઞાનકલ્યાણક દિન ઉજવણીમાં શ્રોયાંશકુમાર દ્વારા આહારદાન સંબંધે સ્વપનદર્શન, આહારદાન અને મુનિરાજ ભક્તિ યોજાશે. તા.25-1-2024ને ગુરૂવારનાં રોજ મોક્ષ કલ્યાણક દિન અંતર્ગત યોગ નિરોધ, નિર્વાણ પરિદ્રશ્ય, મોક્ષ કલ્યાણક પૂજન અને ભક્તિ, જિનબિંબ શોભાયાત્રા, જિનબિંબ સ્થાપના અને શાંતિ યજ્ઞ કરવામાં આવશે. તા.26-1-2024ને શુક્રવારનાં રોજ મુનીન્દ્ર બાહુબલી અંતર્ગદર્શન અને મહામસ્તકાભિષેક, પૂજન અને જિનબિંબની ભક્તિ કરવામાં આવશે.


