- દરવર્ષે ભારતમાં 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઊજવાય
- ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિએ મતદાતા દિવસની શરુઆત કરી
- નાગરિકોમાં ચૂંટણીલક્ષી જાગૃતિ કેળવાય તે અંગે પ્રોત્સાહિત કરે છે
આજે 25મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની પણ ઉજવણી કરવામાં આવશે. આ દિવસે દેશભરમાં ઘણાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે. મતદાતાની સમગ્ર જવાબદારી ભારતના ચૂંટણી પંચની છે, જે સમગ્ર દેશમાં લોકોને મતદાન અંગે જાગૃત કરે છે. ભારતમાં દરવર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાય છે.
ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિએ મતદાતા દિવસની શરુઆત કરી
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે 2011માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીની શરુઆત કરી હતી. દર વર્ષે ઊજવાતા રાષ્ટ્રીય મતદાર દિવસની થીમ જુદી – જુદી રાખવામાં આવે છે તો આ વરસની મતદાતા થીમ નથિંગ લાઈક વોટિંગ, વોટ ફોર શ્યોર નામ આપવામાં આવ્યું છે. ભારતના ચૂંટણી પંચની સ્થાપના 25 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી, ત્યારબાદ 26 જાન્યુઆરીના રોજ દેશમાં બંધારણ અમલમાં આવ્યું હતું. પહેલા આ દિવસને માત્ર યાદ કરવામાં આવતો હતો, પરંતુ વર્ષ 2011થી તેને એક દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું. તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે 2011માં 25 જાન્યુઆરીએ પ્રથમ વખત રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરી હતી. ત્યારથી, રાષ્ટ્રીય મતદાર દિવસ દર વર્ષે 25 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે.
રાષ્ટ્રીય મતદાતા દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય
આ દિવસ ઉજવવાનો શું છે મુખ્ય ઉદ્દેશ એ છે કે, નાગરિકોમાં ચૂંટણીલક્ષી જાગૃતિ કેળવવાય અને તેમને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે. દેશના મતદારોને સમર્પિત, રાષ્ટ્રીય મતદાતા દિવસનો ઉપયોગ મતદારો, ખાસ કરીને નવા યુવા મતદારોની નોંધણીની સુવિધા માટે પણ કરવામાં આવે છે. રાષ્ટ્રીય મતદાર દિવસ નિમિત્તે અલગ અલગ શિબિરોનું આયોજન કરવામાં આવે છે અને પ્રથમ વખત મતદારોને તેમના મતદાર ફોટો ઓળખ કાર્ડ આપવામાં આવે છે. યુવાનો માટે ઘણી જગ્યાએ સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે. ભારત 14મો રાષ્ટ્રીય મતદાર દિવસ ઉજવવા જઈ રહ્યું છે. આ માટે ચૂંટણી પંચે તમામ રાજ્યો અને જિલ્લાઓમાં તૈયારીઓ કરી લીધી છે.
કોણ મત આપી શકે?
કોઈપણ ભારતીય નાગરિક કે જેણે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી હોય તે ભારતની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. જો કે, મત આપવા માટે, ભારતના ચૂંટણી પંચની નાગરિક મતદાર યાદીમાં નોંધણી કરાવવી જરૂરી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરી શકે છે. વેરિફિકેશન પછી, ચૂંટણી પંચ દ્વારા સંબંધિતોને મતદાર ઓળખ કાર્ડ આપવામાં આવે છે. મતદાર ઓળખ કાર્ડ મેળવવું એ ખૂબ જ સરળ પ્રક્રિયા છે.
દર વર્ષે ભારતને જુદા-જુદા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય છે, આ ઉપરાંત દર પાંચ વર્ષે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પણ કરવામાં આવે છે. આગામી કેટલાક મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.


