- સરગાસણ, કેનાલ, રાયસણ સ્ટ્રીટના લેન્ડસ્કેપીંગમાં પાર્કિંગ, વોકવેની સુવિધા
- સમગ્ર પ્રોજેક્ટના અંદાજિત કિંમત 161 કરોડની સામે 187 કરોડ ઉંચો ભાવ ભરાઈને આવ્યો
- કુડાસણ સરદાર ચોક ખાતે ગૌરવપથ બનાવાશેઃ પ્રોજેક્ટની ડિઝાઈન તૈયાર
રક્ષાશક્તિ સર્કલથી ખ-0 સુધીના રોડને અમદાવાદના સી.જી.રોડની પેટર્નથી વિકસાવવામાં આવનાર છે. તદ્પરાંત સરગાસણ, કેનાલ તથા રાયસણ સ્ટ્રીટ અને સરદાર ચોક ખાતે ગૌરવપથ બનાવવા માટે 183 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેની આખી ડિઝાઈન તૈયાર કરી દેવામાં આવી છે. હવે આ ડિઝાઈન પ્રમાણે એજન્સીએ કામ કરવાનું રહેશે. વર્ષ 2026માં યોજાનાર વાયબ્રન્ટ સમિટ પુર્વે આ તમામ વિસ્તારનો મોકઓવર થઈ ગયેલો જોવા મળશે.
ગાંધીનગર એક કેપિટલ સિટી હોવાથી સમગ્ર વિસ્તાર બ્યુટીફિકેશનની દ્રષ્ટિએ પણ ઉત્તમ દેખાય તે પણ એટલું જ મહત્વનું છે. ગાંધીનગર કેપિટલ સિટી જેવું લાગે તે પ્રકારે તેના રોડ, સ્ટ્રીટ વગેરેને વિકસાવવા છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન કામ કરી રહ્યું છે.
રક્ષાશક્તિસર્કલથી ખ-0 સુધીના રોડને અમદાવાદના સી.જી.રોડની પેટર્નથી વિકસાવાશે. જેમાં પાર્કીંગ પ્લેસ, લેન્ડસ્કેપીંગ, સર્વિસ રોડ, ગ્રીન સ્પેસ સહિત અન્ય યુટીલીટીનો પણ સમાવેશ કરવામાં આવશે. અહીં પ્લાઝા પણ ઉભા કરાશે. આખી ડિઝાઈન તૈયાર કરી દેવામાં આવી છે. તેવી જ રીતે સરગાસણ, રાયસણ અને કેનાલ સ્ટ્રીટ વિકસાવવામાં આવનાર છે. હાલમાં આ તમામ જગ્યા ઉબડખાબડ દેખાય છે ક્યાંક ઝાડીઝાંખરા ઉગેલા નજરે ચડે છે. કોર્પોરેશન આ વિસ્તારને સુંદર રીતે ડેવલપ કરવા માંગે છે. હાલમાં આ જગ્યાઓ નકામી દેખાય છે, ત્યાંથી પસાર થનાર લોકોના મનમાં અણગમો પેદા કરે છે. પરંતુ વિકસી ગયા બાદ આ તમામ જગ્યા રમણીય અને સુવિધાસભર દેખાવા લાગશે. એટલેકે આ તમામ લોકેશનનું બ્યુટિફાય કરવામાં આવશે. સરગાસણમાં 15 મીટર સુધી સ્ટ્રીટ વિકસાવાશે. જેમાં રોડની વચ્ચે ડિવાઈડરમાં ગ્રીનરીને વિકસાવાશે તથા પાર્કિંગની સવલત ઉભી કરાશે. રાયસણ સ્ટ્રીટમાં હાલમાં પીડીપીયુ રોડને જે રીતે વિકસાવવામાં આવ્યો છે તે પ્રકારે જ આખા 80 મીટર રોડનું બ્યુટીફિકેશન કરવામાં આવશે. જેમાં લેન્ડસ્કેપીંગ જે તૈયાર કરાયું છે તેમાં ગ્રીન સ્પેસ, ગઝેબો, વોકવે સહિતની બાબતોને સમાવવામાં આવી છે. સૌથી મહત્વની બાબતમાં નર્મદા કેનાલ જે પસાર થઈ રહી છે તેનો પણ કેટલોક ભાગ વિકસાવવાનું વિચારવામાં આવ્યું છે. કેનાલની અંદર તરફ જતા વિસ્તારનું બ્યુટિફીકેશન કરવાનું આયોજન છે. આ જગ્યા બિલકુલ અવાવરુ અને બિનઉપયોગી જેવી છે. જ્યાં કાંઠાવાળી જગ્યાને સરખી કરી ત્યાં પ્લાન્ટેશન કરવા ઉપરાંત લોકો બેસી શકે, ચાલી શકે તે માટે વોક-વે જેવું ઉભું કરવામાં આવશે. કેનાલના કાંઠે એક રીતે રીવરફ્રન્ટ જેવો એક કુદરતી માહોલ ઉભો કરાશે. લોકો માટે એક કુદરતી વાતાવરણ વચ્ચે હરવાફરવાની જગ્યા ઉભી થશે. કુડાસણ ખાતે સરદાર ચોકના 30 મીટર પહોળા રોડને ગૌરવપથ તરીકે વિકસાવવામાં આવશે. અહીંપણ ફુટપાથ, વોક-વે સહિતની સુવિધા ઉમેરવામાં આવશે. રાજ્યના પાટનગર ગાંધીનગરના આ નવા વિસ્તારના બ્યુટિફીકેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગાંધીનગરમાં દેશ-વિદેશના મુલાકાતીઓની અવરજવર વધુ રહે છે. વધુમાં વાયબ્રન્ટ સહિતના સેમિનારો, સમીટ્સ અહીં યોજાતા રહેતા હોવાથી અહીંના રોડ સહિતના વિસ્તાર આંતરરાષ્ટ્રીય અંદાજ પ્રમાણે વિકસાવવા જરૂરી છે. આથી આ સમગ્ર વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે બ્યુટીફિકેશન પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આ ચારેય પ્રોજેક્ટની ડિઝાઈન એચએસપી ડિઝાઈન પ્લાનીંગ એન્ડ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેની ટેન્ડ પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં 161 કરોડના અંદાજિત કિંમત સામે એલ-1 એજન્સી દ્વારા 187 કરોડ ભરાઈને આવ્યા છે. જે અંદાજિત કિંમત કરતાં 16.14 ટકા ઉંચા ભાવ ભરાઈને આવ્યા છે.


