- ઇવેપોરેશન સિસ્ટમથી નિકાલ માટે દરખાસ્ત આવી હતી, વિઝિટ બાકી છે : GPCB અધિકારી
- ફેક્ટરીના ખારા પાણીનો પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ કરી યોગ્ય રીતે નિકાલ ના કરાતો હોવાની રાવ
- પાણી રણમાં પહોંચાડવાનું હોય છે : GPCB
ધ્રાંગધ્રામાં એક ફેકટરીના ખારા પાણીને શહેરની બાજુમાં જ તળાવની જેમ ભરીને ટ્રીટમેન્ટ કરી નિકાલ કરવાના બદલે અમુક પાણી ઇવેપોરેશન સીસ્ટમથી હવામાં ફેંકતા હોવાથી પ્રદૂષણ થવાનો ભય દેખાતા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી છે. વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર એશિયાની સૌથી જુની મોટી ડી.સી.ડબલ્યુ ફેકટરી ધ્રાંગધ્રામાં આવેલી છે. આ ફેકટરી દ્વારા મીઠાનું ખારૂ પાણી છોડવા મામલે કે રણમાં જતી લાઇન લીકેજ, એમોનીયા લીકેજ જેવી અનેક બાબતોમાં વિવાદમાં ચમકી હતી. હમણા જ ઇન્કમટેક્ષની ટીમ દ્વારા મોટી રેડ પણ થઇ હતી. એવામાં હાલ ડીસીડબલ્યુ ફેકટરી દ્વારા શહેરના આંબેડકરનગર વિસ્તારની બિલકુલ અડીને મોટા તળાવ ભરેલા હોય એવા ખારા પાણીનો સંગ્રહ શરૂ કરી હાલ ચાર ઇવેપોરેશન (હવામાં મોટા ટર્બાઇન દ્વારા પાણી ફેંકવુ) સીસ્ટમ પણ શરૂ કરાઇ છે. પહેલા આ ફેકટરીના કારણે આજુબાજુની જમીન પણ ખારાશ યુકત થઇ ગઇ છે. ત્યારે હાલ ખારા પાણીને હવામાં ફેંકવાનું શરૂ કરાતા હવામાં પ્રદૂષણ ફેલાઇ શકે એવો ડર દેખાતા આજુબાજુના રહીશોના આરોગ્યને પણ નુકશાન થઇ શકે છે. આ ગંભીર બાબતને લઇને કેમીકલ ફેકટરી દ્વારા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ પાસે આ સીસ્ટમ શરૂ કરવા માટે મંજૂરી લીધી છે કે કેમ? એની સામે પણ સવાલ ઉભા થઇ રહયા છે. GPCB ના અધિકારી ફાલ્ગુનભાઇ મોદીએ જણાવેલ કે ડીસીડબલ્યુ ફેકટરીનું પાણી રણમાં પહોચાડવાનુ હોય છે પરંતુ અમુક ટકા પાણીના નિકાલ માટે ઇવેપોરેશન મારફત ફેકટરી દ્વારા દરખાસ્ત કરાઇ છે. હજી અમારી વિઝીટ કરવાની બાકી છે.
શહેરની હદમાં જ ખારા પાણીનું તળાવ
મોટાભાગે કેમીકલ ફેકટરીમાંથી નિકળતા ખારા કે કેમીકલયુકત પાણીને પ્રોેસેસ કરી સીધો નિકાલ કરવાનો હોય છે. પરંતુ અત્રેની ફેકટરીમાંથી નીકળતા ખારા પાણીનો શહેરની બાજુમાં જ તળાવ જેવી જગ્યામાં સંગ્રહ કર્યા બાદ અલગ-અલગ પ્રકારે નિકાલ કરે છે. પરંતુ આ પાણી સતત તળાવની જેમ ભરેલુ જ રહે છે, તો આવા ખારા પાણીનો સંગ્રહ શહેરમાં કરી શકાય ? એની સામે પણ શંકા સેવાઇ રહી છે.


