- કેન્દ્રનો પ્લેસમેન્ટ રેશિયો ગુજરાતની કૉલેજો કરતા વધુ
- કૌશલ્યવર્ધન કેન્દ્રમાં તાલીમ લેવામાં આદિવાસી યુવતીઓ અગ્રેસર
- કૌશલ્ય વર્ધન કેન્દ્રનો પ્લેસમેન્ટ રેશિયો 78 ટકા જેટલો છે
એકતાનગર ખાતે નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઇ પટેલના વિશ્વ વિરાટ સ્ટેચ્યુ ઓફ્ યુનિટીને કારણે વધેલી પ્રવાસન પ્રવૃત્તિ સ્થાનિક કક્ષાએ રોજગાર સૃજનનું માધ્યમ બની છે. ખાસ કરીને આદિવાસી યુવાનો પણ કૌશલ્યવાન બની ઘર આંગણે રોજગારી મેળવતા થાય એ માટે બનાવવામાં આવેલા એકતા કૌશલ્યવર્ધન કેન્દ્રમાં તાલીમ મેળવી ઘર આંગણે નોકરી કરતા થયા છે. એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રનો પ્લેસમેન્ટ રેશિયો 78 ટકા જેટલો છે. આ રેશિયો ગુજરાતની પ્રતિષ્ઠિત કોલેજો કરતા અનેક ગણો વધારે છે. અહીં તાલીમ લે એટલે નોકરી પાક્કી જ એવું સમજવાનું ! ગ્રાંધી મલ્લીકાર્જુન રાઓ વારાલક્ષ્મી ફઉન્ડેશન ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમ તથા સ્ટેચ્યુ ઓફ્ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી વચ્ચે સમજૂતી થઇ અને વર્ષ 2021માં અહીં એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી. વારાલક્ષ્મી ફઉન્ડેશન દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. તેમ એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી ઉદત અગ્રવાલે જણાવ્યું હતું.
એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્ર ખાતે એકથી ત્રણ માસના ટૂંકા સમયગાળાના નવ કોર્સની તાલીમ આપવામાં આવે છે. જેમાં નર્મદા જિલ્લાના 151 ગામોના યુવાનોને તાલીમ આપવામાં આવી છે. જે પૈકી 90 ટકા તાલીમાર્થીઓ આદિવાસી સમાજના હોય છે. અત્યાર સુધી તાલીમ લેનારા ઉમેદવારોમાં 55 ટકા યુવતીઓ અને 45 ટકા યુવાનો છે. એટલે કે, અહીંથી તાલીમ લઇ નોકરી મેળવવામાં મહિલાઓની સંખ્યા વધુ છે. એસઓયુ દ્વારા તાલીમાર્થીઓના પરિવહન માટે ત્રણ બસની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. એકતા કૌશલ્યવર્ધન તાલીમ કેન્દ્ર ખાતે અત્યાર સુધીમાં 71 બેચને તાલીમ આપવામાં આવી છે. જેમાં 1501 જેટલા ઉમેદવારોને વિવિધ કોર્સની તાલીમ લીધી અને તે પૈકી 1173 તાલીમાર્થીઓને એસઓયુ પરિસરમાં જ નોકરી મળી છે. એ પ્રમાણ જોઇએ તો 78 ટકા તાલીમાર્થીઓને તેમની તાલીમ પૂર્ણ થયા બાદ તુરંત જ નોકરી મળી છે. બાકીના તાલીમાર્થીઓ સ્વતંત્ર વ્યવસાયમાં જોડાયા છે. 70 જેટલી નેશનલ, મલ્ટિનેશનલ કંપનીઓમાં આ તાલીમાર્થીઓને નોકરી મળી છે.
રસપ્રદ બાબત તો એ છે કે, સ્ટારબક્સ જેવી બહુરાષ્ટ્રીય કંપનીની એક કોફી બનાવવા માટે પણ તેના મિશ્રાણની પદ્ધતિ શીખવી પડે છે. એસઓયુ પરિસરમાં આ કામ પણ આદિવાસી યુવાનો સારી રીતે શીખી ગયા છે અને ત્યાં કામ કરી રહ્યા છે. માતબર રકમનો પગાર પણ મેળવી રહ્યા છે.


