- ખેતરના શેઢે રમતા બાળકને કરંટ લાગતાં મોત નિપજ્યું હતું
- પાંચ વર્ષના એકના એક પુત્રના મોતથી પિતા હોસ્પિટલમાં જ અર્ધબેભાન થઈ ગયા હતા
- કઠલાલ પોલીસે વીજ કરંટ ઉતારનારની ધરપકડ કરી
કઠલાલના ખલાલમાં ખેતરમાં વાવેલ રિંગણના પાકના રક્ષણ માટે એક ઈસમે ખેતર ફરતે વાડ કરી હતી. જેમાં વીજલાઈન પરથી કરંટ ઉતાર્યો હતો. દરમિયાન રમતા રમતા એક બાળક વાડને ટચ કરતાની સાથે તેને કરંટ લાગતા ચોંટી ગયો હતો. કરંટ એટલો તીવ્ર હતો કે બાળકને બચાવવા જનારને પણ કરંટ લાગ્યો હતો. આખરે કરંટની વાડ બનાવનાર વિરુદ્ધ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
કઠલાલના ખલાલ ફુલાવત સીમ વિસ્તારમાં રહેતા કાનજીભાઈ બાદરસિંહ ઝાલાએ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તેઓ અમદાવાદ કઠવાડામાં નોકરી કરે છે, તેમને એક પાંચ વર્ષનો દિકરો નક્ષ હતો. ગતતા.20-01-24ના રોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે નક્ષ તથા કુટુંબના અન્ય બાળકો કુટુંબી કાકી રઈબેનના ઘર નજીક રમતા હતા. રઈબેનના ઘર પાસે ગામના નટવરસિંહ ઝાલાનું રીંગણના પાકનું ખેતર જે ગામના બુધાજી સબુરજી ઝાલા વાવતા હતા. તે ખેતર ફરતે બાંધેલ તારને નક્ષનો હાથ અડી જતા તેને કંઈક થાય છે તેમ તેમના ભત્રીજાએ કહેતા કાનજીભાઈ સહિતના લોકો સ્થળ પર દોડી ગયા હતા. અને નક્ષને તારથી દૂર કરી તેને હોસ્પિટલ લઈ દોડયા હતા. જો કે ફરજ પરના ડૉકટરે તેને મૃત જાહેર કરતાની સાથે જ પિતા કાનજીભાઈ અર્ધબેભાન જેવા બની ગયા હતા. દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે બુધાજી ઝાલાએ ખેતરમાં વાવેલ રીંગણના પાકના રક્ષણ ખેતરના ફરતે લાકડાની થાંભલીઓ રોપી લોખંડના તાર બાંધેલ હતા. અને લોખંડના તાર જીઈબીના થાંભલા અને થાંભલાના ખુલ્લા અર્થિંગના તાણીયા સાથે બાંધી કરંટ ઉતાર્યો હતો. આ મામલે કાનજીભાઈની ફરિયાદને આધારે કઠલાલ પોલીસે બુધાજી ઝાલા વિરુદ્ધ આઈપીસી 304 મુજબ ગુનો નોંધી અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


