- લોકસભા ચૂંટણી આવી એટલે માગણાની સિઝન શરૂ થઈ હોય તેવી સ્થિતિ
- આંદોલનાત્મક કાર્યક્રમો દ્વારા સરકારનું નાક દબાવવાનું શરૂ
- 23 ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે ધરણાં કાર્યક્રમ યોજાશે
છેલ્લા કેટલાય સમયથી સરકાર પાસે રાજ્યના કર્મીઓ જૂની પેન્શન યોજના અને અન્ય માગણીઓ માટે રજૂઆત કરી રહ્યા છે જો કે સરકાર દ્વારા કર્મીઓની માગણીઓની અનદેખી થવાના કારણે હવે રાજ્ય સરકારના કર્મીઓએ આંદોલનનો માર્ગ પસંદ કર્યો છે અને રાજ્ય સરકાર સરકારી કર્મચારીઓના સંયુક્ત અને મહામંડળ દ્વારા આંદોલન માટે વિવિધ કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે જેના ભાગ રૂપે 15 તારીખે કાળી પટ્ટી ધારણ કર્યાં બાદ હવે આજે ખેડા અને આણંદ જિલ્લા સહિત રાજ્યના કર્મીઓ કાળા કપડાં પહેરી ફ્રજ પર હાજર રહ્યા હતા અને પોતાનો વિરોધ જાહેર કર્યો હતો તો સરકાર સામે પોતાની માગણીઓ ફ્રી દોહરાવી પણ હતી. આજના આ કાર્યક્રમ બાદ હવે 23 ફેબ્રુઆરીએ કર્મીઓ ગાંધીનગર ખાતે ઉમટવાના છે અને ત્યાં મોટી સંખ્યામાં હાજર રહી ધરણાં કાર્યક્રમ યોજાશે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ કર્મીઓમાં પ્રા.શિક્ષક સંઘ સહિત અન્ય કેડર ના કર્મચારીઓના સંગઠનો પણ જોડાવાના છે.
18 મહિના પહેલા સરકારી કર્મીઓ દ્વારા 2022માં આંદોલન કરવામાં આવ્યું હતું જે બાદ સરકાર હરકતમાં આવી હતી અને પાંચ મંત્રીઓની કમિટી પણ બનાવવામાં આવી હતી જે કમિટીએ કર્મીઓની મુખ્ય માગણીઓ પર વિચાર કર્યો હતો અને અંતે 16/9/22ના રોજ મંત્રીઓની આ કમિટી દ્વારા કર્મીઓના સંગઠન સાથે એક બેઠક યોજવામાં આવી હતી જેમાં કેટલાક પ્રશ્નો માટે સમાધાન થયું હતું આ સમાધાન બાદ પણ આટલા મહિનાઓ વિતવા છતાં અને કર્મચારીઓની માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી અને એટલું જ નહિ આ મામલે વારે વરે સરકારને યાદ અપાવવા છતાં કોઈ નિષ્કર્ષ નીકળ્યો નથી અને કર્મીઓની માગણીઓ જેસે થે પરિસ્થિતિમાં છે, પરિણામે કર્મીઓ દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.
કાળા કપડાં બાદ હવે 23 તારીખે પાટનગર ખાતે ધરણાં યોજવાનો કાર્યક્રમ છે જેમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ પહોંચશે તેવી શક્યતાઓ આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી બાજુ સરકાર દ્વારા આ અંગે કોઈ વાટાઘાટો થાય છે કે કેમ ? અને જો નહી થાય તો સંગઠનો દ્વારા અન્ય કાર્યક્રમો આપવામાં આવે છે કે કેમ ? તે હવે આવનાર સમયમાં જ સમજી શકાશે.
સરકાર માગણી નહીં સ્વીકારે તો ગાંધીનગર ખાતે ધરણાં કાર્યક્રમ : વિક્રમસિંહ
આ અંગે આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિક્રમસિંહ જણાવ્યું હતું કે સરકાર પાસે જૂની પેન્શન યોજના , સાતમા પગાર પંચ સહિતના વિવિધ પ્રશ્નો પડતર માગણીઓ માટે રજૂઆત કરેલ છે સરકાર જો માગણીઓ નહીં સ્વીકારે તો આગામી 23 તારીખે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં ઉમટી સરકાર વિરુદ્ધ ધરણા કરવામાં આવશે તો સરકારને માગણીઓ સ્વીકારવા વિનંતી પણ કરી હતી.


