- માર્ગ ઠેરઠેર છીંડાના કારણે નોંધારા બન્યા
- ઢોરને લઈ જવા માટે રસ્તાના ડિવાઈડર 5227થી વધુ છીંડા
- ડિવાઈડરના છીંડામાં અને રસ્તા પર ઢોર પસાર થતા અકસ્માતનો ખતરો
રોજના સેંકડો વાહનોથી ધમધમતા અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર હવે વાહનોની સલામતિના નામે મીંડુ છે. નેશનલ હાઈવેના ડિવાડર પરની વાડના છોડ ઉખડી ગયા છે. હકીકતમાં છોડ ઉખડી ગયા છે, કે પછી ઢોર લઈ જવા માટે તેને ઈરાદાપૂર્વક ઉખાડી નાંખવામાં આવ્યા છે, તે તપાસનો વિષય છે. પણ વાહન ચાલકો પાસેથી લાખો રૂપિયાનો ટોલ ટેક્ષ ઉઘરાવ્યા પછી સલામતિ સામે નેશનલ હાઈવે ઓથોરિટી દ્ધારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે.
ફક્ત ચરોતરમાંથી જ પસાર થતા નેશનલ હાઈવે પર જોઈએ તો મીડલના ડિવાઈડર પર 27થી પણ વધુ જુદી જુદી જગ્યાએથી છોડ ઉખડી જવાથી રસ્તો ખુલ્લો થઈ ગયો છે. રોજેરોજ આ જગ્યાનો ઉપયોગ પશુઓને રસ્તો ક્રોસ કરાવવા માટે થાય છે. આ સમયે જે તે જગ્યાએ વાહનો અટકાવવા પડે છે, અથવા તેની ગતિ ધીમી પાડવી પડે છે. એટલું જ નહીં ગંભીર દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ વાનને પણ અટકવું પડે છે, અથવા ગતિ સાવ ધીમી પાડવી પડે છે. જેના કારણે દર્દીને જાન ગુમાવવાનું પણ જોખમ રહેલું છે.
નેશનલ હાઈવે ઓથોરિટી દ્ધારા વાહનચાલકો પાસેથી મોં માગ્યો ટોલ વસૂલ્યા પછી પણ હાઈવેના ડિવાઈડર ઠેરઠેર છીંડાના કારણે વાહનોમાં મુસાફરી કરતા નાગરિકોની સલામતિ જોખમાય છે. નેશનલ હાઈવે પરથી રોજેરોજ અવરજવર કરતા વાહનચાલકોના જણાવ્યા મુજબ છેલ્લા છ માસ ઉપરાંતથી ડિવાઈડર પરના છોડ ઉખડી ગયા છે.
નડિયાદ નજીક પીપલગથી ગુતાલ અને આણંદને જોડતા નેશનલ હાઈવે પર જ્યાં ડિવાઈડર પર છીંડા છે, ત્યાંથી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સહિત કલેક્ટર તથા પોલીસ સહિતના અન્ય લાગતા વળગતા અધિકારીઓ પસાર થાય છે, અને ઘણીવાર તેમની નજર સામેથી જ આ છીંડાવાળી જગ્યાઓમાંથી ઢોરને આખો રસ્તો ક્રોસ કરાવવામાં આવે છે. આમ છતાં જાણે કશું દેખાતું જ ન હોય અથવા પોતાની કોઈ જવાબદારી ન હોય તેમ કોઈ પગલાં ભરવામાં આવતા નથી.
તંત્રની આવી ઘોર બેદરકારીના કારણે નેશનલ હાઈવે પરથી મુસાફરી કરતા વાહનોને હવે ભગવાનને ભરોસે પસાર થવું પડે એવી નોબત આવી છે.
વાહનચાલકો ટોલટેક્સ પણ ચૂકવે, જે ટેક્સ ભરતા નથી તેમના પાપે અસલામતી પણ સહન કરે !
ચરોતરમાં વાસદ અને ખેડા નજીક તથા અન્ય જગ્યાએ ટોલ ઉઘરાવવામાં આવે છે. આમ છતાં વાહનોની સુવિધા માટે કોઈ અસરકારક પગલાં ભરવામાં ને.હા. ઓથોરિટી ઘોર નિષ્કાળજી દાખવી રહી છે. તેની આવી નિષ્કાળજીના કારણે ચિખોદરા, રાવળાપુરા, ભૂમેલ, ગુતાલ તથા પીપગલગ સહિત અન્ય જગ્યાએ આ હાઈવે માર્ગ પરથી ઢોર લાવવામાં આવે છે. છતાં આવા ઢોર માલિકો સામે તંત્ર આંખ આડા કાન કરીને તેમને છાવરે છે, અને ટોલ ટેક્ષ ચૂકવતા વાહનો સામે અસાલમતી ઊભી કરે છે.
ઢોરના કારણે ભૂતકાળમાં પીપલગ પાસે અકસ્માત સર્જાયો હતો, હવે તંત્ર ફરી આવા અકસ્માતની રાહ જુએ છે !
હાઈવે પરના છીંડા પરથી ઢોરની અવરજવરના કારણે ભૂતકાળમાં પીપલગ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અત્યારે પણ ઘણીવાર આવી સ્થિતિ સર્જાતી માંડ માંડ બચે છે. તેથી ને.હા. પર ઢોરની અવરજવર સદંતર બંધ કરાવવી જોઈએ. આમ છતાં જો કોઈ ઢોર નજરે પડે તો તેના માટે ને.હા. ઓથોરિટીના સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવી જોઈએ. જો કોઈ અસરકારક પગલાં નહીં ભરાય તો હજુ પણ આ માર્ગ પર ગંભીર અકસ્માત થવાનું અને તંત્રના પાપે કોઈને જાન ગુમાવવાનો વારો આવે તો નવાઈ નહીં !


