- ભારત હવે ઊંડા સમુદ્રમાં અધ્યયન કરવાની યોજના ઘડી રહ્યું
- અમેરિકા, રશિયા અને ચીનની સમકક્ષ બની જશે ભારત
- સબમરીન 6000ની મદદથી મનુષ્ય સમુદ્રની નીચે 6000 મીટરની ઊંડાઈ સુધી જઈ શકે
ચંદ્ર પર સફળતાપૂર્વક મિશન લેન્ડ કરાવ્યા બાદ ભારત હવે ઊંડા સમુદ્રમાં અધ્યયન કરવાની યોજના ઘડી રહ્યું છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરન રિજિજૂએ કહ્યું કે ભારતે 2025ના અંત સુધીમાં પોતાના સમુદ્રયાનમાં સપાટીથી છ કિમી નીચે ઊંડા સમુદ્રનો અભ્યાસ કરવા માટે પોતાના વૈજ્ઞાનિકોને મોકલવામાં સક્ષમ થવું જોઈએ. સરકારી સમાચાર સંસ્થાને આપેલા ઇન્ટર્વ્યૂમાં કિરન રિજિજૂએ કહ્યું કે મત્સ્ય સબમરીન 6000ની મદદથી મનુષ્ય સમુદ્રની નીચે 6000 મીટરની ઊંડાઈ સુધી જઈ શકે છે. ચાલુ વર્ષના અંત સુધીમાં આ બાબતનું પરીક્ષણ થઈ જશે.
કિરન રિજિજૂએ કહ્યું કે જ્યારે તમે સમુદ્રયાનની વાત કરો છો ત્યારે તમે સમુદ્રની અંદર છ કિમીની ઊંડાઈ સુધી જવાના આપણા મિશન વિશે વાત કરો છો, જ્યાં પ્રકાશ પણ નથી પહોંચી શકતો. હું કહી શકું કે જ્યાં સુધી આપણા મત્સ્ય 6000નો સવાલ છે – આ મશીન મનુષ્યોને અંદર લઈ જશે. મંત્રીએ કહ્યું કે તેમણે પરિયોજનાની સમીક્ષા કરી છે અને આ વર્ષના અંત સુધીમાં પહેલું પરીક્ષણ કરવામાં વૈજ્ઞાનિકો સક્ષમ હોવા જોઈએ.
યોજના શી છે?
રિજિજૂએ કહ્યું કે પણ મોટાભાગે મને વિશ્વાસ છે કે 2025ના અંત સુધીમાં, મતલબ કે આવતા વર્ષે, આપણે માનવ ચાલકદળને 6,000 મીટર કરતાં ઊંડા સમુદ્રમાં મોકલવામાં સક્ષમ થવું જોઈએ. સમુદ્રયાન કે મહાસાગરનું ઊંડાણ મિશન 2021માં શરૂ કરવામાં આવ્યું હતું. મિશનમાં મત્સ્ય 6000નો ઉપયોગ કરીને મધ્ય હિંદ મહાસાગરમાં સમુદ્રના તળિયે 6 હજાર મીટરની ઊંડાઈ સુધી પહોંચવા માટે એક ચાલક દળનું અભિયાન શરૂ કરવાનું છે, જે સભ્યોના ચાલકદળને સમાયોજિત કરવા માટે ડિઝાઇન કરાયું છે.
અમેરિકા, રશિયા અને ચીનની સમકક્ષ બની જશે ભારત
સબમરીન વૈજ્ઞાનિક સેન્સર અને ઉપકરણોથી સજ્જ હશે, અને 12 કલાક સુધી ચાલી શકે તેવી તેની ક્ષમતા હશે, જેને ઇમર્જન્સીની સ્થિતિમાં 96 કલાક સુધી વધારી શકાય છે. અત્યાર સુધીમાં, અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને જાપાન જેવા દેશોએ ઊંડા સમુદ્રમાં ચાલકદળ મિશનો સફળતાપૂર્વક પૂર્ણ કર્યાં છે. ભારત આ રીતનાં મિશનો માટેની નિપુણતા અને ક્ષમતા દેખાડીને આ દેશોની રેન્કમાં સામેલ થવા માટે તૈયાર છે.


