- CAAને લઈ ખોટી અફવા ફેલાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી થશે
- અફવા ફેલાવનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવા ગૃહ વિભાગની સૂચના
- CAA કોઈની નાગરિકતા છીનવશે નહીં
આગામી લોકસભા ચૂંટણીની તારીખો થોડા દિવસોમાં જાહેર થઈ શકે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરી દેવામાં આવ્યો છે.કેન્દ્ર સરકારે આજે તેનું નોટિફિકેશન જારી કર્યું છે.ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ટવિટ કરી જાણકારી આપી છે કે,કોઈ પણ વ્યકિત CAAને લઈ ખોટી અફવા ફેલાવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે,તો આ કાયદો કોઈની નાગરિકતા છીનવશે નહી.
CAA કાયદો મહત્વનો
વાસ્તવમાં, 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં CAAનો સમાવેશ કર્યો હતો. પાર્ટીએ આને મોટો મુદ્દો બનાવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે તેમના તાજેતરના ચૂંટણી ભાષણોમાં ઘણી વખત નાગરિકતા સંશોધન અધિનિયમ અથવા CAA લાગુ કરવાની વાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે લોકસભા ચૂંટણી પહેલા તેને લાગુ કરવામાં આવશે.હવે કેન્દ્ર સરકારે આ માટે નોટિફિકેશન બહાર પાડીને તેને લાગુ કરી દીધું છે.
નાગરિકતાને લઈ જોગવાઈ
CAA હેઠળ મુસ્લિમ સમુદાય સિવાય ત્રણ મુસ્લિમ બહુમતી પાડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે CAA સંબંધિત એક વેબ પોર્ટલ પણ તૈયાર કર્યું છે, જેને નોટિફિકેશન પછી લોન્ચ કરવામાં આવશે. ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા લઘુમતીઓએ આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારની તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે. આ માટે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી વિસ્થાપિત લઘુમતીઓને કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં.
કોણ કરી શકશે અરજી
નાગરિકતા અધિનિયમ 1955 ગેરકાયદે વસાહતીઓને ભારતમાં નાગરિકતા મેળવવાથી અટકાવે છે. CAAમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે કોઈપણ હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી, જેઓ 31 ડિસેમ્બર, 2014 પહેલાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કર્યું હોય તેને ગેરકાયદે સ્થળાંતર કરનાર ગણવામાં આવશે નહીં. તે CAA હેઠળ ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકે છે.જો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના આવા માઇગ્રન્ટ્સ સામે કોઈ કાનૂની કેસ ચાલી રહ્યો છે, જે તેમના ઇમિગ્રેશન સ્ટેટસમાં અવરોધ ઊભો કરી રહ્યો છે. CAA દ્વારા આવા કેસમાં લીગલ ઈમ્યુનિટી આપવામાં આવી છે.અગાઉ સ્થળાંતર કરનારાઓએ નાગરિકતા માટે અરજી કરતાં પહેલાં ઓછામાં ઓછા 11 વર્ષ ભારતમાં રહેવું જરૂરી હતું. CAA દ્વારા આ સમયગાળો ઘટાડીને માત્ર 5 વર્ષ કરવામાં આવ્યો.CAAમાં એવી જોગવાઈ પણ છે કે જો કોઈપણ વિદેશી વ્યક્તિ ભારતના કોઈપણ કાયદાનો ભંગ કરે છે અથવા કોઈ ગુનો કરે છે, તો સરકાર તેનું ઓવરસીઝ સિટિઝન્સ ઑફ ઈન્ડિયા કાર્ડ પાછું લઈ શકે છે. આ કાર્ડ એનઆરઆઈને કોઈપણ પ્રતિબંધ વિના ભારતમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે.


