- ભાજપ માટે આજે ડોશી મરે તેનો વાંધો નહીં પરંતુ જમ ઘર ભાળી જાય તેની બીક
- રાજ્યભરમાં જે રીતે ક્ષત્રિય સમાજ આક્રોશ સાથે બહાર આવી રહ્યો છે
- તેની પાછળનાં કારણોમાંનું એક કારણ ક્ષત્રિયો આજકાલ પાવર સેન્ટરથી દૂર થઇ ગયા છે તે પણ છે
ગુજરાતમાં અજય રહેલું ભાજપ પરસોત્તમ રૂપાલાના વાણીવિલાસને કારણે એક મોટા વિવાદમાં ફસાઇ ગયું છે. લોકસભાની ચૂંટણીમાં છેલ્લી બે ટર્મથી ગુજરાતની તમામ 26 બેઠકો પર વિજેતા બનતું ભાજપ ગુજરાતમાં હેટ્રિક કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે રૂપાલાને કારણે ભાજપ મૂંઝવણમાં મુકાયું છે. પોતાને શબ્દોના ખેરખાં સમજતા રૂપાલા શબ્દોને કારણે ફસાઇ ગયા છે. રૂપાલાની ક્ષત્રિય સમાજ સામેની ટિપ્પણી આજે ભાજપના ગળામાં ફાંસ બનીને અટકી ગઇ છે. રાજ્ય ભાજપના મોવડીઓ આજે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માગીને રૂપાલાની ઉમેદવારી ચાલુ રાખશે તેવા સંકેતો આપી દીધા છે. પરંતુ લાખ રૂપિયાનો સવાલ એ છે કે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજનો રૂપાલા સામે ફાટી નીકળેલા રોષને શાંત કરવા શું કરવું તેનો ઉપાય હજુ સુધી પાર્ટી પાસે નથી.
આમ જોવા જઇએ તો ગુજરાતમાં પટેલ અને ક્ષત્રિય સમાજ વચ્ચેનું રાજકીય વૈમનસ્ય વર્ષો જૂનું છે. કૉંગ્રેસમાં ક્ષત્રિય નેતા તરીકે માધવસિંહ સોલંકીએ એકચક્રી રાજ કર્યું હતું. ભાજપના ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલાએ કાઠું કાઢયું. તો ભાજપમાં વાઘેલા સામે કેશુભાઇ પટેલની ધરી પણ મજબૂત બનીને ઊભરી હતી. જ્યારે રાજ્યમાં ભાજપની સત્તા આવી ત્યારે મુખ્યમંત્રી પદ પટેલ નેતા કેશુભાઇ પાસે ગયું. જેની ચોટ શંકરસિંહને કાળજે વાગી હતી. આખરે ખજૂરિયા-હજૂરિયા પ્રકરણ ભાજપમાં ભજવાયું. ભાજપમાં બળવો થયો. શંકરસિંહે મુખ્યમંત્રીની ગાદી કબજે કરી. ક્ષત્રિય નેતાઓથી શંકરસિંહે મંત્રીમંડળ ભરી દીધું હતું. સમય ગયે શંકરસિંહને ભાજપે ઉથલાવી દીધાં. કેશુભાઇ પટેલને રાજ્યના મુખ્યમંત્રીની ગાદી મળી. મંત્રીમંડળમાં અને સરકારમાં હવે પટેલોનો દબદબો હતો. ત્યારબાદ સાબરમતીમાં ઘણાં પાણી વહી ગયાં. પરંતુ પટેલો અને ક્ષત્રિયો વચ્ચેની પાવર વૉર ક્યારે ખુલ્લી કે ક્યારેક છૂપી રીતે રાજ્યમાં ચાલુ રહી. ક્યારેક પાવર્સ બેલેન્સ કરીને કે ક્યારેક કડકાઇથી ભાજપમાં આ પાવરવૉરને બહાર આવવા ના દેવાઇ પરંતુ આજે દેખાઇ રહ્યું છે કે રાજ્યભરમાં જે રીતે ક્ષત્રિય સમાજ આક્રોશ સાથે બહાર આવી રહ્યો છે તેની પાછળનાં કારણોમાંનું એક કારણ ક્ષત્રિયો આજકાલ પાવર સેન્ટરથી દૂર થઇ ગયાં છે તે પણ છે. એક જમાનામાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે હરીસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા, વજુભાઇ વાળા જેવા ક્ષત્રિયોએ સંભાળ્યું હતું. આજે ક્ષત્રિયો પાવર સેન્ટરથી બહુ દૂર છે. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોની આ લાગણીને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે તેનું પરિણામ આખા રાજ્યમાં દેખાઇ રહ્યું છે.
રાજ્યમાં ક્ષત્રિયો રૂપાલા સામે અને રૂપાલાને નહીં બદલે તો ભાજપ સામે રોષ ઠાલવવા ઠેરઠેર દેખાવો કરી રહ્યા છે. ત્યારે નવાઇની વાત એ છે કે ભાજપ જેવી ધરખમ પાર્ટી પાસે આજે રાજ્યમાં કોઇ એક એવો ક્ષત્રિય ચહેરો નથી કે જે સમાજના લોકો સાથે બેસીને વાત કરે, તેમને સમજાવે અને તેમનો રોષ ઠંડો પાડે. રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખે ક્ષત્રિય નેતાઓ જોડે બેઠક કરી તેમાં હાજર રહેલા ભાજપના નેતાઓની યાદી જોઇએ તો બળવંતસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા, આઇ. કે. જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ સરવૈયા જેવા નામો બહાર આવ્યા છે. પરંતુ સવાલ એ છે કે આ નેતાઓ પાસે પાવર કેટલો છે. એકમાત્ર બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી છે તે સિવાય બધા નેતાઓની આગળ ‘માજી’નું ટેગ લાગેલું છે. જે સાંસદ અને ધારાસભ્ય છે તેઓ પાસે કોઇ મંત્રીપદ નથી. ભાજપના સંગઠનમાં પણ આવી જ પરિસ્થિતિ છે. એક આઇ. કે. જાડેજા સહિત બીજા નામો જેવા કે, મહેન્દ્રસિંહ સરવૈયા, કૌશલ્યા કુંવરબા જેવા નામો સંગઠનમાં છે પરંતુ તેમનો અવાજ કેટલો છે તેની સૌને ખબર છે. આમ, ક્ષત્રિયોની પાવર્સ સેન્ટરમાંથી બાદબાકીથી આખો સમાજ નારાજ છે. તેનો રોષ પણ અત્યારે રાજ્યભરમાં દેખાઇ રહ્યો છે.
ભાજપ માટે આજે ડોશી મરે તેનો વાંધો નહીં પરંતુ જમ ઘર ભાળી જાય તેની બીક છે. ભાજપને પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં બહુ વાંધો ના હોઇ શકે. પરંતુ રૂપાલાનું ઉદાહરણ લઇને બીજા ઉમેદવારો સામે રાજ્યભરમાં દેખાવો શરૂ થઇ જાય તેની પણ મોટી ચિંતા છે. જાણકારોએ તો ભાજપે શરૂઆતમાં ઉમેદવારોની જાહેરાત કરી અને ચારેય જગ્યાએ જે રીતે ઉમેદવારો બદલ્યાં ત્યારે જ ચેતવણી ઉચ્ચારી હતી કે, રાજકારણમાં આ પ્રથા બહુ ઘાતક બની શકે છે. ભાજપે ઉમેદવારો જાહેર કરવાની ઉતાવળ કરવા જેવી ન હતી. જ્યારે ઉમેદવારો જાહેર કરવા હતા ત્યારે જ પૂરતી ચકાસણી કરવા જેવી હતી. એકવાર ઉમેદવાર જાહેર થઇ ગયા પછી નામ રદ થયા તેના સંકેતો રાજ્યભરમાં ખોટા ગયા છે. આની પાછળ પણ રાજ્ય ભાજપમાં ચાલતી નેતાઓ વચ્ચેની પાવર વૉર કારણભૂત હોવાનું ચર્ચાય છે.


