- આ બેઠક પર પ્રથમ ચૂંટણી 1967માં યોજાઈ હતી
- 1989થી શરૂ થયેલી ભાજપની ઇનિંગ હજુ પણ નોટઆઉટ
- શંકર વાઘેલા ભાજપની ટિકિટ પર પ્રથમ ચૂંટણી જીત્યા હતા
ગાંધીનગર લોકસભા બેઠક ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ અને VIP બેઠકો પૈકીની એક છે. આ શહેર માત્ર રાજ્યની રાજધાની નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો ગઢ પણ છે. આ જનરલ કેટેગરીની બેઠક ભાજપ ત્રણ દાયકાથી સતત જીતી રહી છે. તેમજ ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણી 1998થી 2014 સુધી આ સીટ જીત્યા હતા.
લગભગ 79% લોકો શહેરોમાં રહે છે
ગાંધીનગર લોકસભા મતવિસ્તારની મોટાભાગની વસ્તી શહેરી છે. લગભગ 79% લોકો શહેરોમાં રહે છે, બાકીની 21% ગ્રામીણ વસ્તી છે. અનુસૂચિત જાતિ (SC) વસ્તી 11.41% છે અને અનુસૂચિત જનજાતિ (ST) વસ્તી 1.96% છે. કુલ વસ્તી વિશે વાત કરીએ તો, 2011ની વસ્તી ગણતરી અનુસાર, આ લોકસભા મતવિસ્તારની વસ્તી 19,33,986 છે. ગાંધીનગર જિલ્લામાં મુસ્લિમોની વસ્તી 4 ટકાથી વધુ છે. ગાંધીનગર ઉત્તર, ઘાટલોડિયા, સાબરમતી, કલોલ, વેજલપુર, સાણંદ, નારણપુરા વિધાનસભા બેઠકો આ લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે.
આ બેઠક પર પ્રથમ ચૂંટણી 1967માં યોજાઈ હતી
આ બેઠક પર પ્રથમ ચૂંટણી 1967માં યોજાઈ હતી, તે સમયે તે અનુસૂચિત જાતિ માટે અનામત હતી. આ ચૂંટણીમાં એસએમ સોલંકી કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા. આ પછી સોલંકીએ 1971માં બીજી વખત ચૂંટણી જીતી હતી. કટોકટી પછી, આ બેઠક 1977 માં સામાન્ય થઈ ગઈ અને ભારતીય લોકદળના ઉમેદવાર, જે ઈન્દિરા ગાંધીના વિરોધમાં નાના પક્ષો સાથે જોડાયા, અહીંથી જીત્યા હતા. જો કે, કોંગ્રેસે 1980માં પુનરાગમન કર્યું અને 1984માં પણ અહીં ઝંડો ફરકાવ્યો.
1989થી શરૂ થયેલી ભાજપની ઇનિંગ હજુ પણ નોટઆઉટ
આ સીટ પર 1989થી શરૂ થયેલી ભાજપની ઇનિંગ હજુ પણ નોટઆઉટ ચાલી રહી છે. શંકર વાઘેલા ભાજપની ટિકિટ પર પ્રથમ ચૂંટણી જીત્યા હતા. 1996ની સામાન્ય ચૂંટણીમાં પૂર્વ વડાપ્રધાન અને સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી અહીંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. વાજપેયી પછી લાલકૃષ્ણ અડવાણીએ 1998, 1999, 2004, 2009 અને 2014માં સતત આ બેઠક જીતી હતી.
2019ના લોકસભા ચૂંટણીના પરિણામ જાણો
2019ની ચૂંટણીમાં ભાજપે તેમની વૃદ્ધાવસ્થાને કારણે ગાંધીનગર બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ અમિત શાહને ઉમેદવાર બનાવ્યા હતા. અમિત શાહ 8,94,624 મતો સાથે જીત્યા હતા. જ્યારે કોંગ્રેસના ચતુરસિંહ જવાનજી ચાવડાને 3,37,610 મત મળ્યા અને BSP કરતા NOTA ને વધુ મત મળ્યા. 14,214 મતદારોએ NOTA બટન દબાવ્યું અને BSP ઉમેદવાર જયેન્દ્ર રાઠોડને માત્ર 6,400 મત મળ્યા હતા.
2014ની લોકસભા ચૂંટણીના પરિણામ જાણો
આ ચૂંટણીમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો વિજય થયો હતો, તેમને કુલ 7,73,539 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વરભાઈ પટેલ 2,90,418 મતો સાથે બીજા ક્રમે અને AAP ઉમેદવાર ઋતુરાજ મહેતા 19,966 મતો સાથે ત્રીજા સ્થાને હતા. 2014ની ચૂંટણીમાં આ બેઠક પર 65.5 ટકા મતદાન થયું હતું.


