- ક્ષત્રિય યુવાનોનો ભાજપને સમર્થન આપવાનો નિર્ણય
- કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા નિર્ણયનો વિરોધ
- સમાજને પૂછ્યા વગર ટેકો આપ્યો આથી વિરોધ : યુવાનો
રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદન મામલે હાલ ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે ક્ષત્રિય સમાજ વચ્ચે ફાંટા પડ્યા છે. સૌરાષ્ટ્રના 6 લાખ સહિત ગુજરાતમાં 14 લાખથી વધુની વસતિ ધરાવતો કાઠી ક્ષત્રિય સમાજ આ વિરોધથી દૂર થઈ ગયો છે. આજે 12 એપ્રિલે રાજકોટ શહેર ભાજપના કમલમ કાર્યાલય ખાતેથી અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે એલાન કર્યું છે કે કાઠી સમાજ ભાજપના સમર્થનમાં છે અને હિન્દુત્વને વરેલા નરેન્દ્ર મોદીને જિતાડવા ખભેથી ખભો મિલાવી કામ કરશે.
કાઠી સમાજે ભાજપને સમર્થન આપ્યું
રૂપાલાને લઈ ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યું છે ત્યારે કાઠી સમાજે ભાજપને સમર્થન જાહેર કર્યુ છે,કાઠી સમાજના અગ્રણીઓનુ કહેવું છે કે,કાઠી સમાજને વિશ્વાસમાં લીધો નથી જેના કારણે મોડી રાત્રીના નાના મૌવા રોડ પર ક્ષત્રિય યુવાનો એકત્ર થયા હતા.ભાજપ કાર્યાલય ખાતે મુન્નાભાઈ વીછીયા,રામકુભાઈ ખાચર તેમજ રાજુભાઈ ધાધલ દ્વારા કરાયું હતું ભાજપ ને સમર્થન.સૂર્યવંશી કાઠી સમાજે રૂપાલાને માફી આપી છે. અમે હિન્દુત્વ અને સનાતન ધર્મની સાથે છીએ. સમગ્ર દેશમાં કાઠી સમાજની 17 લાખની વસ્તી છે. વડીલો જે નિર્ણય કરે તે વ્યાજબી હોય છે. માફ કરવાનો ક્ષત્રિય ધર્મ છે. વડાપ્રધાન મોદીના ઉમેદવારો ઉભા છે તેને અમે સપોર્ટ કરીએ છીએ. અમે રૂપાલાને પણ મદદ કરીશું.
ભાજપ જે ઉમેદવાર ઉભા રાખે તેને ટેકો આપવો અમારી ફરજ : કાઠી ક્ષત્રિય સમાજ
વધુમાં કાઠી સમાજના આગેવાને જણાવ્યું કે, ‘રામભક્તને વરેલો કાઠી સમાજ વડાપ્રધાન મોદીનો હાથ મજબૂત કરવાની વેળાએ સમગ્ર કાઠી સમાજ એક અવાજે વડાપ્રધાન મોદી અને ભાજપની સાથે ખભેખભો મિલાવીને સાથે છે. કાઠિયાવાડ-સૌરાષ્ટ્રનો કાઠી સમાજ પ્રાચીન સમયથી હિન્દુત્વને સંપૂર્ણપણે વરેલો સમાજ છે. સમગ્ર વિશ્વ અરાજકતા અને રાજકીય અસ્થિરતા અનુભવી રહ્યું છે. ત્યારે સ્થિર અને પ્રામાણિક માર્ગદર્શન પ્રજામાં સિંચીને વડાપ્રધાન મોદીને ત્રીજી વખત દેશનું નેતૃત્વ પુરુ પાડવા લડી રહ્યા હોય ત્યારે કાઠી સમાજ 2024ની ચૂંટણીમાં મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે. કાઠીઓનો ઇતિહાસ હિન્દુત્વ અને સનાતનની સાથે રહ્યા છીએ. અમે હાલ પણ તેની સાથે જ છીએ. ભાજપ અને વડાપ્રધાન મોદી સાથે રહેવા માંગીએ છીએ. ભાજપે જે ઉમેદવારો ઉભા રાખ્યા છે તેને ટેકો આપવો અમારી નૈતિક ફરજ છે. અમે કાયમ ભાજપ સાથે જ છીએ.
તન મન ધનથી ભાજપને ટેકો : કાઠી ક્ષત્રિય સમાજ
કાઠી સમાજે કહ્યું કે, ‘સૂર્ય મંદિર ફરવા લાયક સ્થળ બન્યું છે. નવા સૂર્ય દેવળની ખાસ મુલાકાત લેજો. ઘણા બધા ઋણ ચુકવવાનો સમય આવ્યો છે. ત્યારે સમાજે નક્કી કર્યું છે કે, ભાજપને જેટલો દઈ શકીએ તેટલો તન મન અને ધનથી ટેકો આપવો છે. વિવાદ સાથે અમારે કોઈ લેવા દેવા નથી. સામાજિક રીતે અમારો ક્ષત્રિય સમાજ સાથે જ છીએ. પરંતુ કોઈ માફી માગે કે મંગાવે તે અમારી પ્રકૃતિ નથી. અમારા તમામ આગેવાનો તરફથી સમાજને વિનંતી છે અને સમાજ સાથે પણ છે. અમે કોઈના પ્રેશરમાં આવીને નિર્ણય નથી લીધો.


