- રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ક્ષત્રિયો ઉમટ્યા
- અંદાજે 50000 ક્ષત્રિયો સંમેલનમાં રહેશે હાજર
- પોલીસ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ક્ષત્રિયો અંગે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના પગલે રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જેમાં આજે રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું છે. આ માટે રાજ્યભરમાંથી 50000 ક્ષત્રિયો સંમેલનમાં હાજર રહેશે.
રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલન માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિયો પહોંચવાની શરૂઆત કરી છે. જેના માટે રમજુભા જાડેજાએ પોલીસ પાસેથી મંજૂરી મેળવી હતી. જેમાં વિશાળ મેદાનમાં ક્ષત્રિયો એકત્ર થવાની શરૂઆત થઈ ગઈ છે.
રૂપાલા સામે ક્ષત્રિય સમાજ આકરાપાણીએ છે. જેના માટે રતનપરમાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ક્ષત્રિયો રાજકોટ ઉમટ્યા છે. ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે. મહાસંમેલનને લઈ DYSP અને PI કક્ષાના સાત ક્ષત્રિય અધિકારીઓને બંદોબસ્ત અર્થે રાજકોટ મૂકવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જવાબદારી સોંપવામાં આવી છે.
રતનપર મંદિર પાસે 30 વીઘાના મેદાનમાં અંદાજીત 2 લાખથી વધુ લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે. આ સંમેલનમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર અને મોરબી સહિતના જિલ્લાઓમાંથી ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો પહોંચવાના છે.


