- કાનૂની વિવાદો પેન્ડિંગ હોવાના કારણે ટેક્સના બાકી નાણાં સલવાયા
- બાકી લેણાં માટે 18 ટકાના દરે વ્યાજ અમલી હોવાથી ટેક્સની મુદ્દલ કરતાં વ્યાજ વધી ગયું
- AMC દ્વારા પ્રોપર્ટી ટેક્સની બાકી રકમ ઉપર 18 ટકા લેખે વ્યાજ વસૂલ કરવામાં આવે છે
મ્યુનિ. દ્વારા 2001થી પ્રોપર્ટી ટેક્સ માટે નવી ફોર્મ્યુલા અમલમાં મૂકાઈ હતી. આ ફોર્મ્યુલા હેઠળ અંદાજે રૂ. 900 કરોડથી વધુ રકમનો પ્રોપર્ટી ટેક્સ વિવિધ કારણોસર વસૂલ કરાતો નથી અને જૂની ટેક્સ ફોર્મ્યુલા હેઠળ બંધ મિલો સહિત એકમો, પક્ષકારોનો કરોડોના ટેક્સની રકમ પણ વસૂલ થઈ શકતી નથી. જૂની ટેક્સ ફોર્મ્યુલા અંતર્ગત કરોડોની પ્રોપર્ટી ટેક્સની બાકી રકમમાં ટેક્સની મુદ્દલ કરતાં વ્યાજની રકમ વધી ગઈ છે. AMC દ્વારા પ્રોપર્ટી ટેક્સની બાકી રકમ ઉપર 18 ટકા લેખે વ્યાજ વસૂલ કરવામાં આવે છે, જેના કારણે મિલકતવેરાના બાકી લેણાંમાં મુદ્દલની સરખામણીએ 18 ટકા લેખે વ્યાજની રકમ ખૂબ જ વધી ગઈ છે. જૂની ટેક્સ ફોર્મ્યુલાના બાકીદારો પૈકી કેટલાક બાકીદારો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ગયા હોવાથી કોર્ટ કેસનો ચુકાદો ન આવે અને કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી ટેક્સની વસૂલાત થાય તેમ નથી.
શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ખાસ કરીને પૂર્વ પટ્ટામાં બંધ પડેલી મિલોના કરોડોના પ્રોપર્ટી ટેક્સના બાકી લેણાં વસૂલવામાં પણ AMCને ખૂબ મુશ્કેલી પડે છે. બંધ પડેલી મિલના બાકી લેણાંના કિસ્સામાં AMC દ્વારા નોટિસો આપવામાં આવતી હોવા છતાં મિલ બંધ હોવાને કારણે તેને ‘સીલ’ કરવાનો કોઈ અર્થ રહેતો નથી. અમદાવાદમાં બંધ પડેલી મિલોના કિસ્સામાં જો કોઈ બિલ્ડર- ડેવલપર કે ઉદ્યોગપતિ દ્વારા બંધ મિલની જમીન ખરીદવામાં આવે તો જ AMCના પ્રોપર્ટી ટેકસના બાકી લેણાંની આવક થઈ શકે છે. બંધ મિલોનો ટેક્સ બાકી હોય ત્યાં સુધી જમીનનું ટાઈટલ ક્લીયર થઈ શકતું ન હોવાથી જો કોઈ પક્ષકાર દ્વારા બંધ મિલની જમીન ખરીદવામાં આવે તો સૌથી પહેલાં AMCનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવામાં આવે છે. આમ, બંધ મિલની જમીન ખરીદીનો સોદો ન થાય ત્યાં સુધી મ્યુનિ.ના મિલકતવેરાના નાણાં વસૂલ થઈ શકતા નથી.


