- માઢિયા પાસે પદયાત્રિકો પર ટ્રક ચડી જતા 3નાં મોત
- ભોળાદ ગામના પાટિયે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 4નાં મોત
- વટામણ બાજુથી પીપળી તરફ્ જતી ટ્રક મારુતિ સુઝુકી આર્ટિગા વચ્ચે અકસ્માત
રાજ્યમાં આજે અકસ્માતના જુદા જુદા ત્રણ બનાવમાં 9 વ્યક્તિના મોત નીપજ્યા હતા. જ્યારે 12 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. વટામણ ભાવનગર હાઈવે પર ધોળકા તાલુકાના ભોળાદ ગામના પાટીયા નજીક આજે વહેલી સવારે છ વાગ્યાના સુમારે વટામણ બાજુથી પીપળી તરફ્ જતી ટ્રક મારુતિ સુઝુકી આર્ટિગા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે કારચાલકોમાં ત્રણના મોત નીપજ્યા હતા. તેમજ સારવાર મળે તે પહેલા એક ચાર વર્ષના બાળકનું પણ મોત નીપજતા મૃતકાંક 4 થયો હતો. અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. ખેડા પંથકના મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામેથી 40 લોકોનો સંઘ પગપાળા વહેલી સવારે નીકળ્યો હતો, ભાવનગર નજીકના રાજપરા ખોડિયાર માતાજીના દર્શન કરવા આવી રહેલા સંઘે ગણેશગઢ ગામ નજીક મોમાઈ માતાજીના મંદિરે રાત્રિ રોકાણ કર્યુ હતું. દરમિયાનમાં વહેલી સવારે ત્રણેક વાગ્યે ગણેશગઢથી ખોડિયાર મંદિર જવા રવાના થયા હતા. સંઘ પોલીસ સ્ટેશનથી માઢીયા ગામ જવાના રસ્તા પર જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટ્રક રાહદારીઓ ઉપર ચડાવી દેતા ત્રના મોત થયા હતા. જ્યારે 6 પદયાત્રીને ઈજા થઈ હતી.
રાજસ્થાનના ટ્રેલર ચાલક શેરસિંહ ગુમાનસિંહ રાવત અને કલીનર બનવારીલાલ ટ્રેલરમાં ટાઈલ્સ લઈને રવિવારે સવારે મોરબીથી રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા ત્યારે દસાડા પાસે સામેથી આવતા મુળી તાલુકાના ડમ્પર ચાલક પરાક્રમસિંહ ગુલાબસિંહ પરમારે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બન્ને વાહનોમાં આગ લાગી હતી, જેમાં સળગી જતાં બંનેના ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે.


